Business

“બંધુત્વ”- પણ બંધારણમાં સ્વીકારાયેલી ભાવના છે

આપણે સ્વતન્ત્રતાનાં ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮ મા વર્ષમાં પ્રવેશ કર્યો. સ્વતંત્ર ભારતના બંધારણના આમુખમાં લોક્શાહીના આત્મારૂપ અગત્યનાં માનવમૂલ્યો રજૂ કરાયાં છે, જેમાં સ્વતન્ત્રતા,સમાનતા અને બંધુત્વ મુખ્ય ત્રણ છે . ફ્રાંસની રાજ્ય ક્રાંતિ વખતે પણ આ ત્રણ આદર્શો ચર્ચામાં આવ્યા હતા. આપણે જાહેર જીવનમાં રાજકીય ચર્ચાઓમાં બંધારણનાં મૂલ્યો તરીકે સ્વતન્ત્રતા અને સમાનતાની જેટલી ચર્ચા કરીએ છીએ તેટલી બંધુત્વની ચર્ચા કરતા નથી.આજના ખાનગીકરણ અને વ્યાપારીકરણના યુગમાં માણસ સંબંધોમાં પણ નફા-ખોટ ગણતો થઇ ગયો છે અને જ્ઞાતિ, જાતિના, ધર્મના સ્વાર્થમાં ઘણી વખત આપણે ભાન ભૂલી જઈએ છીએ ત્યારે બંધુત્વની ભાવના વધુ સબળ બને તે માટે કામ કરવાની, તેની વ્યાપક ચર્ચા કરવાની જરૂર છે. ભારતીય સંસ્કૃતિમાં “વસુધૈવ કુટુમ્બકમ્”નો વિચાર વેદકાળથી છે. આ સમગ્ર વિશ્વને એક કુટુંબ માનો તો તેમાં રહેતાં સૌ એક જ પરિવારનાં સભ્યો જ થયાં અને એક બીજાનાં ભાઈ-બહેન જ થયાં.

બંધારણની કલમ 51 અ મુજબ નાગરિકોના કર્તવ્યમાં સ્વીકારાયું છે કે દેશનાં તમામ નાગરિકો ભાષા,ધર્મ,જાતિના વાડામાંથી ઉપર ઊઠીને એક બીજા પ્રત્યે પ્રેમ અને સદ્ભાવ રાખે,મતલબ કે એકબીજાનાં ધર્મ, જાતિ,વ્યવસાય,ભાષાનું સન્માન કરે અને એકબીજાને સુખદુઃખમાં મદદરૂપ થાય. ભ્રાતૃત્વ અને પરિવાર ભાવના એ શબ્દો આમ તો સરળ છે અને તેનો બહુ સહજતાથી લેખમાં અને પ્રવચનમાં ઉપયોગ થઇ શકે છે પણ તે ખરા અર્થમાં નિભાવવા અઘરા છે. આજના ગણતરીના જમાનામાં કુટુંબના,લોહીના સંબંધવાળાં પરિવારજનો આ ભાવના નથી પાળતાં તો બીજાં ધર્મ,જાતિનાં લોકો માટે ક્યાંથી પાળે?

ભારતમાં વેદકાળમાં આશ્રમવ્યવસ્થામાં એક નિયમ હતો કે શક્તિ મુજબ કામ કરવું અને જરૂરિયાત મુજબ વપરાશ કરવો. આ જ ભાવના આપણી કુટુંબવ્યવસ્થાના પાયામાં હતી.  જરા ધ્યાનથી જુવો, સંયુકત કુટુંબમાં વૃધ્ધો અને બાળકો કમાણી કરતાં નથી. યુવાવર્ગ મહેનત કરે છે, કમાણી કરે છે અને સૌનું ગુજરાન ચલાવે છે. આજે જે વૃધ્ધો છે તેમને યુવાન હતા ત્યારે કામ કરેલું અને આજે જે કામ કરે છે તે યુવાનો તે સમયે બાળકો હતાં. હવે આજે જે બાળકો છે તે કાલે યુવાન થશે અને આજનાં યુવાનો વૃદ્ધ થશે તેમનું પાલન કરશે. આ આદર્શ સતત જળવાય તો જ આ વ્યવસ્થા સુચારુરૂપે ચાલે. આમાં ક્યાંય કોઈ નિયમ તોડે તો આખી વ્યવસ્થા હલબલી ઊઠે.

