World

Russia Ukraine War: રશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 ગુમ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાએ ભારતને જાણ કરી છે કે રશિયન સેનામાં સેવા આપતા 16 ભારતીયો ગુમ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકોને પાછા મોકલવાની વિનંતી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયન સૈન્યમાં સેવા આપતા 12 ભારતીયો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે રશિયન સૈન્યમાં કામ કરતા ભારતીય નાગરિકોના ૧૨૬ કેસ છે. આ ૧૨૬ માંથી ૯૬ લોકો ભારત પાછા ફર્યા છે અને રશિયન સશસ્ત્ર દળોમાંથી મુક્ત થયા છે. તેમણે કહ્યું કે રશિયન સેનામાં હજુ પણ 18 ભારતીય નાગરિકો છે જેમાંથી 16 ક્યાં છે તે જાણી શકાયું નથી. જયસ્વાલે કહ્યું કે રશિયાએ તેમને ગુમ થયેલા તરીકે વર્ગીકૃત કર્યા છે. અમે માંગણી કરીએ છીએ કે જેઓ હજુ પણ સેનામાં છે તેમને મુક્ત કરવામાં આવે અને પાછા મોકલવામાં આવે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. કેરળના ત્રિશૂરના રહેવાસી 32 વર્ષીય બિનીલ બાબુ રશિયન સેનામાં ભરતી થયા હતા અને યુક્રેન સામે લડી રહ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલો રશિયન સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે ભારતે રશિયન સેનામાં સામેલ થયેલા દેશના અન્ય લોકોને વહેલી તકે ભારત પાછા મોકલવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દા પર કહ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી ખાતરી મળી છે કે રશિયન સેનામાં સેવા આપતા તમામ ભારતીય નાગરિકોને સેવામાંથી દૂર કરવામાં આવશે. આ સમગ્ર મામલે ભારતનું વલણ પહેલાથી જ સ્પષ્ટ છે અને આ મુદ્દો રશિયા સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.

Most Popular

To Top