Columns

શ્રી શત્રુંજય તીર્થની રક્ષા માટે જૈનો કેમ રસ્તા પર આવી ગયા છે?

જૈન ધર્મ પાળતી કોમ મહાજન તરીકે પણ ઓળખાય છે. દેશના ધંધા તેમ જ ઉદ્યોગોમાં જૈનો મોખરે છે. ભારતના અને એશિયાના પ્રથમ નંબરના ધનિક ગૌતમ અદાણી જૈન છે. તેમ છતાં જૈનોના પવિત્ર શત્રુંજય તીર્થમાં જે પરિસ્થિતિ પેદા થઇ છે, તેનો વિરોધ પ્રદર્શિત કરવા ગયા રવિવારે હજારો જૈનો દ્વારા પાલીતાણામાં મૌન રેલી કાઢવામાં આવી હતી.  આ રેલી પછી જૈનો દ્વારા ભાવનગરના કલેક્ટરને જે આવેદનપત્ર આપ્યું તેમાં તેમની ૧૭ માગણીઓની યાદી હતી. આ માગણીઓ વાંચીને ખ્યાલ આવે છે કે પાલીતાણામાં જે ઘટનાઓ બની રહી છે તેથી જૈનો કેમ વ્યથિત છે.

(૧) અત્યંત નિંદનીય ઘટનામાં હાલમાં જ તા. ૨૬-૧૧-૨૦૨૨ ની રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા રોહિશાળામાં 3 ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવ્યા અને આજે ૨૦ દિવસ ઉપરાંત થઈ ગયેલ છે, તેમ છતાં પણ કોઈ પણ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી. (૨ ) તળેટીમાં આવેલાં ડુંગરપુર, જીવાપુર અને આદપુર વિગેરે ગામોમાં પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગેરકાયદેસર ખનનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગે પેઢી અને અન્ય સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો અને ફરિયાદો લાગતાંવળગતાં ખાતાં, મિનિસ્ટરો વિગેરેને કરવામાં આવેલ છે. તેમ છતાં અકળ કારણોસર ગેરકાયદેસર ખનનનું કાર્ય કાયમ માટે અટકે એવાં કડક પગલાં સરકાર તરફથી આજ સુધી લેવામાં આવ્યાં નથી.

 (૩)  હાલમાં શ્રી આણંદજી કલ્યાણજી પેઢીએ પોલીસમાં ફરિયાદ દાખલ કર્યા મુજબના ગુનેગારો જેવા કેટલાક મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોની ચડામણી તથા સામેલગીરીમાં શરણાનંદ બાપુને હાથો બનાવી હિન્દુ પ્રજામાં વૈમનસ્ય વધે અને વર્ગવિગ્રહ થાય તેવાં પ્રકારનાં કાર્યો સતત કરવામાં આવી રહ્યાં છે. શરણાનંદ બાપુના માધ્યમથી લોકોમાં ભાષણો તથા સોશ્યલ મીડિયા વિગેરે દ્વારા વૈમનસ્ય વધે તેવી માહિતી ફેલાવીને લોકલાગણીને ભડકાવાઈ રહી છે. (૪) લોકલાગણીને જૈનો વિરૂદ્ધ ભડકાવવા વડે આ લોકો દ્વારા ગિરિરાજ ઉપરની ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જૈનોની સંપૂર્ણ માલિકીના શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના ગઢના અંદરની આશરે ૨ એકર જેટલી જગ્યા માલિકીહક્કના કોઈ પણ આધાર પુરાવા વગર કાયદા વિરૂદ્ધની રીતરસમો અજમાવી ગેરકાયદેસર રીતે પોતાના તાબામાં લેવાની પેરવી કરવામાં આવી રહી છે.

(૫) તેઓ હાઈકોર્ટ તથા સરકારના હુકમોની વિરુદ્ધ જઈને પોતાના લોકોને ગઢની અંદર સુરજકુંડ વિસ્તારમાં બેસાડી દે છે તથા ગઢના નિયમો વિરૂદ્ધની જાતજાતની પ્રવૃત્તિઓ કરે છે અને અન્ય લોકોને ઉશ્કેરીને તેઓ પાસે પણ કરાવે છે. પોતાના ગેરકાયદેસરનાં કૃત્યો કેમેરામાં ન ઝડપાઈ જાય તે માટે ત્યાં સુરક્ષાનાં કારણોસર લગાડવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ પણ તેઓ બળજબરીથી ઉખાડી લે છે. આમ તેઓ ત્યાં એકલદોકલ દર્શન માટે આવનારાં બહેનો વગેરે યાત્રિકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે ભૂતકાળમાં આવી જ રીતે એક યાત્રિક બહેનનું અપહરણ કરીને એમની હત્યા કરી દેવામાં આવી હતી.

(૬) જૈનોની લાંબા સમયથી વારંવારની માંગણી છે તે મુજબ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શ્રી મનાભાઈ રાઠોડે બાંધેલાં મકાન વિગેરે ગેરકાયદેસર ઠેર ઠેર થઈ ગયેલાં જાતજાતનાં દબાણો તથા ગેરકાયદેસર બાંધકામો વિશે તપાસ કરીને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. (૭) પાલીતાણા તળેટી રોડ પર ફૂટપાથ તથા રોડ ઉપર મોટા પ્રમાણમાં લારી ગલ્લા વિગેરે દ્વારા દબાણો કરવામાં આવેલ છે. આના કારણે દેશ-વિદેશથી આવતાં યાત્રિકોને તથા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને પગપાળા ચાલવામાં ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. તો આવા પ્રકારનાં ગેરકાયદેસરનાં લારી ગલ્લાંઓને સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે.            

