ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગત 27મી ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી હતી. SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે.
5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે છે. રાજ્યના કુલ 33 પૈકી 26 જિલ્લાની ASD યાદીમાં શૂન્ય વિસંગતતા છે. જ્યારે અન્ય 7 જિલ્લામાં મળી માત્ર 11 વિસંગતતાના કિસ્સામાં ખરાઈની પ્રક્રિયા પ્રગતિમાં છે. આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન કુલ જે નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.