Business

વીગનીઝમ એટલે શું?

આજકાલ લોકોમાં ‘વીગનીઝમ’ શબ્દની ઘેલછા ઊપડી છે. જેને જુઓ તે ગર્વથી પોતે ‘વીગન’ છે એમ કહી પોતે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ  ‘સભાન’ છે એવું પ્રદર્શિત કરે છે. અહીં આ લેખ દ્વારા માત્ર એટલું જ સમજાવવાનો પ્રયાસ રહેશે કે ‘વીગનીઝમ’ ના ગાડરિયા પ્રવાહમાં જુવાનિયાઓ અને મધ્યાવસ્થાએ પહોંચેલાં ગૂગલિયાં લોકો આંખ મીંચીને ફોલો કરવામાં ક્યાંક સ્વાસ્થ્યને નુકસાન ન કરી બેસે. તો આવો સમજીએ કે આ વીગનીઝમ એટલે શું ? તેના સિદ્ધાંતો, ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરીએ.

વીગનીઝમ એ એક પ્રકારની જીવનશૈલી છે. ઈ. સ..૧૯૪૪ માં ઇંગ્લેન્ડમાં કેટલાક શાકાહારી જીવદયાપ્રેમીઓએ એક વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી ડિઝાઇન કરી. જેનો મૂળ હેતુ ‘મૂંગાં પ્રાણીઓને પણ આપણી જેમ જીવવાનો પૂરો અધિકાર છે’ એ સ્થાપિત કરવાનો હતો. વળી, પ્રાણીઓ પર ખોરાકના નામે થતાં ક્રૂરતાપૂર્વકના અત્યાચારને અટકાવવાનો હતો. ત્યાર બાદ આ પ્રકારની જીવનશૈલીના ફાયદાઓ સમજમાં આવવા માંડ્યા અને પછી વધુ ને વધુ લોકો આ હેતુ સાથે જોડાવા લાગ્યાં. ત્યાં સુધી કે ‘પેટા’ જેવી ભારતની જીવદયા સંસ્થા તથા ખ્યાતનામ હસ્તીઓ પણ આ શૈલીને અનુસરવા લાગી. લોકો વીગન જીવનશૈલી અપનાવવા માંડ્યા તેના મુખ્ય હેતુ નીચે મુજબ છે.

જીવદયા-  પ્રાણીઓ અને પ્રાણીજન્ય પેદાશો જેમ કે ચામડું, દૂધ, મધ, જીલેટીન જેવા પદાર્થોનો ઉપયોગ ટાળવો જેથી મૂંગાં પ્રાણીઓ પર થતાં અત્યાચારને અટકાવી શકાય અને તેઓ પણ પૃથ્વી પર આપણા જેવા જ એક જીવ છે જેને આપણી જેમ સમાન જીવનનો અધિકાર છે એ હેતુને સિદ્ધ કરવો. સ્વાસ્થ્યના ફાયદા  – વનસ્પતિ આધારિત ખોરાક સાત્ત્વિક હોઈ તન અને મનના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પર્યાવરણનો બચાવ પ્રાણીજન્ય આહારના પ્રોસેસિંગ માટે પુષ્કળ પાણીનો ઉપયોગ થાય. વળી, પ્રાણીઓ ઘટતાં પૃથ્વીનું જૈવિક સંતુલન ખોરવાય છે જે વીગનીઝમ દ્વારા અટકાવી શકાય

સિલેબ્રિટીને ફોલો કરી પોરસાવું  આજકાલ ધીરે ધીરે ઘણી જાણીતી હસ્તીઓએ આ રીતની જીવનશૈલી અપનાવવા માંડી છે. અહીં, વીગન લાઇફસ્ટાઇલ આજકાલ સિલેબ્રિટીઓમાં ખૂબ પ્રચલિત હોઈ તેઓને આંખ મીંચીને ફોલો કરતો એક મોટો વર્ગ છે. મારા મતે, આપણા પુરાણોમાં અને આયુર્વેદમાં યુગોથી દૂધના ફાયદા વર્ણવ્યા છે. ત્યાં સુધી કે આપણા ધાર્મિક રીતરિવાજોમાં પણ દૂધ આગવું મહત્ત્વ ધરાવે છે. દૂધનું સ્વાસ્થ્યશાસ્ત્ર – પોષણશાસ્ત્રમાં પોતાનું સ્થાન છે. એથી બિલકુલ દૂધને છોડીને અપૂરતા પોષણનો ભોગ બનવાની હું સલાહ આપતી નથી જ.

  • વીગન ડાયટમાં શેનો સમાવેશ થાય?
  • વીગન ડાયટમાં નીચે મુજબના ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે.
  • – ફળો અને શાકભાજી
  •  – કઠોળ
  • – સૂકામેવા
  • – વેજીટેબલ ઓઈલ
  • – સોયાબીન, બદામ અથવા કોપરાના દૂધનો ગાય / ભેંસના દૂધને બદલે સમાવેશ કરવામાં આવે.

ફાયદા…..

