Vadodara

તાંદલજામાં દૂષિત અને કાળા પાણીથી લોકો રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર


પાણી, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવા માટે સ્થાનિકોની માંગ



તાંદલજા વિસ્તારમાં દૂષિત અને કાળુ પાણીના કારણે નાગરિકો રોગચાળાના ભરડામાં ફસાયા હોવાનો આક્ષેપ કરી રહીશોએ વહીવટી વોર્ડમાં અને પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે .
શહેરના તાંદલજા વિસ્તારની સોસાયટીઓમાં ઘરે ઘરે દૂષિત અને કાળુ પાણી આવી રહ્યું છે. તાંદલજા વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને જણાવ્યું હતું કે પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેરને અનેકવાર રજૂઆતો કરી છે કે દૂષિત અને કાળા પાણીના કારણે તાંદલજામાં રોગચાળાનો વાવર ફેલાયો છે અને દરેક સોસાયટીમાં બેથી ચાર કેસ તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોના થયા છે અને દિવસે દિવસે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારો વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પાણી, રસ્તા, ડ્રેનેજ અને વરસાદી કાંસની જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું છે. કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી લોકોને શુદ્ધ અને પુરતા પ્રેશરથી પાણી આપવાની છે. તેની સાથે સારા રસ્તા અને ડ્રેનેજ લાઇનો લીકેજ ન થાય તેની કાળજી રાખવાની હોય છે. પરંતુ, કોર્પોરેશનને મતે બ્રિજ, સ્વિમીંગ પુલ જેવી સુવિધાને વિકાસ ગણી રહ્યા છે. પરંતુ, જ્યાં સુધી લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ ન આવે તો ધરણાં ઉપર બેસવું પડે તે ગંભીર બાબત છે.

સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની મુખ્ય જવાબદારી લોકોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી તેમજ વધુ પાણી આપવાની છે પણ પાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. કોર્પોરેશન દ્વારા ભલે બ્રિજ બનાવે, ગાર્ડનો બનાવે, સ્વિમીંગ પુલ જેવી સુવિધા પૂરી પાડે, પરંતુ, જો પ્રાથમિક સુવિધા આપી ન શકતું હોય તો ગમે તેટલો વિકાસ અર્થ વગરનો છે.

Most Popular

To Top