Business

‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…

બોલિવૂડે હંમેશા ઇતિહાસ અને ભૌગોલિક રાજનીતિ (Geopolitics) સાથે છૂટછાટો લીધી છે. પરંતુ આદિત્ય ધરની રણવીર સિંહ અભિનીત ગ્લોસી જાસૂસી થ્રિલર ફિલ્મ જે ઢાંસુ રીતે થિયેટરમાં ગાજી રહી છે તેવી ધુરંધરના મામલે એક ગંભીર અને પેચીદો પ્રશ્ન ખડો થયો છે: જ્યારે મનોરંજન માત્ર બનાવોને નાટ્યાત્મક રીતે રજૂ કરવાને બદલે જાહેર જનતાની સ્મૃતિ (public memory) ને જ બદલવાનું શરૂ કરે ત્યારે શું થાય?
આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ અને થિયેટરો હાઉસફુલ રહ્યા છે. પરંતુ બોક્સ ઓફિસનાં આંકડા કરતા વધુ મહત્વની છે લોકોની પ્રતિક્રિયા. ખાસ કરીને એવા લોકોની જેઓ આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા વાસ્તવિક સ્થળો, વાસ્તવિક રાજકારણ અને વાસ્તવિક દુર્ઘટનાઓથી પરિચિત છે.
સૌથી આકરી ટીકા ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં આવી, જેમાં દલીલ કરાઈ કે આ ફિલ્મ “સંકુચિત અને કટ્ટરવાદી દ્રષ્ટિકોણ” (bigoted vision) ધરાવે છે અને પ્રેક્ષકોને તેની વિચારધારા સ્વીકારવા માટે માનસિક રીતે ભ્રમિત (gaslighting) કરે છે. પરંતુ સોશ્યલ મીડિયામા ઉઠેલા અવાજો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ફિલ્મમાં ખાસ કરીને કરાચીના લ્યારી (Lyari) વિસ્તારની વાત છે. ત્યાંના લોકો પાસે પણ સોશ્યલ મીડિયા છે જ અને એ લોકો સવાલ કરે છે કે, ‘જે જગ્યાનો ઈતિહાસ જટિલ હોય, તેવા વાસ્તવિક સ્થળને માત્ર એક ભદ્દી મજાક બનાવીને કેમ રજૂ કરવામાં આવ્યું છે?’
અહીં સમસ્યા માત્ર પ્રોપેગન્ડાની નથી. બોલિવૂડ દાયકાઓથી દેશભક્તિવાળી ફિલ્મો બનાવી રહ્યું છે. અત્યારે જે સામે આવી રહ્યું છે તે કંઈક અલગ અને વધુ ચિંતાજનક છે: રાષ્ટ્રીય સત્ય તરીકે માર્કેટિંગ કરવામાં આવતી કાલ્પનિક કથાઓમાં વાસ્તવિક ભૂગોળ અને વાસ્તવિક આઘાતજનક ઘટનાઓની ભેળવી તેનો મલાજો રાખવામાં નિષ્ફળ જવું..
સોશ્યલ મીડિયા પર કરાચીના એક રહેવાસીએ ચોટદાર નક્કર તથ્યો સાથે ટીકા કરી છે. તે પોતે લ્યારીની નજીક રહે છે. ફિલ્મમાં આ વિસ્તારને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક પર પ્રભાવ અને નિયંત્રણ ધરાવતા કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમનો મુખ્ય મુદ્દો છે ફિલ્મમાં જેવું લ્યારી બતાવ્યું છે તેવું તો તે છે જ નહીં. લ્યારીનો વિસ્તાર આશરે 6 ચોરસ કિલોમીટર છે; જ્યારે ગ્રેટર કરાચી 3,500 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. એટલે કે લ્યારી શહેરની ભૌગોલિક સ્થિતિનો આશરે 0.17% જેટલો હિસ્સો છે. તેને “કરાચીને નિયંત્રિત કરતું પાવર સેન્ટર” ગણાવવું એ એટલું જ હાસ્યાસ્પદ છે જેટલો એવો દાવો કરવો હાંસી ભર્યું છે કે જે ધારાવી પર રાજ કરે, તે આખા મુંબઈ પર રાજ કરે. નાટ્યાત્મક અસર ઉભી કરવા માટે આ ફિલ્મ એક વિશાળ અને જટિલ મહાનગરને એક નાનકડા ‘સ્લમ’ ના માળખામાં ગોઠવી દે છે.