(૮) શ્રી શત્રુંજય ગિરિરાજ પરની નીચેની બાજુમાં ગોચર આદિ જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોનો વસવાટ વધારવામાં આવી રહ્યો છે. તે માટે પણ મોટા પાયે પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજને તોડવામાં આવી રહેલ છે અને કાયમી નુકસાન પહોંચાડવા સાથે એની પવિત્રતાનો પણ નાશ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તથા તેવાં દબાણો દૂર કરવામાં આવે. (૯) પાલીતાણા તળેટીમાં જંબુદ્વીપની પાછળની વસવાટમાં દારૂના ભઠ્ઠાઓ ધમધમે છે અને આજુબાજુનાં ગામડાંઓમાં તથા પાલીતાણામાં તેના ઠેર ઠેર વેચાણ કેન્દ્રો ઊભાં થયાં છે. તો કાયમ માટે આવા દારૂના અડ્ડા કાયમ માટે બંધ થાય તે માટેનાં કડક પગલાં ભરવામાં આવે.

(૧૦) શત્રુંજય ગિરિરાજ ઉપરની બહુ મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાનગી નામે ગેરકાયદેસર રીતે ચઢાવવામાં આવેલ છે, તે ઉપર પણ તાત્કાલિક પગલાં ભરી ફરીથી સરકારના નામે કરવામાં આવે અને તે જગ્યાઓને અનામત વન વિસ્તારમાં સામેલ કરવામાં આવે. (૧૧) ડોળી એસોસીએશનના પ્રમુખ મનાભાઈ રાઠોડ દ્વારા ગિરિરાજ ઉપર જે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવેલ છે, તે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે.  આ ઉપરાંત તેઓ ગિરિરાજ ઉપર અડ્ડો જમાવીને બેસી જઈ યાત્રા માર્ગ ઉપર ચાલનારાં યાત્રિકોને બાધા પહોંચાડે છે.

(૧૨) ડોળી એસોસિએશનના હિસાબ વિગેરે પણ ઓડિટ કરવામાં આવે અને ડોળી કામદારો માટે રચાયેલ એસોસિએશનનો મનાભાઈ દ્વારા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ થઈ રહ્યો છે તેની તપાસ કરવી જરૂરી છે તથા ભવિષ્યમાં આવું ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવાં જરૂરી છે. (૧૩) પાલિતાણામાં ધર્મશાળાઓમાં પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. મ્યુનિસિપાલિટી ગમે તે અકળ કારણસર પૂરેપૂરો ટેક્ષ ઉઘરાવ્યા છતાં પણ ધર્મશાળાઓને પૂરતું પાણી નથી આપતી. ધર્મશાળાઓએ પોતાના પ્રસંગો વખતે ફરજીયાતપણે ટેન્કરનું જ પાણી લેવું પડે છે. જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાન કરનારું હોય છે. માટે મ્યુનિસિપાલિટીનું ચોખ્ખું પાણી પૂરતા પ્રમાણમાં આવશ્યકતા મુજબ ધર્મશાળાઓને મળે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે.

(૧૪) સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (CISF) ની સિક્યુરીટી જે રીતે ભારતનાં અન્ય મહત્ત્વનાં મંદિરો વિગેરેમાં કે જ્યાં લાખો લોકોની અવરજવર છે અને ત્યાં પૂરી પાડવામાં આવે છે તે રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ તથા ગઢની સિક્યુરીટી માટે પણ વ્યવસ્થા કરવામાં આવે. (૧૫) પવિત્ર ગિરિરાજના યાત્રા માર્ગો ઉપર કે જ્યાં લાખો યાત્રાળુઓ પગપાળા ખુલ્લા પગે યાત્રા કરે છે તે યાત્રા માર્ગો ઉપર ઢોરોના કારણે રસ્તા ઉપર ખૂબ જ બગાડ થાય છે. જેને કારણે યાત્રાળુઓ લપસીને પડી જાય છે તેમજ ઢોરો યાત્રાળુઓને અડફેટે પણ લે છે તેથી તેઓને ગંભીર ઈજાઓ થાય છે. માટે યાત્રા માર્ગો ઉપર ઢોરોની અવરજવરને સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં આવે.

 (૧૬) જે રીતે અંબાજી, વૈષ્ણોદેવી, વગેરે તીર્થસ્થાનોમાં મંદિરના અમુક કિલોમીટર વિસ્તારમાં માંસાહાર કે બીજી નિષિદ્ધ વસ્તુઓ વેચી શકાય નહિ કે કતલખાનું ચલાવવું અગર તો માછીમારી કરવી નિષિદ્ધ છે તે રીતે પવિત્ર અહિંસા તીર્થ શત્રુંજય પાલીતાણામાં પણ જે પરિપત્રો સરકાર તરફથી જારી કરવામાં આવેલા છે તેનો ચુસ્ત અમલી કરણ કરવામાં આવે.  (૧૭) તમામને બંધનકર્તા કરારો, નામદાર હાઈકોર્ટના ચુકાદાઓ અને પરાપૂર્વથી ચાલતી પરંપરાઓ મુજબ જૈન સંઘના શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર કાયમી, રદ ન થઈ શકે તેવા અને સંપૂર્ણ અધિકારો વગેરે આવેલા છે. સરકારશ્રીની ફરજ ઉપરોક્ત દસ્તાવેજો મુજબ જૈનોના તમામ હક્કો કે અધિકારોનું રક્ષણ અને પાલન કરવા-કરાવવાની છે. જૈનોની માગણી છે કે સરકાર પોતાની બંધારણીય ફરજો અદા કરીને પવિત્ર તીર્થો માટેના જૈનોના ધાર્મિક અધિકારોનું રક્ષણ કરે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top