Vadodara

ચારૂસેટ યુનિવર્સિટીના પદવીદાનમાં 44 ગોલ્ડમેડલ એનાયત થશે

આણંદ, તા.2
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ ત્રણ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવિષ્ટ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 13મો પદવીદાન સમારંભ 6 જાન્યુઆરીના રોજ શનિવારે સવારે 10 વાગે ચારૂસેટ યુનિવર્સીટી કેમ્પસમાં યોજાશે. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગોના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રઘાન દિક્ષાંત પ્રવચન આપશે. અધ્યક્ષસ્થાને ચારૂસેટ યુનિવર્સીટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
ધર્મેન્દ્ર પ્રઘાન રાજ્યસભામાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તરીકે, શ્રી પ્રઘાનને ઘણા પ્રગતિશીલ સુધારાઓ અને પહેલોનો શ્રેય આપવામાં આવેલ છે, જેમાં PAHAL જેવી ઉપભોક્તા પહેલનો સમાવેશ થાય છે, જે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે અને GiveItUp ઝુંબેશ કે જેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્સાહપૂર્વક સમર્થન આપવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં સમૃદ્ધ નાગરિકોને જરૂરિયાતમંદો માટે તેમની એલપીજી સબસિડી સોંપવા વિનંતી કરવામાં આવી હતી જેમાં લગભગ 10 મિલિયન ગ્રાહકો તરફથી સફળ પ્રતિસાદ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચારૂસેટ યુનિવર્સિટીના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અત્યાર સુધીમાં કુલ 12 પદવીદાન સમારંભમાં 356 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જયારે સુવર્ણમંડિત ચંદ્રક આપવાની પરંપરા રહેલ છે ત્યારે પદવીદાન સમારોહ માં શુદ્ધ સુવર્ણ ના ચંદ્રકો આપવામાં આવશે. આગામી પદવીદાન સમારંભમાં 44 ગોલ્ડમેડલ સહિત કુલ 400 ગોલ્ડ મેડલ અર્થે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સિદ્ધિ અને ગૌરવસમાન બાબત છે.
યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પદવીદાન સમારોહમાં કુલ 1013 વિદ્યાર્થિનીઓ અને 1714 વિદ્યાર્થીઓ સહિત કુલ 2727 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 44 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં 23 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ છે. જ્યારે 16 વિદ્યાર્થિનીઓ અને 27 વિદ્યાર્થીઓ સહિત કુલ 43 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી થશે.
આ પદવીદાન સમારોહ અંતર્ગત યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 158, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 323, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 304, ફેકલ્ટી ઓફ સાયન્સના 297, ફેકલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 516, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1129 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. જેમાં ડિપ્લોમા 34, પોસ્ટ ગ્રેજયુએટ 628, અંડર ગ્રેજયુએટ 2021 અને પી. એચ. ડી. 43 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. પદવીદાન સમારોહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓનો અને મહેમાનોનો વિશેષ આતિથ્ય સત્કાર કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર અને સમાજ માટે મહત્વનું યોગદાન આપનાર મહાન વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને આદરણીય હસ્તીઓને આમંત્રિત કરવાની ચારૂસેટ યુનિવર્સીટીની આગવી પરંપરા રહી છે. જે સંદર્ભે અનેક મહાનુભાવોએ અતિથિપદ શોભાવ્યું હતું.

Most Popular

To Top