Comments

હરિયાણા અને જમ્મુ કશ્મીરનાં પરિણામોની અસર શું નીપજશે?

હરિયાણાનાં પરિણામોએ બધાને ચોંકાવી દીધાં. લોકસભાની જેમ જ અહીં એક્ઝિટ પોલ સાવ ખોટા ઠર્યા. જો કે, જમ્મુ કશ્મીરમાં ધાર્યાં પરિણામો આવ્યાં છે. આ બે રાજ્યોનાં પરિણામોની આગળ જતાં શું અસર નીપજશે એ સમજવું રસપ્રદ બનવાનું છે. કારણ કે આ વર્ષના અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી થવાની છે અને દિલ્હીમાં જાન્યુઆરી ૨૦૨૫માં ચૂંટણી થશે અને આ ત્રણ રાજ્યોની ચૂંટણી પર બે રાજ્યોની ચૂંટણીનાં પરિણામોની અસર કેવી થશે?

હરિયાણામાં જે બન્યું છે એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે આંચકાજનક છે. જવાન, કિસાન અને પહેલવાન એ સૂત્ર કોંગ્રેસે આગળ કર્યું, આ ત્રણેય સરકારથી નારાજ છે એવું જણાતું હતું અને કોંગ્રેસ એના પર મુસ્તાક હતી. પણ ભાજપે આ ત્રેખડનો તોડ કરી લીધો. કોંગ્રેસની બે સમસ્યા રહી. એક તો ભાજપની જેમ એમણે હરિયાણામાં નેતા ના બદલ્યાને જાત મતદારો પર વધુ પડતો આધાર રાખ્યો.

કોઈ એક પક્ષ એકથી વધુ ટર્મ સત્તા પર રહે એટલે એના વિરુદ્ધ જનમાનસ વિકસતું હોય છે. આ સામાન્ય બાબત છે. પણ કેટલાંક રાજ્યો એવાં છે જ્યાં એક જ પક્ષ લાંબા સમયથી સત્તા પર છે. એમાં ભાજપ, આપ અને ટીએમસીનો પણ સમાવેશ થાય છે. પણ ભાજપ પૂરતી વાત કરીએ તો ગુજરાત પછી ઉત્તરાખંડ અને છેલ્લે હરિયાણામાં નેતૃત્વ પરિવર્તન કર્યું. ગુજરાતમાં તો વિજય રૂપાણીનું આખું મંત્રીમંડળ બદલી નાખ્યું હતું અને પછી ભાજપે ૧૫૦ બેઠકોનો રેકર્ડ તોડી નાખ્યો.

ઉત્તરાખંડમાં તો બે ત્રણ વાર મુખ્યમંત્રી બદલ્યા અને પુસ્કર ધામીમાં સફળ રહ્યા. હરિયાણામાં પણ મનોહરલાલ ખટ્ટરને બદલ્યા અને નાયબ સૈનીને મૂક્યા અને એ બદલાવના કારણે એન્ટી ઇન્કમબન્સી ઘટી ગઈ. બીજું કે, કોંગ્રેસે જાટ મતદારો પર વધુ આધાર રાખ્યો અને ભાજપે એ સામે અન્ય જ્ઞાતિઓને એકત્ર કરી. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન થયું પણ એ સામે બાકીની કોમ એકત્ર થઇ ગઈ અને રૂપાલાને સારી લીડ મળી.

એવું જ હરિયાણામાં થયું, જાટ સામે અન્ય જ્ઞાતિઓ એકત્ર થઇ ગઈ અને કુમારી શૈલજા અને હુડા વચ્ચે અંતર હતું એનો પૂરો ફાયદો ભાજપે ઉઠાવ્યો, દલિતોના મત પણ મેળવ્યા. કોંગ્રેસે દેખાવ કર્યો કે, બંને વચ્ચે કોઈ ખટરાગ નથી પણ એ હતો એ સાબિત થયું. બીજું કે, કોંગ્રેસે હુડા પર વધુ પડતો આધાર રાખ્યો એનો માર પડ્યો. નેતૃત્વ પરિવર્તન અમુક સમયે જરૂરી હોય છે. ભાજપ ધારાસભ્યોની ટિકિટ કાપે છે, નવા ચહેરા લાવે છે એટલી હદે કોંગ્રેસ નવા લોહીને તક આપતી નથી.

