Comments

AI નો દુનિયા પર સારો-નરસો પ્રભાવ!

વાત આમ તો 30 વર્ષ પુરાણી છે, જેના મજબૂત આધારો અને પ્રમાણો હાલમાં જ પ્રાપ્ત થયા છે. 30 વર્ષો પહેલાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ અને ‘લંડન ટાઈમ્સ’માં એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેણે વિશ્વને અચંબામાં મૂકી દીધું! અમેરિકન વૈજ્ઞાનિક ‘ડો. ટેરેસા’ એ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. સમાચારમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ, રશિયાના સાઈબેરિયા પ્રદેશની ધરતીના પેટાળમાં એક રહસ્યમયી, વિશાળ ગુપ્ત પ્રયોગશાળા આવેલી છે. આ પ્રોયગશાળામાં રશિયન વૈજ્ઞાનિકોએ મૃત્યુ પામેલા ત્રણ મહાન વૈજ્ઞાનિકોનાં માથાં, શરીરથી અલગ કરી, કાચના મોટા ઇલેકટ્રોનિક પાત્રોમાં જીવિત અવસ્થામાં સાચવી રાખ્યા હતા! તેનું વિગતે વર્ણન હતું. એમના મગજ મૃત્યુ ન પામે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ધડ વગરનાં આ માથાં કોઇ પણ જીવતા મનુષ્યની જેમ વિચારી શકે છે, સમજી શકે છે અને પ્રશ્નોના ઉત્તરો પણ આપી શકે છે! એમને જીવતાં રાખવા માટે અત્યંત શક્તિશાળી ઊર્જાવાળાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે જોડયાં છે. આ ઉપકરણો મગજને જરૂરી લોહી, ઓક્સિજન અને પોષક તત્ત્વો પૂરાં પાડે છે. શરૂઆતના તબક્કામાં ત્રણ વૈજ્ઞાનિકોનાં માથાં સાચવીને આ પ્રયોગો શરૂ કર્યા હતા.

આજે આવાં ડઝન માથાંઓ આ પ્રયોગશાળામાં કેટલાંક ન માની શકાય તેવા ચમત્કારિક પ્રયોગો ચાલી રહ્યા છે! મજાની વાત એ છે કે આ માથાં હાલમાં રઇયાનો અમૂલ્ય ખજાનો બની ગયાં છે. કારણ કે એ વર્તમાન વૈજ્ઞાનિકોને ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. સંશોધનમાં કોઇ મોટી સમસ્યા ઊભી થાય અને તેનો ઉકેલ ન જડે તો તેનો ઉકેલ ધડ વગરના વૈજ્ઞાનિકોનાં માથાં આપે છે! તેઓ સાધારણ મનુષ્યની જેમ હસે છે, રડે છે. આશ્ચર્ય અને ક્રોધ પણ વ્યક્ત કરે છે! કોઇક વાર કહે છે કે ફકત અમારાં માથાં શા માટે, અમારા આખા શરીરને હાલતું-ચાલતું કેમ ન રાખ્યું?!

આ ગુપ્ત, રહસ્યમય પ્રયોગશાળાઓ આંખે દેખ્યો અહેવાલ ત્યાંથી ભાગી છૂટેલા અમેરિકન વૈજ્ઞાનિક ડો. ટેરેસ’ એ આપ્યો હતો જેનો ગુજરાતીમાં અનુવાદ જે તે સમયના નવનીત સમર્પણમાં પ્રસિદ્ધ થયો હતો. ડો. ટેરેસેનું કહેવું હતું કે ઘણાં અમેરિકન વૈજ્ઞાનિકો પણ આ ટેકનિક જાણે છે પરંતુ ખ્રિસ્તી ધર્મ પાળનારા સમાજનું પ્રતિનિધિત્વ વધુ હોવાથી તેઓ મનુષ્ય પર આવા પ્રયોગો હાથ ધરી શકતા નથી. કેમ કે બાઈબલમાં આ પ્રકારના પ્રયોગોની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે ત્યાં ચિમ્પાન્ઝીનાં માથાને આવી રીતે જીવતાં રખાયાં છે.