  • પાચનતંત્રની કાર્યક્ષમતા વધારે
  •  વીગન ડાયટ ફળો અને શાકભાજીથી ભરપૂર હોય શરીરને પૂરતા પ્રમાણમાં રેષા મળી રહે એટલે આંતરડાંનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
  • કેન્સર અને હૃદયરોગમાં ફાયદો
  •  પ્રાણીજ ખોરાક ન લેવાને લીધે લોહીમાં ચરબી ઓછી ભળે. જેથી લિપિડ પ્રોફાઈલ સામાન્ય રહે છે. વળી, વધુ પડતાં ચરબીયુક્ત પ્રાણીજ પદાર્થો અને તેમને વધુ પડતાં તેલ – ઘીમાં પકવવાથી તે શરીરમાં ટોક્સિન ઉત્પન્ન કરે છે જે કેન્સર તરફ દોરી જઈ શકે.
  • મૂડમાં સુધાર
  •  “પ્રાણીઓને મારતા અટકાવી આપ નૈતિક દૃષ્ટિએ ખૂબ સારું અનુભવો તે સ્વાભાવિક છે. આપને કોઈકને મારીને ખાધાના અપરાધભાવમાંથી મુક્તિ અપાવી શકે જે આનંદની અનુભૂતિ કરાવે.
  • વજનમાં ઘટાડો
  • વીગન ડાયેટ  નોનવેજ ડાયેટની સરખામણીમાં ઓછી કેલરી અને વધુ રેષા ધરાવે જેથી ઓછી કેલરીમાં પેટ જલ્દી ભરાઈ જાય અને  વજન વધતું અટકાવી શકાય.
  • ટાઇપ -૨ ડાયાબિટીસનો ખતરો ટાળી શકાય
  •  ટાઈપ -૨ ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ મેદસ્વિતા અને ખોટી જીવનશૈલી મનાય છે. સંપૂર્ણ શાકાહાર અને રેસાયુક્ત ખોરાક મેદસ્વિતાથી બચાવી શરીરને આંશિક રીતે ડાયાબિટીસ થવાથી દૂર રાખી શકે
  • ત્વચા માટે ફાયદાકારક 
  • એવું માનવામાં આવે છે કે દૂધ અને દૂધની ચરબી ત્વચાના રોગો માટે ખાસ કારણભૂત હોય છે. દૂધની એલર્જી વિવિધ પ્રકારના ત્વચાના રોગો કરી શકે છે. વીગન ડાયટમાં દૂધનો સમાવેશ થતો નથી એટલે એ રીતે ત્વચા માટે તે ફાયદાકારક નીવડી શકે.

ગેરફાયદા….  

  • વિટામિન બી-૧૨ ની ઊણપ
  •  ૯૦ % વીગન સ્ત્રોત વિટામિન બી-૧૨ ખૂબ જ નહિવત પ્રમાણમાં ધરાવે છે અને એથી મોટા ભાગના વીગનીઝમાં વિટામિન બી ૧૨ની ઊણપ હોય છે.ે
  •  થાક અને અશક્તિ લાગવાં :
  •  જો આપ માંસાહારી હો અને વીગન થવા માંગતાં હો તો આ સૌથી પહેલો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. માંસાહાર દ્વારા ઓછી માત્રામાં વધુ કેલરી મેળવવા શરીર ટેવાયેલું હોય છે. વીગન ડાયટ પ્રમાણમાં ઓછી કેલરી ધરાવતું હોઈ પર્યાપ્ત કેલરી પ્રાપ્ત ન થઈ શકતા શરીરની વજન નિયંત્રણની વ્યવસ્થા ખોરવાય છે. 
  • અપચો :  વીગન ડાયટ ફોલો કરતાં લોકો પ્રોટિન માટે કઠોળ પર જ આધાર રાખે છે. આ કઠોળ ફાઇટેટ અને લેક્તીન જેવા એન્ટી ન્યૂટ્રીએન્ટ્સ ધરાવે છે જે આંતરડાંમાં ગેસ ઉત્પન્ન કરી પેટમાં દુખાવો કરી શકે છે.
  • હોર્મોનના પ્રોબ્લેમ :  મોટાભાગે વીગન લોકો  પ્રાણીના દૂધના બદલે સોયાબીનનું દૂધ અને ટોફુ લેતા હોય છે . સોયાબીન ‘ફાઇટો ઈસ્ટ્રોજન’ નામનો પદાર્થ ધરાવે છે જે શરીરમાં હોર્મોન્સની ઊથલપાથલ કરી શકે છે. ખાસ કરીને પુરુષોમાં સોયાબીન ખૂબ નુકસાનકારક ફેરફાર કરી શકે.  
  • ઓર્થોરેક્સિયા થઈ શકે
  •  કેટલાંક લોકોને “ખૂબ સ્વસ્થ – હેલ્ધી ખોરાક ખાવાની ઘેલછા લાગે છે. હેલ્ધીના નામે જે ગૂગલ પર લખ્યું હોય તેને શબ્દશ: અનુસરે ને અંતે ડિપ્રેશનનો સામનો કરવાનો આવતો હોય છે. આથી મોટા ભાગના સ્વાસ્થ્ય સલાહકરો વીગન શૈલી અપનાવવાની સલાહ આપતા નથી.
  • સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે વર્જ્ય :  સગર્ભા સ્ત્રી અને બાળકો જે વિકાસની અવસ્થામાંથી પસાર થતાં હોય એ લોકોના શરીરમાં પુષ્કળ પોષક તત્ત્વોની જરૂર હોય. અપૂરતી પોષણ વિકાસની પ્રક્રિયાને રૂંધી શકે.

Most Popular

To Top