SURAT

સુરતમાં આર્સેલર મિત્તલે પ્લાન્ટ પરિસરમાં માત્ર 72 કલાકમાં જ 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઉભી કરી દીધી

સુરત: (Surat) કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની (Oxygen) અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ (Arcelormittal) પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને માન આપી પોતાના પ્લાન્ટ પરિસરમાં જ માત્ર 72 કલાકમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઉભી કરીને બધાને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આજે કોવિડ હોસ્પિટલના ઔપચારીક શુભારંભ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે લક્ષ્મી મિત્તલ અને આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારી હતી, અને કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ૪૧ હજારથી વધારીને ૯૨ હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ પહેલ આવકારદાયક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના ઉત્પાદકોને ઓક્સિજનનું મહત્તમ ઉત્પાદન કરવા અને કોરોનાના દર્દીઓની આવશ્યકતાને પહોંચી વળવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેને AMNS દ્વારા ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.
આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ માટે ઉત્પાદિત ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હોવાથી તેનું પરિવહન સંભવ નહીં હોવાથી આ ગેસ ઓક્સિજન કોરોનાના દર્દીઓની સારવાર માટે તરત જ ઉપયોગમાં લઈ શકાય એ હેતુથી સ્ટીલ પ્લાન્ટમાં જ કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હોય અને તે પણ ઐતિહાસિક સમયમાં એવી આ પ્રથમ ઘટના હશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસના સતત પરામર્શમાં રહીને સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ તથા સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સહયોગથી હજીરામાં આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ ના મેનેજમેન્ટ દ્વારા માત્ર ૭૨ કલાકના રેકોર્ડ સમયમાં હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરિયાત અનુસાર અહીં ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ખૂબ ઝડપથી કાર્યરત થઈ શકે એ પ્રકારે આર્સેલર મિત્તલે આયોજન કર્યું છે.

લક્ષ્મી મિત્તલ છેક ક્ઝાકિસ્તાનથી હોસ્પિટલના લોકાર્પણમાં વિડિયો કોન્ફરન્સથી જોડાયા

આજે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ હંગામી કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ કઝાકિસ્તાનથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. જ્યારે સહયોગી કંપની નિપ્પોન સ્ટીલના પ્રતિનિધિઓ જાપાનથી જોડાયા હતા. સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ જોડાયા હતા.

AMNS હજીરા પ્લાન્ટની કેપેસીટી 30 ટકા વધારી ૧૮૫ મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે
ગુજરાતમાં સુરત નજીક હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ગેસ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય નથી હોતું. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ ઓક્સિજન ઉત્પાદનને ૩૦ ટકા વધારી ૧૮૫ મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top