ડૉ. ટેરેસાના કહેવા મુજબ હવે તેનું સ્થાન આર્ટીફિશ્યલ ઇન્ટીલિજન્સ AI લઇ શકે છે. રશિયાના વૈજ્ઞાનિકો મનુષ્યના મૃત્યુ બાદ તેના આખા શરીરને સજીવ રાખવાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. એક દિવસ એવી જાહેરાત થશે કે અમે મૃત્યુ પર વિજય મેળવી લીધો છે! ‘અમે તો અમૃત પીધાં, માણી-માણી’ માણસને અમર બનાવવાની દિશામાં વિજ્ઞાનનો આ મોટામાં મોટો ચમત્કાર હશે અને મનુષ્યની આસ્તિકતા પરનો કુઠારાઘાત પણ હશે!

એનો અર્થ એ થયો કે જો માણસનું મગજ જીવતું રાખી શકાય તો શરીરનાં બીજાં અંગોની ક્રિયાશીલતા અને મહત્ત્વ ગૌણ બની જાય છે. આ અંગો હવે કૃત્રિમ રીતે, AI ની મદદથી બનાવી શકાશે. એવો દાવો આધુનિક વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. 30 વર્ષ પૂર્વેની આ ઘટના આજે કેમ યાદ આવી એવો પ્રશ્ન સહજ રીતે સુજ્ઞ વાચક મિત્રોને થશે. વાત એમ બની કે આ ઘટનાને મજબૂર ટેકો અને સમર્થન ડૉ. હરારી આપી રહ્યા છે. યુવા નોવલ હરારી, ઇઝરાઇલના પ્રોફસર છે. તેમણે સૌને આશ્ચર્ય થાય એવી ત્રણ સંકલ્પનાઓ રજૂ કરી છે:

1. અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે!
2. જયારે ઇચ્છીએ ત્યારે સુખ મેળવી શકાય છે!
3. ઇશ્વર બની શકાય છે!
આ ત્રણ સંકલ્પનાઓ રજૂ કરીને હરારી આપણને પૂછે છે: તમે ઇશ્વર બનવા તૈયાર છો? અને પછી અમરત્વ કેવી રીતે પ્રાપ્ત કરવું તેની ફિલોસોફી અત્યંત વૈજ્ઞાનિક ઢબે સમજાવે છે. તેમનો આ તર્ક એટલો સરળ છે કે સામાન્ય માણસ રોમાંચિત થઇ ઊઠે!

ડૉ. હરારી કહે છે કે: ‘Death is just a technical problem’. બીજા શબ્દોમાં કહીએ તો મૃત્યુ ત્યારે જ આવે જયારે આ શરીરરૂપી મશીનમાં ખામી આવે. કોઇ અંગ કામ કરતાં સંપૂર્ણ બંધ થઇ જાય. એટલે કાં તો હૃદય બંધ પડી જાય અથવા કીડની, ફેફસાં, લિવર કામ  કરતાં બંધ થઇ જાય કે કેન્સર ફેલાઈ જાય અને માણસ મૃત્યુ પામે. આપણે જાણીએ છીએ કે દરેક ટેકનિકલ પ્રોબ્લેમનું કોઇ ને કોઇ સોલ્યુશન હોય જ છે. ડૉ. હરારી કહે છે, ‘ એ સમય ગયો જયારે આપણે પ્લેગ વખતે ભગવાનને પ્રાર્થના કરતાં અને તેની કૃપા દૃષ્ટિ થાય તો આપણે બચી જઇએ. અને ન થાય તો…? ‘રામ… ભાઈ… રામ…!