પરંતુ વધુ ગંભીર મુદ્દો ઐતિહાસિક ચેડાંનો છે. લ્યારીના ગેંગ વોરમાં રહેમાન ડકેત અને ઉઝેર બલોચ જેવા નામો સામેલ હતા. તેઓ ડ્રગ્સ, ખંડણી, સ્થાનિક રાજકારણના સમર્થનથી ઘડાયા હતા. પીપલ્સ અમન કમિટી- જે એક સામાજિક સંસ્થાના ઓઠા હેઠળ ચાલતું મિલિટન્ટ સંગઠન હતું. ઉઝેર બલોચનો ઉદય અને અરશદ પપ્પુ સાથેની દુશ્મનાવટ વગેરે સ્થાનિક શહેરી ગુનાખોરી અને રાજકીય બાહુબળનો વિષય છે, સરહદ પારના આતંકવાદી ઓપરેશનનો નહીં.
લ્યારીની ગુનાહિત અને રાજકીય ગાથા પર વિગતવાર અહેવાલો ઉપલબ્ધ છે. લ્યારીની ગેંગને 26/11 ના મુંબઈ હુમલાના ઓપરેશનલ પ્લાનિંગ સાથે જોડતા કોઈ પુરાવા નથી. જો કે મેકર્સે આ બધું જાહેર નથી કર્યું એવી વાત પણ અમુક મીડિયા રિપોર્ટ્સમાં કરી છે. છતાંય લ્યારીને બિનજરૂરી રીતે મહત્વપૂર્ણ બનાવી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના પોષાતા માથાભારે તત્ત્વો માત્ર એક સ્થળ સાથે જોડાયેલા નથી. ધુરંધરનો પાયો આ લિંક પર જ રચે છે, સ્થાનિક ગુનાખોરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથે જોડીને એક કાલ્પનિક વાર્તા કહે છે અને તે બંને વચ્ચેના વિશાળ તફાવતને સ્વીકારવાનું ચૂકી જાય છે.
ભારત પાસે ૨૬/૧૧ પર આધારિત એક વાસ્તવિક પોલિટિકલ થ્રિલર બનાવવા માટે પૂરતી દસ્તાવેજી સામગ્રી છે. લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ કેમ્પ, દરિયાઈ ઘૂસણખોરીનો માર્ગ, ડેવિડ હેડલીની રેકી, અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતાઓ જેવી બાબતો છે અને તેમાં કોઈ બનાવટી ઉમેરાની જરૂર નથી. તેમાં પૂરતું નાટ્ય તત્ત્વ છે પરંતુ ધુરંધર બરાબર આ જ ‘ઉમેરો’ કરે છે. તે સિનેમેટિક પસંદગી હોઈ શકે છે, પરંતુ તેના પરિણામો ગંભીર છે.
જ્યારે પ્રેક્ષકો વારંવાર વાસ્તવિક ઘટનાઓના સરળ અથવા ઉપજાવી કાઢેલા વર્ણન જુએ છે, ત્યારે આ કાલ્પનિક કથાઓ વાસ્તવિકતાનું સ્થાન લેવાનું શરૂ કરે છે. અને રાષ્ટ્રીય કરૂણાંતિકાઓ માત્ર વાર્તા કહેવાની સગવડનો કાચો માલ બની જાય છે. એ પણ નોંધવું જોઈએ કે આ કાલ્પનિક કથા પાસે ડોક્યુમેન્ટરી જેવી ચોકસાઈની માંગણી નથી. આ એ સમજવાની વાત છે તેમાં બાબત જે રીતે દર્શાવવામાં આવે તે લોકોની ભાવનાત્મક સ્મૃતિનો ભાગ બની જાય છે, ભલે તે તથ્યની દ્રષ્ટિએ ખોટું હોય.
જ્યારે કોઈ ફિલ્મ વાસ્તવિક શહેરોને માત્ર ક્લિશે (clichés) માં ફેરવી નાખે છે, ત્યારે નુકસાન માત્ર સર્જનાત્મક નથી હોતું. તે ભૌગોલિક રાજકીય (Geo political) બની જાય છે.
લોકો તેમાંથી તે રાષ્ટ્રીય સુરક્ષાના ખોટા પાઠ ભણે છે. પ્રેક્ષકો આતંકવાદ કેવી રીતે કામ કરે છે તેના ખોટા મોડલ માની લેશે, તો તેઓ એ નબળાઈઓને સમજવામાં નિષ્ફળ જશે જે ખરેખર મહત્વની છે. જ્યારે ફિલ્મો નાટ્યાત્મક અસર માટે આ મર્યાદા તોડે છે, ત્યારે જોખમ એ છે કે ભવિષ્યના દર્શકોને ખબર નહીં હોય કે કોના પર વિશ્વાસ કરવો. આ ફિલ્મ કરતા ઘણી મોટી સમસ્યા છે.
