Surat Main

સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી મનીષ સિસોદિયાને મળ્યા: આપમાં જોડાય તેવી અટકળો

ગુજરાત (Gujarat)માં આપ (AAP)ની એન્ટ્રી ભાજપનો માથાનો દુઃખાવો બની રહ્યો છે. સુરત સર્કિટ હાઉસ (Surat circuit house)ખાતે મનીષ સીસોદિયા (Manish sisodiya)ની ગોપાલભાઈ ઇટાલિયા, કિશોરભાઈ , ઈશુદાન ગઢવીજી તથા ‘આપ-ગુજરાત’ના અન્ય પદાધિકારીઓ સાથે અગત્યની મિટિંગ કરવામાં આવી રહી છે, જેમાં પાટીદાર અનામત આંદોલનમાં બીજેપી તરફી મધ્યસ્થી કરનાર મહેશ સવાણી (Mahesh savani)એ હાજરી આપતા સુરતનું રાજકારણ ગરમાયુ છે.

મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી (Loksabha election)વખતે મહેશ સવાણી બીજેપીથી નારાજ થયા હતા અને હવે આપમાં જોડાય તેવી અટકળ ચાલી રહી છે. સાથે જ આપમાં જોડાવા કેટલાંક નામો ચર્ચામાં છે, જેમાં ખાસ સુરતના ઉદ્યોગ અગ્રણી મહેશ સવાણી, પૂર્વ ઇન્કમ ટેક્ષ અધિકારી પી વી એસશર્મા, ગજેરા બંધુ, અશોક જીરાવાલ, સહિત હજી ઘણા માથા જોડાવા ઉત્સુક હોવાની ચર્ચા ચાલી રહી છે.  આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયાની સુરત મુલાકાત ઔપચારિક કરતાં સૂચક વધારે છે. હાલમાં જ એક હજાર કરતાં વધુ ભાજપના કાર્યકરો – સામાજીક અગ્રણીઓ અને વેપારીઓએ આમ આદમી પાર્ટીમાં સમાવેશ થયા બાદ હવે સંભવતઃ સુરત શહેરના મોટા માથાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. આ સ્થિતિમાં મનીષ સિસોદીયાની મુલાકાતને પગલે સંભવતઃ સુરત અને ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી શકે છે.

હાલમાં જ મનીષ સિસોદીયાની નાદુરસ્ત તબિયતને પગલે સુરતની મુલાકાત રદ્દ થઈ હતી. જો કે હવે રવિવારની મુલાકાત રાજકીય વર્તુળોમાં વધુ એક વાર ચર્ચાનું કેન્દ્ર બની ચૂકી છે. સુરતમાં ચાલતી ચર્ચા પ્રમાણે, મનીષ સિસોદીયાની સુરતની મુલાકાતમાં અનેક કન્યાઓના લગ્ન કરાવનાર વરાછાનું મોટું માથું આપમાં જોડાય તેવી સંભાવના છે. અગાઉ હીરા અને હાલમાં શિક્ષણ તેમજ જમીનના ધંધા સાથે સંકળાયેલા આ મોટા માથાએ એવી ચર્ચાઓ વહેતી મુકી છે કે ભાજપમાં તેમનું વારંવાર અપમાન થયું હોવાથી તેઓ ભાજપ છોડીને આપમાં જઈ રહ્યાં છે.

આ મોટું માથું અગાઉ કોંગ્રેસમાં નેતા ગણાતાં હતાં અને પંદરેક વર્ષ પહેલા જ વિધાનસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીના હસ્તે ભાજપમાં જોડાયા હતાં. જોકે, હવે આ સમાજસેવી આપમાં ખરેખર જાય છે કે પછી ભાજપમાં પોતાનું મહત્વ વધારવા માટે જ તેમણે આ હવા ફેલાવી છે કે કેમ? તે આગામી દિવસોમાં ખબર પડશે.

Most Popular

To Top