2024માં 9458 ટીબીના દર્દીઓની સારવાર
વિશ્વભરમાં 24 માર્ચને વિશ્વ ક્ષય દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે
દાહોદ:
વિશ્વ ભરમાં 24માર્ચ વિશ્વ ક્ષય દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં ક્ષય રોગને નાબુદ કરવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ સઘન અભિયાન ચલાવાઈ રહ્યું છે.જોકે, વિતેલા વર્ષો કરતાં જિલ્લામાં ટીબીના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં આવા 9458 લોકોને સારવાર આપવામાં આવી હતી
દર વર્ષે તા. 24 માર્ચના દિવસે સમગ્ર દેશના તમામ રાજ્યો તથા જિલ્લાઓમાં ‘વિશ્વ ક્ષય દિન’ નિમિત્તે ક્ષય રોગ અંગે વિવિધ જાગૃતિવર્ધક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 1882ની 24મી માર્ચના રોજ ડો. રોબર્ટ કોક નામનાં વૈજ્ઞાનિકે
ટીબી રોગ થવા માટે કારણભૂત ટીબીનાં જંતુ “માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ની શોષ કરી હતી. આ વર્ષની વિશ્વ ક્ષય દિવસની થીમ છે – “Yes WE Can End TB Commit ,Invest ,Deliver” તે આ વર્ષની વિશ્વ ક્ષય દિવસની થીમ છે. જિલ્લામાં ટીબીને નાબુદ કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે. તેમજ ટીબીના દર્દીને સઘન સારવાર આપવામાં આવે છે.
ટીબીના આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નિદાન તેમજ સારવાર લેવી
જો વ્યક્તિને અઠવાડીયાથી ખાંસી (ઉધરસ) આવતી હોય, શરીરમાં ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, શરીરના વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને ક્યારેક ગળફામાંથી લોહી પડે અથવા લોહીની ઉલટીઓ થાય એવા કોઈ પણ લક્ષણ જણાય તો નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં નિશુલ્ક તપાસ કરાવી શકાય છે.
કયા વર્ષમાં કેટલાંની સારવાર
વર્ષ-સંખ્યા
2018 – 7576
2019 – 9099
2020-7774
2021-8663
2022 – 9965
2023 – 8989
2024- 9458
નિક્ષય પોષણ યોજના
જો ટીબી નિદાન થાય તો ભારત સરકાર તરફથી દરેક ટીબીના દર્દીને મહીને ૱1000 દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણ સહાય રૂપે દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
દાહોદ જીલ્લામાં 2024 ના વર્ષમાં કુલ 8880 દર્દીઓને 36441000 ત્રણ કરોડ ચોસઠ લાખ એકતાલીસ હજાર ની પોષણ સહાય ચૂકવવામાં આવી છે
આવો સૌ ભેગા મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત “ટીબી હારેગા દેશ જીતેગા”
વધુ માહીતી માટે નજીકના સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
