Dakshin Gujarat

ભરૂચ જિલ્લામાં ધો. 10નું 81.12 ટકા પરિણામ, ગયા વર્ષ કરતા 20.05 ટકા વધારે!

ભરૂચ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું શનિવારે સવારે તેમની વેબ સાઇટ ઉપર ધોરણ 10 નું પરિણામ જાહેર થયું હતું.જેમાં ભરૂચ જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં 20.05 ટકા વધીને ચાલુ વર્ષે 81.12 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં 385 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ભરૂચ જિલ્લામાં ગયા વર્ષ કરતા 30 સ્કૂલોમાં વધારો થતા 43 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. તેમજ જિલ્લામાં 3 સ્કૂલોનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે.

  • ભરૂચ જિલ્લાના 385 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે પાસ થયા
  • જિલ્લાની 43 સ્કૂલનું 100 ટકા પરિણામ
  • સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 94.59 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની બોર્ડની માર્ચ-2024માં પરીક્ષા લેવાઈ હતી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા માટે 82 બિલ્ડીંગમાં 17,521 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 17,337 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શનિવારે સવારે ધોરણ-10નું પરિણામ જાહેર થતા પરીક્ષાર્થીઓમાં ભારે ઉત્કંઠા હતી. જેમાં કુલ 14,064 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 3273 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

ભરૂચ જિલ્લામાં કુલ 32 કેન્દ્રોમાંથી સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 94.59 ટકા પરિણામ અને સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 48.22 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં 30 ટકાથી ઓછું પરિણામ 7 હાઈસ્કુલનું આવ્યું છે.

ભરૂચ જિલ્લાના 32 કેન્દ્રોના પરિણામ
સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 48.22 ટકા, અંકલેશ્વર 83.28 ટકા, GIDC અંકલેશ્વર 91.11 ટકા, અંકલેશ્વર(૨) 82.47 ટકા, અંકલેશ્વર(૩) 73.06 ટકા, ભરૂચ-72.08 ટકા, ભરૂચ(૨) 73.49 ટકા, ભરૂચ(૩) 85.78 ટકા, ભરૂચ(૪) 86.94 ટકા, હાંસોટ 85.58 ટકા, જંબુસર 62.97 ટકા, ઝઘડિયા 85.71 ટકા, પાલેજ-85.57 ટકા, વાલિયા 88.38 ટકા, નબીપુર 76.36 ટકા, વાગરા 71.71 ટકા, નેત્રંગ 91.88 ટકા, સામલોદ 88.61 ટકા, ટંકારીયા 84.43 ટકા, કરમાડ 91.47 ટકા, નાહિયેર 82.35 ટકા, રાજપારડી 70.50 ટકા, દહેજ 92.59 ટકા, શુકલતીર્થ 78.41 ટકા, ત્રાલસા 81.10 ટકા, દરિયા 92 ટકા, ડહેલી 78.26 ટકા, જાગેશ્વર 94.79 ટકા, અંદાડા(ગડખોલ) 79.54 ટકા, નહાર 79.42 ટકા, થવા 91.49 ટકા અને ગજેરા કેન્દ્રનું 74.53 ટકા પરિણામ આવ્યું છે.

Most Popular

To Top