National

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ ચંદ્રબાબુએ તિરુપતિ મંદિરના સંચાલક મંડળમાં મોટા ફેરફારના સંકેત આપ્યા

અમરાવતી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એન. ચંદ્રાબાબુ નાયડુ પરિવાર સહિત તિરુપતિમાં વેંકેટેશ્વર સ્વામીના દર્શન માટે પહોંચ્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ ચંદ્રાબાબુએ દેશના સૌથી ધનવાન મંદિર તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના સંચાલક મંડળમાં મોટો ફેરબદલના સંકેત આપ્યા છે.

ચંદ્રબાબુએ હવે તિરુપતિ મંદિરમાં બિનહિન્દુને ચેરમેન નહીં બનાવાય તેવું સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, તિરુમલામાં હવે ગોવિંદા સિવાય કોઈ બીજું નામ સંભળાશે નહીં. અહીં ઓમ નમો વેંકેટેશ્વરાય સિવાય બીજા કોઈનો જયઘોશ કરાશે નહીં.
આ રીતે ઈશારામાં મુખ્યમંત્રી નાયડુએ સ્પષ્ટ કર્યું હતું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન હવે હિન્દુ જ બનશે.
આ અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના કાર્યકાળમાં તિરુપતિ મંદિરના ચેરમેન ભુમના કરૂણાકર રેડ્ડી હતા. કરુણાકર રેડ્ડી ક્રિશ્ચયન ધર્મનું પાલન કરતા હતા. તેથી તેમની નિયુક્તિ પર ઘણો વિવાદ થયો હતો.

હિન્દુ સમુદાયના ધર્મગુરુઓ સાથે ટીડીપી અને બીજેપીએ કરુણાકરને તિરુપતિ મંદિરના ચેરમેન બનાવવા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આંધ્રપ્રદેશની વસતી 8.24 કરોડ છે, જેમાં 82 ટકા હિન્દુ છે. ચંદ્રબાબુનો આ નિર્ણય રાજ્યની સૌથી વધુ વસતીને પસંદ આવી રહ્યો છે.

દેશના સૌથી અમીર મંદિરનું બજેટ કેટલું છે?
તિરુપતિનું શ્રી વેંકેટેશ્વર મંદિર દેશનું સૌથી ધનિક મંદિર છે. અહીં દરરોજ સરેરાશ 60 હજાર ભક્તો આવે છે. દર વર્ષે દેશના તમામ ભાગોમાંથી 3 કરોડથી વધુ ભક્તો તિરુપતિ બાલાજીના મંદિરે આવે છે. તિરુમાલા બ્રહ્મોત્સવમના 10 દિવસ દરમિયાન દરરોજ ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

એવું માનવામાં આવે છે કે મંદિરમાં 37 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે અને દર વર્ષે 1500 કરોડ રૂપિયાથી વધુની પ્રસાદ આવે છે. આ ઉપરાંત મંદિરમાં 10.5 ટન સોનું પણ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ટ્રસ્ટ દર વર્ષે ભોજન, ભક્તો માટેની સુવિધાઓ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓની જાળવણી પાછળ રૂ. 4,000 કરોડથી વધુ ખર્ચ કરે છે. ગયા વર્ષે ટીટીડી બોર્ડે રૂ. 4,411 કરોડનું બજેટ પસાર કર્યું હતું.

Most Popular

To Top