Business

મંત્રી દર્શના જરદોષે સુરતના કાપડ ઉદ્યોગકારોને આપી દિવાળીની ભેંટ, નવા એકમો સ્થાપવા જમીન ફાળવી

સુરત: સુરતના કાપડ ઉદ્યોગકારો માટે ખુશખબર છે. મંત્રી દર્શના જરદોષે સુરતના કાપડ ઉદ્યોગકાર ભાઈઓને દિવાળીની ભેંટ આપી છે. દર્શના જરદોષે કાપડ મંત્રાલયનો કારભાર સંભાળ્યા બાદ સુરતના કાપડ ઉદ્યોગની સમસ્યાઓના નિવારણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, તેનું જ પરિણામ છે કે એક બાદ એક સમસ્યાઓ દૂર થઈ રહી છે, ત્યારે વધુ એક લાભ સુરતના કાપડ ઉદ્યોગકારોને મળ્યો છે. દર્શના જરદોષના પ્રયાસોના પગલે સચીનમાં આવેલા સેઝમાં હવે સુરતના કાપડ ઉદ્યોગકારો એકમો સ્થાપી શકશે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (SGCCI) પ્લેટફોર્મ પરથી ભારત સરકારના (Indian Government) વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ (Commerce Minister Piyush Goyal) સમક્ષ મંત્રી દર્શના જરદોશની (Darshna Jardosh) હાજરીમાં જ સુરત એપેરલ પાર્ક (SEZ)ને ડી-નોટીફાઇ કરવા અંગે કરાયેલી રજૂઆતને સફળતા મળી છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ તથા દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરત એપેરલ પાર્ક તરફથી ઉદ્યોગપતિ રવિન્દ્ર આર્યાએ ચેમ્બરના પ્લેટફોર્મ પરથી વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, સુરત એપેરલ પાર્ક SEZ માટે ફાળવવામાં આવેલી પ૬.૬૪ હેકટર જેટલી જમીનમાં ઓછા ઔદ્યોગિક એકમો સ્થપાયેલા હોવાથી અન્ય જમીન ઉપયોગ વિના જ પડી રહે છે. આશરે ર૧ હેકટર જેટલી જમીનમાં ઔદ્યોગિક એકમો સ્થપાયેલા છે અને ત્યાં એકસપોર્ટ માટે પ્રોડકશનની કામગીરી થાય છે. પરંતુ એ સિવાયની આશરે ૩૬ હેકટર જેટલી વિશાળ જમીન પડતર હતી અને તેને ડીનોટીફાઇ કરવાની રજૂઆત વાણિજ્ય મંત્રી સમક્ષ કરવામાં આવી હતી.

મંત્રી દર્શના જરદોશની હાજરીમાં જ ચેમ્બરના પ્લેટફોર્મ પરથી કરાયેલી રજૂઆતને પગલે મંત્રી પીયુષ ગોયલ દ્વારા ઉદ્યોગકારોની ઉપરોકત સમસ્યાનું 15 દિવસમાં નિરાકરણ લાવવાની બાંયધરી આપવામાં આવી હતી. આથી દર્શના જરદોશ દ્વારા સુરત એપેરલ પાર્ક SEZને ડી-નોટીફિકેશનની મંજુરી આપવા માટે સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું. જેને પગલે પીયુષ ગોયલે 10 દિવસની અંદર જ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હતું અને વાણિજ્ય મંત્રાલય દ્વારા સુરત એપેરલ પાર્ક SEZને ડી-નોટીફિકેશનની મંજુરી આપી હતી.

આથી હવે સુરતમાં ૩૬ હેકટર જેટલી વિશાળ જમીનમાં નવા ઉદ્યોગો સ્થપાવવાની સંભાવના ઉભી થઇ છે. જેનો લાભ દક્ષિણ ગુજરાતની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ચોકકસપણે થશે. ઉદ્યોગોની સમસ્યાના તુરંત નિરાકરણ માટે ચેમ્બર દ્વારા ભારત સરકારના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ તથા ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top