ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના રાધનપુર સમી હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 6 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને રિક્ષામાં બેઠેલા તમામ 6 લોકોનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ રાધનપુર સમી હાઈવે પર ગોચનાદ નજીક હિંમતનગરથી માતાના મઢ તરફ જઈ રહેલી એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષામાં બેઠેલા લોકોનાં મોત થયા છે. અકસ્માતની જાણ પોલીસ તથા વહીવટી સત્તાવાળાને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
તો સરકાર બસ અંગે વાત કરીએ તો હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી રિક્ષાનો કચ્ચરધાણ બોલી ગયો હતો. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે. સમીના ગોચનાદ નજીક આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસની ટક્કરથી રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડની બાજુમાં ખાડામાં જતી રહી હતી. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અકસ્માતમાં ફુલવાદી લાલાભાઇ (ઉં.વ. 70), કાંતાબેન ફુલવાદી (ઉં.વ.60), ઈશ્વરભાઈ ફુલવાદી (ઉં.વ.75), તારાબેન ફુલવાદી (ઉં.વ.70), નરેશભાઈ (ઉં.વ.35) અને સાયરાબેન (ઉં.વ.35)નું મોત નીપજ્યું છે. મૃતક તમામ રાધનપુરના અમરગઢના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
