Vadodara

વડોદરાને વિશ્વામિત્રીના પૂરમાંથી રાહત માટે દેણામાં બફર તળાવના ખોદકામનું ખાતમુહૂર્ત


બફર તળાવનું ખોદકામ CSR ફંડમાંથી કરવાનો નિર્ણય

વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા
વિશ્વામિત્રી નદીના દેણા ખાતે બફર તળાવ ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારથી શરૂ થનાર આ કામગીરી આગામી 100 દિવસ સુધી ચાલશે. આ તળાવ પૂર નિવારણ માટે મદદરૂપ થવાની સાથે પાણીના સ્ત્રોતની ગરજ સારશે, તેવો વિશ્વાસ પાલિકાના સત્તાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.


વડોદરા પાસે દેણા ગામથી વિશ્વામિત્રી નદી વડોદરામાં પ્રવેશ કરે છે તે સ્થળે બફર તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 કરોડ લિટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે. આ માટે પણ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કંપનીઓ પાસેથી સામાજિક સેવા માટે ફાળવવામાં આવતા CSR ફંડની માંગણી કરી હતી અને તે માંગણી કેટલીક કંપનીએ સ્વીકારી છે. જેથી તળાવ ખોદકામનો ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો આવશે નહીં. આ તળાવના ખોદકામ બાદ જે પાણી સંગ્રહ થશે તે પ્રજા સુધી પહોંચે તે માટેનું પણ આયોજન વિચારવામાં આવી રહ્યું છે.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, જાગૃતિબેન કાકા સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

ભવિષ્યમાં પીવાના પાણીના સ્ત્રોત કરીકે પણ તેનો ઉપયોગ કરી શકાશે


વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે વડોદરાના દેણા ખાતે સુર્યા નદીના કિનારે પાલિકા ઇંટોના ભઠ્ઠા માટે વર્ષ 1970 ની સાલમાં ખરીદી હતી. તે પૈકી 7 હેક્ટર જેટલી જગ્યા પાલિકાની માલિકીની છે. તેમાંથી 5 હેક્ટર જેટલા તળાવનું ખોદકામ યંત્રમાન કંપની દ્વારા ખોદવાનું કામ સોંપવામાં આવ્યું છે આ તળાવ ઉંડુ કરશે જેના કારણે સુર્યા નદીમાં આજવાનું પાણી વહીને આવે છે તેના કિનારે બફર લેકનું આયોજન કર્યું છે. ભવિષ્યમાં પીવાના પાણીના સ્ત્રોત કરીકે પણ તેનો ઉપયોગ કરી શકાશે. આ યોજનામાં અન્ય તળાવો જોડે તેનું ઇન્ટરલિંક કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીના પૂરથી રાહત મળશે તેવી આશા છે. 25 કરોડ લિટર સ્ટોર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
તળાવ નદીનું પૂર સર્જતું પાણી રોકવામાં મદદ રૂપ થશે
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે દેણા ખાતે વિશ્વામિત્રી અને સુર્યા નદી જ્યાં મળે છે, ત્યાં આજુબાજુ પાલિકાની કોતરની જમીન છે. અહિંયા બફર લેક બનાવવાનું આયોજન છે. બે લાખ ધન મીટર માટી કાઢવામાં આવનાર છે. અઢી થી ત્રણ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. આ તળાવ નદીનું પૂર સર્જતું પાણી રોકવામાં મદદ રૂપ થશે. સાથે સાથે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર ઊંડું કરવા માટી ખોદકામની કામગીરીમાં પણ લોક ભાગીદારીનો અભિગમ અપનાવવામાં આવ્યો છે જે કોઈ વ્યક્તિને માટીની જરૂરિયાત હોય તેવાને માટીનો જથ્થો વિના મુજે આપવામાં આવશે.

Most Popular

To Top