શું કોંગ્રેસ હવે ભાજપ જે રીતે નેતૃત્વ બદલે છે અને નવા ચહેરાને તક આપે છે એવું આગામી ચૂંટણીઓમાં કરશે ખરી? બીજું કે, હરિયાણામાં ગઈ ચૂંટણીમાં ભાજપ સાથે સત્તાની ભાગીદારી કરી એ જેજેપી પક્ષ આ વેળા સાવ ધોવાઈ ગયો છે. એના નેતા ચૌટાલા પણ હારી ગયા. એ જ રીતે જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીના પક્ષને ત્રણ જ બેઠક મળી. મહેબુબા પોતે લડતાં જ નહોતાં. એની પુત્રી પણ હારી ગઈ. એટલે કે, પ્રાદેશિક નાના પક્ષો કે જે સત્તાની સોદાબાજી કરે છે એમને લોકોએ પાઠ ભણાવ્યો. શું આ બદલાવ છે અને હવે પછીની ચૂંટણીઓમાં પણ એવું બનશે?

જમ્મુ કશ્મીરમાં ભાજપ માટે સત્તા દૂર જ રહી. જમ્મુમાં સારી બેઠકો મળી. દસ વર્ષ પહેલાં મળી હતી એનાથી વધુ બેઠકો મળી પણ કાશ્મીરમાં ભાજપના હાથમાં કાંઈ ના આવ્યું. ક.૩૭૦ દૂર કર્યા એનો કોઈ પડઘો ના પડ્યો. એટલે કે, ત્યાંની સ્થાનિક પ્રજા નારાજ છે. હા, ભાજપ સૌથી વધુ મત મેળવનારો પક્ષ બન્યો છે અને એલજીને દિલ્હીની જેમ અહીં વધુ સત્તા આપી છે. પાંચ સભ્યોની નિયુક્તિ એ કરી શકે છે એટલે ભવિષ્યમાં કાંઈ સખળડખળ થાય તો ભાજપ થાળે પાડી શકે અને હા, ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે પણ એલ.જી એમને કેટલા હેરાન કરે છે એ જોવાનું છે. દિલ્હીવાળી થઇ શકે.

ભાજપને ફાયદો એ થયો કે, મહારાષ્ટ્રમાં હવે સાથી પક્ષો સાથે એ સારી રીતે સીટ શેરીંગ કરી શકશે. શિંદે અને પવાર જૂથ થોડું મોળું પડશે. એનો ફાયદો ભાજપ બરાબર ઉઠાવશે એ નક્કી. ઝારખંડમાં પણ ભાજપ હવે મજબૂતીથી લડશે. ઝામુમોમાં એ ગાબડાં પાડી શકે છે. ચંપઈ સોરેનન પછી કોઈની વિકેટ પડે છે કે કેમ એ જોવાનું છે. સૌથી મહત્ત્વનો મુદો્ એ છે કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી બાકી છે. નડ્ડાને ચાલુ રખાયા છે અને સંઘ ઈચ્છે છે કે, વસુંધરા રાજેને પ્રમુખ બનાવાય. હરિયાણાનાં પરિણામો પછી સંઘ આ માટે એટલો આગ્રહિત રહે છે એ પણ જોવાનું છે.

આ સ્પર્ધાનો અર્થ શો ?
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર મુફ્ત કી રેવડી… એવા શબ્દો આ સરકારની લાભાર્થી યોજના માટે વાપર્યા હતા. પણ આપ અને બીજા પક્ષોની જેમ જ ભાજપ દ્વારા જે જે રાજ્યોમાં ચૂંટણીઓ થઇ ત્યાં જાતજાતની યોજના જાહેર કરી છે. જેમાં બહેનોને માસિક નાણાં આપવાની યોજના રાજસ્થાનથી મહારાષ્ટ્ર અને ત્યાંથી ઝારખંડ સુધી પહોંચી છે. ઝારખંડમાં ભાજપે ગોગો દીદી યોજનાની જાહેરાત કરી તો હવે સત્તાધારી પક્ષ ઝામુમો દ્વારા ઝામુમો સમ્માન યોજનાની જાહેરાત કરી છે.

ભાજપે એની આ વાયદા યોજનામાં મહિલાઓને ૨૧૦૦ રૂપિયા પ્રતિમાસ આપવાની જાહેરાત કરી અને એ સામે ચૂંટણીપંચે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. ઝામુમોએ ૨૫૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે, ભાજપના વાયદા સામે પંચને વાંધો ના હોય તો અમારી યોજના સામે પણ વાંધો ના હોવો જોઈએ. સવાલ આવી યોજના જે રેવડી તરીકે જાણીતી છે એ રાજ્યની કે કેન્દ્રની તિજોરી પર કેટલો બોજ નાખે છે એની કોઈને પડી નથી. બધા લોકોનાં પૈસા આ રીતે વેડફી નાખવા માગે છે. ચૂંટણી પંચે આ મુદે્ કડક બનવું જરૂરી છે. પણ એ બનશે?
કૌશિક મહેતા
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top