Comments

શિક્ષણ ક્ષેત્રે સ્વતંત્ર નિર્ણય અને જવાબદારીપૂર્વક નિર્ણય ક્યારે થશે?

સ્વતન્ત્રતાનો ખરો અર્થ શું? આમ તો નિર્ણયની સ્વતન્ત્રતા એટલે મૂળભૂત સ્વતન્ત્રતા અને નિર્ણય એટલે રાજકીય નિર્ણય, સામાજિક નિર્ણય, ધાર્મિક નિર્ણય, આર્થિક નિર્ણય , વ્યક્તિગત પસંદગીઓનો નિર્ણય.આવતા મહિને ફરી પાછો એક સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે પણ આપણે વિચારવાના જ નથી કે આપણને આટલાં વર્ષો પછી નિર્ણયની સ્વતંત્રતામાં કેટલી મોકળાશ મળી? બીજું બધું તો ઠીક પણ જેના પર લોકશાહી મૂલ્યોનો આધાર છે તે શિક્ષણમાં સ્વતન્ત્રતા કેટલી? અને શું આપણે નવી પેઢીને સ્વતન્ત્રતાથી માહિતગાર કરીએ છીએ? તેમને આપણી સ્વતન્ત્રતાનાં પાયાનાં મૂલ્યો વિષે સમજ આપીએ છીએ. આપણો વિદ્યાર્થી જાણે છે કે સમાનતા એટલે તકોની સમાનતા અને સ્વતન્ત્રતા એટલે નિર્ણયની સ્વતન્ત્રતા. લોકશાહીના પાયામાં રહેલી સંસ્થાઓ આપણે બનાવીએ છીએ? ના,આપણા શિક્ષણમાં એક સમાજશાસ્ત્ર નામનો વિષય આવે છે અને એમાં ભૂગોળ ઈતિહાસ સમાજ બધું ભેગું ભણાવાય છે.

પ્રાથમિક કક્ષાએથી માંડીને કોલેજ સુધીના શિક્ષણમાં ક્યાંય સમાજશાસ્ત્રની પાયાની બાબતો ભણાવાતી નથી ને લોકશાહી મૂલ્યો તો રાજકારણીઓના પ્રવચનમાં આવે તે જ, બાકી ભણવાના અભ્યાસક્રમમાં નથી આવતા. સંસ્થાઓ એટલે શું? સમવાય વ્યવસ્થા એટલે શું? ચૂંટણીનું મહત્ત્વ શું? ચૂંટણી કેટલા પ્રકારે થાય? ભારતમાં સરકારોના પ્રકારો કેટલા? રાજ્ય અને કેન્દ્રના સંબંધો કેવા હોવા જોઈએ.લોકશાહી શાસન વ્યવસ્થાના વિકલ્પો કયા? ચૂંટણી સમયે નાગરિકોએ શું ધ્યાન રાખવું જોઈએ? બહુપક્ષીય લોકશાહીના ફાયદા ક્યા અને મર્યાદા કઈ? કોઈ સારો સંશોધક આપણા શિક્ષણમાં લોકશાહી મૂલ્યો વિષે શોધનિબંધ લખી શકે.

આપણા પ્રાથમિક શિક્ષણમાં એક વિષય આવે છે પર્યાવરણ અને અહીં આપણે બાળકને પોતાની આસપાસના ભૌતિક વિશ્વની ઓળખ કરાવીએ છીએ પણ આપણે તેને સામાજિક પર્યાવરણ, રાજકીય પર્યાવરણ પણ ભણાવવું જોઈએ પણ ભણાવતા નથી. આપણા શિક્ષણમાં સ્વતન્ત્રતા નથી અને આપણું શિક્ષણ પણ સ્વતંત્ર નથી. સરકારી સકલોમાં બંધાયેલું આ શિક્ષણ જીહજુરિયા પેદા કરે છે. સ્વતન્ત્ર વિચાર કરનારા, પ્રશ્નો કરનારા, જુદો મત રજૂ કરનારા આ શિક્ષણમાંથી જન્મે જ નહિ કારણ આપણા શિક્ષણ અને મૂલ્યાંકનમાં શિક્ષક કે વિદ્યાર્થી અલગ જવાબ લખી જ નથી શકતો. નવો વિચાર રજૂ જ નથી કરી શકતો. શિક્ષણ પાઠ્યપુસ્તકનાં બે પૂંઠાં વચ્ચે કેદ છે અને સરકાર પાંચ વર્ષ સુધી પાઠ્યક્રમો બદલતી નથી અને શિક્ષણ જ્ઞાન વિદ્યા કે જે સતત વહેતી અને બદલાતી બાબત છે તે દસ દસ વર્ષ સુધી જડ થઇ જાય છે.

સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પછી આ કેવી કરુણતા કે ૧૮૫૭ ના સ્વતન્ત્રતા સંગ્રામ પછી મેકોલે નામના અંગ્રેજે આપેલ કેન્દ્રિત શિક્ષણની વ્યવસ્થા કે જેનો પૂરો અંકુશ સરકારી હાથોમાં હોય તે હજુ એમની એમ ચાલે છે. આપડણે ત્યાં પ્રિન્ટીંગની વ્યવસ્થા બદલાઈ, ટેલીફોનની પધ્ધતિ બદલાઈ, ફિલ્મોની ટેકનોલોજી બદલાઈ,રાંધવાથી માંડીને અગ્નિ સંસ્કાર સુધીની રીતો બદલાઈ પણ ભણવાની અને ભણાવવાની એ જ ઔપચારિક પધ્ધતિ આજે પણ ચાલે છે. આજે પણ શિક્ષણ ટાઇમટેબલનું ગુલામ છે. સત્રનું બંધાયેલું છે. પુસ્તકોને આધીન છે.વિચારોની મોકળાશ છે જ નહીં કે જે નવી હવા આપે. મેકોલેએ જયારે શિક્ષણવ્યવસ્થા આપી ત્યારે તેનો હેતુ સ્પષ્ટ હતો. કંપની શાસનમાંથી બ્રિટીશ શાસન ચાલુ થયું હતું અને અંગ્રેજોને ભારતમાં સરકારી વહીવટ ચલાવવા માટે માણસો જોઈતા હતા. મતલબ કે સરકારનો હુકમ ચુપચાપ ઉઠાવે અને કારકુની કરે તેવાં લોકો એમને જોઈતાં હતાં.

અંગ્રેજોએ તેમના હેતુ માટે જે પધ્ધતિ જોઈતી હતી તે લાગુ કરી પણ કમનસીબી એ કે આપણે પછી પણ એ જ ચાલુ રાખી.ભારતમાં ઔદ્યોગિક નીતિથી માંડીને વિદેશ નીતિ બદલાતી રહી છે પણ શિક્ષણ નીતિ નથી બદલાતી. છેક ૧૯૮૬ માં નવી શિક્ષણ નીતિના નામે થોડી ચહલપહલ થઇ પણ હતું ત્યાનું ત્યાં અને હવે ૨૦૨૦ થી નવી સરકાર નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે પણ તેમાં હજુ કાંઈ નવું થાય એમ લાગતું નથી કારણકે અધિકારીઓ તેમના કાબૂમાં રહે તેવી નવી શિક્ષણ વ્યવસ્થા લાગુ કરવા માંગે છે. એટલે શિક્ષણમાં સમૂળી ક્રાંતિ થવાની નથી.હા, કોઈને એમ થાય કે આ સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ તો ખુલી? તો એમને યાદ રાખવાનું કે ભારતમાં શિક્ષણ માત્ર વેચવા પૂરતું મુક્ત થયું. શિક્ષણ સંસ્થાઓનું ખાનગીકરણ થયું, બાકી ત્યાં પણ નિયમ તો સરકારના જ ચાલે છે.

આપણે વિદેશોમાંથી બુલેટ ટ્રેન ,કોમ્પ્યુટર ,બેન્કિંગ સીસ્ટમ બધું જોઈએ છે અને લાવીએ પણ છીએ પણ કદી વિદેશોમાં શિક્ષણની શું સ્થિતિ છે તે જોઈ? આપણે ત્યાં કેમ કાંઈ નથી શીખવા માંગતા? એક સમયે વિચાર અને જ્ઞાનમાં દુનિયાને માર્ગદર્શન આપે તેવો દેશ આજે દરેક બાબતમાં બીજાનું અનુકરણ કરતો થઇ ગયો છે.હજુ સમય છે, આપણે પાયાની જરૂરિયાત તરીકે શિક્ષણને વિચારવાની જરૂર છે અને ભારતનો વિકાસ વિદેશી મૂડી આધારિત નહિ દેશના શિક્ષણ અને સમજણના પ્રમાણ પર આધારિત હોય છે તે સત્ય સ્વીકારવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top