1-જુલાઈથી કરેલા વીજ વપરાશ પર ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ 2.30ના ઘટાડેલા દરે વસૂલાશે :
નાગરિકોને ઓછા દરે વીજળી પુરી પાડવા જુલાઈ 2025થી ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરાયો હતો :
ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી જાહેરાત
( પ્રતિનિધી )વડોદરા,તા.2
રાજ્યના નાગરિકોને ઓછા દરે વીજળી પુરી પાડવા માટે સરકાર દ્વારા જુલાઈ 2025 થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસા ઘટાડવાનો નિર્ણય કરતા જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમિયાન વીજ વપરાશ પર મધ્ય ગુજરાતના 46 લાખ ઉપરાંત ગ્રાહકોને આશરે રૂ. 8 કરોડથી વધુનો લાભ થશે. ઉર્જા મંત્રી કાનુભાઈ દેસાઈએ આ જાહેરાત કરી હતી.
જાન્યુઆરી 2024થી અમલમાં આવતા ફ્યુઅલ ચર્ચાજના દરને પ્રતિ યુનિટ 50 પૈસા ઘટાડીને રૂપિયા 3.5 થી રૂપિયા 2.85 કરવામાં આવ્યો હતો. ઉર્જા મંત્રી કનુભાઈએ આ રાહતને વધુ વિસ્તૃત કરતા ઓક્ટોબર 2024 થી ફ્યુઅલ સર્ચના દરને વધુ 40 પૈસા ઘટાડીને રૂપિયા 2.45 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલી રહેલા વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન 2025 દરમિયાન ફ્યુઅલ સરચાર્જના દરને રૂપિયા 2.45 પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન, સ્થિર વીજ ખરીદના દર તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તેમજ નોંધપાત્ર માળખાકીય કામગીરીમાં સુધારા અને દેખરેખ દ્વારા ટેકનિકલ વાણિજયિક લોસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પ્રવર્તમાન ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સરકારના આ નિર્ણયથી 1 જુલાઈ 2025 થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સર્ચચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 2.30 ના ઘટાડેલા દરે વસુલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજિત 1.75 કરોડ ગ્રાહકોને 400 કરોડ પૈકી મધ્ય ગુજરાતના આશરે 46 લાખ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે 8 કરોડથી વધુનો લાભ થશે.