બીજું ઉદાહરણ જુવો.ઘરમાં ગાડી, સ્કુટર ,ટી.વી.,પેન,ખોરાક જેવી અનેક વસ્તુઓં કોણ ખરીદે છે તે જોવાતું નથી. તે સૌની માલિકીની છે અને સૌ પોતાની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. જ્યારથી ઘરમાં વસ્તુઓની વ્યક્તિગત માલિકી અને વપરાશ  નિયંત્રિત થાય છે ત્યારથી ઘરમાં કકળાટ વધે છે. મારું સ્કુટર તારે નહિ અડવાનું,આ ટી.વી. અમે લાવ્યાં છીએ, તમારા માટે નથી.આખા ઘરને હું એકલો ઓછો ખવડાવું.આવાં વાક્યો વધે અને પરિવાર-ભાવના ઘટે. બસ આ જ રીતે દેશના બંધુત્વને પણ સમજો.એકબીજાને મોક્ળાશ આપો. એકબીજાના ગમા-અણગમાનો વિચાર કરો, સાથે સાથે બીજાને ખાવા મળ્યું? બીજાને સારવાર મળી,બીજાની તક આપણે તો નથી છીનવી લીધી ને.

ભાઈ હોવાનો મતલબ છે ભાઈના ક્ષેમકુશળની ચિંતા કરવી,તેને થયેલો અન્યાય પોતાને થયેલો અન્યાય ગણવો. પરિવારમાં કોઈ અવસાન થાય અને સૌને દુ:ખ થાય તેવું જ દુ:ખ દેશમાં દુર્ઘટના બને અને નિર્દોષ મૃત્યુ પામે ત્યારે આપણને થવું તે ભ્રાતૃત્વ.આ સંદર્ભે વિચારીએ તો દેશમાં ભ્રાતૃત્વની ભાવના ઘટતી જાય છે.પરિવાર ભાવનાની ઊણપ વર્તાય છે. મારે શું? મને શું મળે ની બજારુ વિચારધારા મોટી થતી જાય છે.ગરીબો અને વંચિતોને શિક્ષણ ના મળે,આરોગ્યની સુવિધા ના મળે,ન્યાય ના મળે તો સમાજના ઉચ્ચ મધ્યમ વર્ગનું રુંવાડુંય ફરકતું નથી.

કાશ્મીરથી કન્યાકુમારી ,ગુજરાતથી આસામ સુધી ભારત એક છે તેમ કહેવું સહેલું છે પણ તેમાં રહેતાં ભારતીઓ એક પરિવારનાં સભ્યો છે તેવું આપણા જાહેર વર્તનમાં દેખાતું નથી. ઉલટાનું આપણે એકબીજાના બજેટ પડાવી લઈએ છીએ.નોકરીઓ છીનવી લઈએ છીએ.અખબારો, ચેનલો ક્યા રાજ્યના કેટલા મંત્રી બન્યા તેવા સમાચાર અગ્ર સ્થાને છાપે છે તેમાં ભ્રાતૃત્વ ક્યાં મોટું થાય. ખાનગીકરણ અને વધુ પડતી વેપાર વૃત્તિએ જાહેર સેવાઓમાં લૂંટ ચાલુ કરી છે. જાણે ભાઈ જ ભાઈને છેતરી રહ્યો છે. આ રાષ્ટ્રનાં સંસાધનો જ્યારે સૌ ના હિત માટે વપરાય ત્યારે ખરી ભ્રાતૃત્વની ભાવના વિકસી કહેવાય.આશા રાખીએ આ દિશામાં કાંઈ વિચારાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top