National

આસામમાં પુરના કારણે 90 લોકોના મોત, 12 લાખથી વધુ ફસાયા

નવી દિલ્હી: આસામમાં (Assam) પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે લાખો લોકોના સ્થાનાંતર સાથે રાજ્યમાં પૂરના (Flood) કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટએ આજે શનિવારે માહિતી આપી હતી તેમજ ચોંકાવનારા આંકડા પણ જાહેર કર્યા છે. ત્યારે રાજ્યમાં 7 નવા મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આસામમાં પૂરના કારણે કુલ મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે.

આસામમાં શનિવારે પૂરની સ્થિતિ વણસી હતી અને સામાન્ય જનજીવનને ખરાબ રીતે અસર થઈ હતી. જો કે રાહતની વાત એ છે કે હવે ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે. આ મામલે ગુવાહાટીમાં ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) એ જણાવ્યું હતું કે આસામમાં મોટાભાગના સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે કોકરાઝાર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં પૂરની સ્થિતિ વધુ બગડવાની સંભાવના છે.

રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો
જો કે રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આ મામલે અધિકારીઓએ કહ્યું કે પૂરના પાણી ઓછા થવા લાગ્યા છે. પરંતુ આસામના 24 જિલ્લાઓમાં 12.33 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. તેમજ 75 મહેસુલી ગામો હેઠળ આવતા 2406 ગામો અને ત્યાંનો 32924.32 હેક્ટર પાક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે.

આ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત
આસામના જે જિલ્લાઓ પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે તેમાં કચર, ધુબરી, નાગાંવ, કામરૂપ, ડિબ્રુગઢ, ગોલાઘાટ, નલબારી, બરપેટા, ધેમાજી, શિવસાગર, ગોલપારા, જોરહાટ, મોરીગાંવ, લખીમપુર, કરીમગંજ, દરરંગ, માજુલી, વિશ્વનાથ, હૈકાનડીગાંવ, દક્ષિણ સલમારા, ચિરાંગ, તિનસુકિયા અને કામરૂપ (M)નો સમાવેશ થાય છે.

ધુબરીમાં સૌથી વધુ 3,18,326 લોકો અસરગ્રસ્ત છે.
સામે આવેલા રિપોર્ટ્સ મુજબ ધુબરી જિલ્લામાં સૌથી વધુ 3,18,326 લોકો અસરગ્રસ્ત થયા છે. આ પછી કચરમાં 1,48,609 લોકો, ગોલાઘાટમાં 95,277, નાગાંવમાં 88,120, ગોલપારામાં 83125, માજુલીમાં 82,494, ધેમાજીમાં 73,662 અને દક્ષિણ સલમારા જિલ્લામાં 63,400 લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટીએ તાજેતરના પૂર અહેવાલમાં જણાવ્યું હતું કે ગોલપારા જિલ્લામાં તેમની બોટ પલટી જવાથી પાંચ લોકોના મોત થયા છે, જ્યારે નાગાંવ અને જોરહાટ જિલ્લામાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે જ રાજ્યની ઘણી નદીઓનું જળસ્તર હવે ઘટી રહ્યું છે, પરંતુ બ્રહ્મપુત્રા નદીની સાથે બુરહીડીહિંગ નદી, ડીસાંગ નદી અને કુશિયારા નદીનું જળસ્તર હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.

Most Popular

To Top