Comments

દિલ્હી અને પંજાબમાં આપ સરકાર સંકટમાં

ભારતના રાજકીય ઇતિહાસમાં જુદો જ ઇતિહાસ ધરાવતા પક્ષ આપ બે રાજ્યોમાં સતત ધરાવે છે અને સારી એવી બહુમતીથી એમની સરકાર રચાઇ છે. દિલ્હી અને પંજાબ જેવા મહત્ત્વનાં રાજ્યોમાં આપ સરકાર છે, પણ બંને રાજ્યોમાં આપ સરકાર સંકટમાં છે. સંકટનાં કારણો બંને રાજ્યોમાં જુદાં જુદાં છે. દિલ્હીમાં શરાબ નીતિમાં  ભ્રષ્ટાચારનો મુદો છે અને પંજાબમાં ખાલિસ્તાનનો મુદો વિવાદી બન્યો છે. અરવિંદ કેજરીવાલ આ બંને સંકટમાંથી બહાર આવી શકે છે કે કેમ એ મહત્ત્વનું બનવાનું છે. આમ તો કેજરીવાલ પડકારો ઝીલવામાં અને એને પાર પાડવાની હિંમત ધરાવે છે, પણ આ બેવડા સંકટમાંથી પાર નીકળવાનું આસાન નહીં હોય.

દિલ્હીમાં શરાબની નવી નીતિ વિવાદે ચઢી અને આક્ષેપ એવો છે કે, એમાં શરાબના વેપારીઓને ફાયદો થાય એવો નિર્ણય લેવાયો હતો અને એમાં નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ભૂમિકા રહી. દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા આ મુદે્ સીબીઆઇ તપાસની છૂટ અપાઈ અને એ પછી તપાસ શરૂ થઈ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી વેળા જ સિસોદિયાની ધરપકડ થશે એવા અંદાજો લાગવાયા હતા પણ સિસોદિયાને ત્યાં તપાસમાં કાંઇ નીકળ્યું નહીં અને સીબીઆઈ દ્વારા ચાર્જશીટ થયું એમાં પણ સિસોદિયાનું ક્યાંય નામ લેવાયું નહોતું અને હવે સીબીઆઈ દ્વારા એની પૂછપરછ પછી ધરપકડ થઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટમાં જવાની સૂચના આપ્યા બાદ એકાએક સિસોદિયા  જેલમાં કેટલાક આરોપસર બંધ છે એવા સત્યેન્દ્ર જૈનના રાજીનામાં પડ્યાં અને કેજરીવાલ દ્વારા એ તુરંત સ્વીકારી લેવાયા.

આવું એકાએક કેમ બન્યું? એ પાછળ કેજરીવાલનો કોઈ વ્યૂહ છે? ભાજપને પણ કદાચ આંચકો લાગ્યો છે. સત્યેન્દ્ર જૈનનો કેસ અલગ છે અને સિસોદિયાની કારકિર્દી જુદી છે. એના પર કોઈ ડાઘ નથી અને શિક્ષણ ક્ષેત્રે દિલ્હીમાં એમણે કામ કર્યું છે એની ભારતે જ નહીં, વિદેશોએ પણ નોંધ લીધી છે. ભાજપમાં હિમાચલના નેતા શાંતાકુમારે પણ કહ્યું કે સિસોદિયા પ્રામાણિક છે અને એમણે સારું કામ કર્યું છે. એમણે કદાચ પક્ષના ફંડ માટે કોઈ નિર્ણય લીધો હોઈ શકે. સીબીઆઈ આ કેસમાં કેટલી સફળતા મેળવે છે એ જોવાનું છે અને હાઇકોર્ટમાં શું નિર્ણય આવે છે એ ય મહત્ત્વનું છે.

પણ આ વિવાદ વધુ વકરે અને આ વર્ષે કેટલાંક રાજ્યોની ચૂંટણીમાં આ મુદો્ આપણને નડે એ પહેલાં કેજરીવાલે કદાચ બંનેનાં રાજીનામાં લઈ લીધાં છે અને નવા મંત્રીઓને જવાબદારી સોંપવાના છે. પણ સિસોદિયાની કમી તો કેજરીવાલને લાગશે જ. કારણ કે એ મહત્ત્વનાં ખાતાં સંભાળતા હતા અને મોદી અને અમિત શાહ છે એમ જ કેજરીવાલ અને સિસોદિયાની જોડી ગણાય છે. દિલ્હીની આપ સરકાર માટે આ એક જબરદસ્ત વળાંક છે. એલજી આપ સરકારને પરેશાન કર્યા કરે છે અને એનો છેલ્લો દાખલો એમસીડીના મેયરની ચૂંટણીમાં પણ જોવા મળ્યો. કેજરીવાલને નિરાંત ના રહે એવા નિર્ણયો ઉપરથી થતાં જ રહે છે. પણ કેજરીવાલ એ ટક્કરમાં અત્યાર સુધી પાસ થયા છે. ફરી વાર પાસ થવાનો પડકાર છે.