આવું કામ દુશ્મનોને એક તૈયાર ‘નેરેટિવ’ આપી દે છે. ભારતીય અને પાકિસ્તાની મીડિયામાં ટાંકવામાં આવેલા કેટલાક પાકિસ્તાની વિવેચકોએ ભારપૂર્વક કહ્યું છે કે તેમણે ક્યારેય 26/11 ની “ઉજવણી” કરી નથી અને તેઓ પોતે પણ તેમના પોતાના દેશની હિંસા ભોગવનારા તરીકે જુએ છે. જ્યારે બોલીવુડ પાકિસ્તાનીઓને હુમલાઓ પર ખુશ થતા બતાડતા દ્રશ્યો ઉપજાવી કાઢે છે, ત્યારે તે પાકિસ્તાનના શાસકોને એક તક આપે છે કે તેઓ ભારતીય ચિંતાઓને પાયાવિહોણી ગણાવીને ફગાવીને મિલિટન્ટ નેટવર્ક્સની ભૂમિકાને સંબોધવાનું નેવે મૂકી દે.
આવી ફિલ્મો આપણને આત્મનિરીક્ષણ કરવાથી રોકે છે. 26/11 નું એક ન ગમે એવું પાસું ભારતની પોતાની સંસ્થાકીય નિષ્ફળતા છે. NSG નું મોડું પહોંચવું, નબળી દરિયાઈ સુરક્ષા, અવગણવામાં આવેલી ચેતવણીઓ. જે ફિલ્મો ડોક્યુમેન્ટ કરાયેલી આંતરિક ખામીઓને બદલે કાલ્પનિક વિદેશી ખલનાયકોને પસંદ કરે છે, તે એ આત્મ-પરીક્ષણને અટકાવવાનું જોખમ ઉભું કરે છે જે રાષ્ટ્રીય મનોબળને મજબૂત બનાવવા માટે જરૂરી છે..
ધુરંધર ફિલ્મના મામલે જે થયું છે તે માત્ર ભારત પૂરતું સીમિત નથી. દુનિયાભરમાં, રાજકીય મનોરંજન હવે તથ્યપૂર્ણ સત્યને બદલે ભાવનાત્મક સત્યને પ્રાધાન્ય આપતું થયું છે. અમેરિકામાં ચૂંટણી પ્રચારમાં વાસ્તવિક ફૂટેજ અને AI-જનરેટેડ ઈમેજીસનું મિશ્રણ સામાન્ય બની ગયું છે. યુરોપ અને મધ્ય પૂર્વમાં ઐતિહાસિક નાટકો વર્તમાન રાજકીય નેરેટિવને અનુકૂળ બનાવવા માટે ઘટનાઓ ફરીથી લખી રહ્યા છે.
સિનેમાએ સંપૂર્ણપણે સચોટ હોવાની જરૂર નથી. પરંતુ જ્યારે તે આઘાતનું એ રીતે કાલ્પનિકરણ કરે છે કે જે વાસ્તવિક ઇતિહાસને જ ભૂંસી નાખે, ત્યારે વાર્તા કહેવી અને ગેરમાર્ગે દોરવું (disinformation) વચ્ચેની રેખા ભયજનક રીતે ઝાંખી બની જાય છે.
તો બહેતર સિનેમા કેવું હોઈ શકે? પાકિસ્તાનની થ્રિલર વાર (2013), તેના ભારેખમ સંવાદો છતાં, ભૌગોલિક તર્કની સીમામાં રહી હતી. ભારતની અ વેડનસડે! (2008) ફિલ્મે અતિશયોક્તિ દ્વારા નહીં પરંતુ અસ્વસ્થ વાસ્તવિકતા દ્વારા તણાવ પેદા કર્યો હતો. બંને ફિલ્મોના મેકર્સને હતી કે દેખાડા કરતા વિશ્વસનીયતા વધુ શક્તિશાળી હોય છે.તેનાથી વિપરીત, ધુરંધર ઝીરો ડાર્ક થર્ટી જેવી ભવ્યતા સુધી પહોંચવાનો પ્રયાસ કરતી હોય તેમ લાગે છે, પરંતુ આવી વાર્તા જે ગંભીરતા (rigor) માંગે છે તે તેમાં નથી.

Most Popular

To Top