ટૂંકમાં તે સમયે ખૂબ જ સીમિત એવી તકલાદી વ્યવસ્થા હતી જેમાં નિશ્ચિત, નક્કર, ઠોસ કશું જ નહોતું. એની સામે આજે આપણે બાયપાસ સર્જરી દ્વારા હૃદયને ફરી ધબકતું કરી શકીએ અથવા નવું જ હૃદય બેસાડી શકીએ. આવું શરીરના પ્રત્યેક અંગનું પ્રત્યારોપણ થઇ શકે! કિમોથેરાપી અને નેનો-રોબોટ્સ દ્વારા કેન્સરના કણોને મારી શકીએ છીએ. અલબત્ત, આજે આપણી પાસે શરીરની બધી જ ટેકનિકલ સમસ્યાઓ માટે સોલ્યુશન નથી પણ એટલા માટે જ આપણે જીનેટિક્સ અને નેનો ટેકનોલોજી જેવાં ક્ષેત્રોમાં ખૂબ જ નાવીન્યસભર સંશોધનો કરી રહ્યાં છીએ. ભૂતકાળમાં રોગથી થતા મૃત્યુને આપણે ‘હરિ કરે તે સાચું’ એમ માનીને સ્વીકારી લેતાં. પણ આજે આપણે જે તે રોગના મૂળ સુધી પહોંચી શકયા છીએ.

જયારે કોરોના જેવી કોઇ કુદરતી મહામારી આવે અથવા અકસ્માતમાં લોકો મૃત્યુ પામે ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે, ‘સરકારે બરાબર ધ્યાન રાખ્યું હોત અથવા યોગ્ય નીતિઓ આયોજનો કર્યાં હોત તો આ જાનહાનિ ટાળી શકાઈ હોત.’ એનો અર્થ એવો થયો કે મૃત્યુ ટાળી શકાય એવી બાબત છે. વર્ષ 2013માં ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી જેનું નામ છે: ‘ Calico’. તેનું મુખ્ય ધ્યેય છે. TO Solve death મૃત્યુને ટાળવું! ગૂગલના વૈજ્ઞાનિક ‘બિલ મારી સે’ 2015માં એવું નિવેદન આપ્યું હતું કે, જો મને કોઇ પૂછે કે 500 વર્ષ સુધી જીવી શકાય? તો મારો જવાબ છે: ‘હા’. મૃત્યુને માત કરતાં અનેક પ્રોજેકટસમાં ગૂગલ પોતાના બે બિલિયન ડોલરના 36 ટકા રોકાણ કરી રહી છે. હવે એ તો માનવું પડે કે જયારે આટલી મોટી કંપની પોતાના અબજો રૂપિયા ‘મૃત્યુને ટાળવા’ના પ્રોજેકટમાં રોકતી હોય તો વાતમાં કંઇક દમ છે!

‘કુઝર્વેઇલ’ અને ‘ડે ગ્રે’ નામના વૈજ્ઞાનિકોએ હમણાં જ નિવેદન આપ્યું છે કે, જો માણસ પાસે તંદુરસ્ત શરીર અને ભારી ખીસ્સું હશે તો 2050 સુધીમાં મૃત્યુને હાથતાળી આપીને છટકી જઈશું!’ ખેર! ડો. હરારી મનુષ્યજીવન 150 કે 200 વર્ષનું થાય ત્યારે જ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રશ્નો સામે આવશે તેની સામે પણ આપણું ધ્યાન દોરે છે. તે સાથે જ કોરોના વાયરસની મહામારી સામેની લડાઈમાં સર્વેલન્સ ટૂલ્સ અને બાયોમેટ્રિક સર્વેલન્સ કેવી રીતે સહાયરૂપ થઇ શકે એ તરફ પણ અંગુલિનિર્દેશ કરે છે. આ લખનાર જેમાં બાયોલોજિક એન્જિનિયરીંગ સાયબોર્ગ એન્જિનિયરીંગ અને સજીવન હોય એવાં પ્રાણીઓના સર્જન દ્વારા Non-Organic beings આપણે સંમત થઇ જઇએ એ રીતે અદ્દભુત રજૂઆત કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top