પંજાબમાં અમૃતપાલ દ્વારા ખાલિસ્તાન મુદે કાગારોળ મચાવાઇ અને પોલીસ સ્ટેશન પર હલ્લો લઈ જઇ આરોપીને છોડાવવા ભગવંત માન સરકાર પર દબાણ લવાયું અને પંજાબ સરકારે આરોપીને છોડ્યો એની ટીકા થાય એ સ્વાભાવિક છે. પંજાબ ભિન્દરણવાલે અને એના ખાલિસ્તાન આંદોલન અને એનાં પરિણામો આવ્યાં હતાં એને ભૂલી શક્યા નથી. ઓપરેશન બલૂસ્ટાર અને એ પછીની ઘટનાઓ, એના રીએક્શનના ઘાવ ફરી ખોળવાના પ્રયત્નો રાજ્યની શાંતિ ડહોળી નાખશે. માન સરકાર આ મુદે ઢીલી પડી છે એવું સ્પષ્ટ જણાય છે અને આપ અને ખાલિસ્તાન ચળવળ કે જે કેનેડાથી ચાલે છે એની સાથે સંબંધ ધરાવે છે એવા આક્ષેપો થયા છે એને આ બનાવ સાથે જોડવામાં આવે એ સ્વાભાવિક છે. માન સરકાર અને આપે આ સમસ્યામાંથી બહુ ઝડપથી બહાર આવવું પડશે. નહીં તો નિવારી ના શકાય એવું નુકસાન થશે.

રાજસ્થાનમાં વસુંધરા રાજેનું કમબેક?
રાજસ્થાનમાં આ વર્ષે અંતમાં ચૂંટણીઓ થવાની છે અને આ રાજ્યમાં ભાજપ સત્તા મેળવવા માટે બેતાબ છે અને એ સ્થિતિમાં રાજસ્થાન વિધાનસભાના વિપક્ષી નેતા ગુલાબચંદ કતારિયાને આસામના ગવર્નર બનાવી દેવામાં આવ્યા એ એક પ્રકારનો સંકેત છે. ભાજપ મોવડીમંડળ આ રાજ્યમાં નવો ચહેરો શોધે છે. પણ કટારિયાની અનુપસ્થિતિમાં વસુંધરા રાજેએ હથિયારો સજાવવાની શરૂઆત કરી દીધી છે. રાજે આ રાજ્યમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે પણ છેલ્લી ચૂંટણીથી મોદી – અમિત શાહે એમને કદ પ્રમાણે વેતર્યા બાદ રાજેના સબંધો કોઈ બહુ ગાઢ રહ્યા નથી.

પણ હવે આવેલો મોકો રાજે ગુમાવવા માંગતા નથી. આઠ માર્ચે , મહિલા દિને એમનો જન્મદિવસ છે અને એ પૂર્વે એમના ટેકેદારોએ ચૂરુમાં સાલસર બાલાજી ધામ કે બહુ પ્રખ્યાત છે ત્યાં ચાર માર્ચે મહા સંમેલન યોજવા જઇ રહ્યા છે. આ ક્ષેત્ર રાજેન્દ્ર રાઠોરનું છે જે વિધાનસભામાં નાયબ નેતા છે અને કતારિયા પણ  આ વિસ્તારમાંથી આવે છે એટલે એ રીતે રાજે જૂથ સીધો પડકાર કરવા માંગે છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવાની કવાયત ચાલી રહી છે. મોદી – શાહ કઈ રીતે આ ઘટનાને લે છે અને રાજે શું આવતી ચૂંટણીમાં ભાજપનો ચહેરો બની શકે છે એનો નિર્ણય થવાનો સમય દૂર નથી.

બે વાર ધારાસભ્યપદ ગયું!
યુપી એવું રાજ્ય છે જ્યાં ના બનવાનું બનતું હોય છે. સપાના ધરખમ નેતા આજમખાનના પુત્ર અબ્દુલ્લા આજમ ભારતના રાજકીય ઇતિહાસમાં એક અનોખો રેકર્ડ ધરાવે છે. એમણે બેવાર ધારાસભ્ય પદ ગુમાવ્યું છે. ૨૦૧૭માં એ રામપુર જિલ્લામાંથી સપાની ટિકિટ પર ચૂંટાયા હતા પણ એમની સામે હાઇકોર્ટમાં અરજી થઈ અને એમની ઉંમર પૂરી ૨૫ વર્ષ નહોતી એ મુદે્ એમનું ધારાસભ્યપદ રદ થયું. એ પછી ૨૦૨૨માં એ ફરી ચૂંટાયા પણ મુરાદાબાદ કોર્ટે એમને ૧૫ વર્ષ જૂના છલજેટ પ્રકરણમાં દોષી ગણી બે વર્ષની સજા ફરમાવી અને ફરી અબ્દુલ્લાનું ધારાસભ્યપદ ગયું. છળજેટ પ્રકરણમાં બન્યું હતું એવું કે, એને તંત્રને રોક્યા ને એ ધરણાં પર બેસી ગયા, લોકો ઍકટર થયા અને સરકારી ફરજ રૂકાવટ મુદે્ કેસ થયો અને એમાં સજા પડી. આજમખાન આઉટ થયા અને હવે પુત્ર પણ આઉટ થયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top