Charchapatra

 “વાહ રે મીડિયા”

હાલમાં એક જ સમાચાર જોવા અને જાણવા મળે છે કે  યુક્રેનમાં યુદ્ધ થઈ રહ્યું છે, જાનહાનિ અને માલહાનિ થઇ રહ્યાં છે અને આપણાં ભારતીય આશરે 20,000 જેટલાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયાં છે. મીડિયા દ્વારા આપણે પળેપળની માહિતી જાણી અને જોઈ શકીએ છીએ. સરકાર દ્વારા સારાં એવાં પગલાં લેવાઈ રહ્યાં છે અને આપણી એર ઇન્ડિયા અને એર ફોર્સ પણ વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર સાથે જોડાઈ ગઈ છે. તેથી વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાને સકારાત્મક આશા બંધાય છે.  ઘણા વિદ્યાર્થીઓ વતન આવી પણ ગયાં છે. યુદ્ધમાં ક્યારે શું થાય તે નક્કી હોતું નથી. વિદ્યાર્થીઓ તેમની આપવીતી મીડિયા દ્વારા બતાવે છે. તેઓ આવતી કાલે હશે કે નહીં તેમને ખબર નથી, ત્યારે તેમની અને તેમનાં માતા-પિતાની પરિસ્થિતિની કલ્પના પણ ધ્રુજાવે છે. છતાંય મીડિયા દ્વારા તેઓ એકબીજાને જોઈ શકે છે, તેમની સાથે વાતચીત કરી શકે છે.

તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. વાહ મીડિયા તને હજારો ધન્યવાદ. સરકારના આ કામની મીડિયા પર પ્રશંસા પણ થઈ રહી છે, ત્યારે યાદ આવે છે આ પહેલાં kuwait માં યુદ્ધ થયું હતું અને ત્યારે આપણાં લાખ ઉપર ભારતીઓ kuwait માં ફસાયાં હતાં ત્યારે પણ આ ભારતીયોને  વતનમાં લાવવા એર ઇન્ડિયા અને એરફોર્સ સરકાર સાથે જોડાઇ હતી અને આશરે ૫૦૦ વિમાનો દ્વારા બધા જ ભારતીયો વતનમાં પરત લાવવામાં આવ્યાં હતાં તે પણ સરકારી ખર્ચે. ત્યારે પણ ભારતની આ કામગીરીની ખૂબ પ્રશંસા થઈ હતી. પણ ત્યારે મીડિયા ન હતું તેથી જનતા સુધી માહિતી જોઈએ તેવી પહોંચતી ન હતી. લોકોને પૂરી જાણકારી પણ ન હતી. જો કે આ કામની નોંધ ‘guinness book ‘ માં લેવાઇ હતી તેથી શિક્ષિત સમાજ માહિતગાર થયો હતો. સાથે સાથે ફિલ્મી ઉદ્યોગે આ પરિસ્થિતિને જીવિત બતાવવા ‘Airlift’ મૂવી બનાવી સમાજ સુધી પરિસ્થિતિને હૃદયસ્પર્શી બનાવી હતી. પણ આજે તો આ મીડિયા આપણા માટે વરદાનરૂપ બની રહ્યું છે. ‘મેરા ભારત મહાન’ ભૂલશો નહિ.
સુરત     – નીરુબેન બી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top