સુરત : હા, એણે જ મારા પતિને પહેલગામમાં ગોળી મારી હતી! 98 દિવસ પહેલા સુરતના શૈલેષ કળથિયાને ગોળી મારનાર આતંકવાદીને તેમના પત્ની શીતલબેને ઓળખી બતાવ્યો છે. સેનાએ પહેલગામથી 42 કિમી દૂર રિઝર્વ ફોરેસ્ટમાં 3 આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે તમામ પહેલગામ હુમલામાં સામેલ હતા.
- હા, એણે જ પહેલગામમાં મારા પતિને મારી સામે જ ગોળી મારી દીધી હતી: શીતલ કળથિયા
- સુરતના શૈલેષ કળથિયાનો ધર્મ પૂછી હત્યા કરનાર હમઝા ઊર્ફ ફૈઝલ અફઘાન માર્યા ગયેલા ત્રણ આતંકવાદી પૈકીનો એક
એ દિવસે તારીખ હતી 22 એપ્રિલ, દક્ષિણ કાશ્મીરમાં પહેલાગમ ઘાટીમાં મંગળવારે પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં અત્યારે સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા છે. આ હુમલામાં ગુજરાતીઓ પણ મોતને ભેટ્યા છે. જેમાં જન્મ દિવસ ઉજવવા કાશ્મીર ગયેલા સુરતના યુવકનું પણ મોત નીપજ્યું હતું.

કાશ્મીરમાં પોતાનો 44મો જન્મદિવસ ઉજવવા ગયો ને મોત ભેટ્યું
કાશ્મીરમાં પોતાનો 44મો જન્મદિવસ ઉજવવાના એક દિવસ પહેલા સુરતના શૈલેષ કળથિયા પહેલગામમાં આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા હતા, જેના કારણે તેમનો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ કળથિયાના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
શૈલેષ મુંબઈમાં પોસ્ટેડ હતા
એક અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકમાં કામ કરતા શૈલેષ તેની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે રજાઓ ગાળવા કાશ્મીર ગયા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં બેંકની કાંદિવલી શાખાના વીમા વિભાગમાં પોસ્ટેડ હતા. હવે આ ઘટનાના આશરે 98 દિવસ બાદ એટલે કે 28 એપ્રિલે એક એન્કાઉન્ટરમાં સેના એ આ હુમલામાં સંડોવાયેલા ત્રણેય આતંકવાદીને જહન્નુમમાં પહોંચાડી દીધા છે. જે આતંકવાદીઓને સેનાએ ટપકાવી દીધા છે તેમાં સુરતના શૈલેષ કળથિયાને ગોળી મારનાર હમઝા ઊર્ફ ફૈઝલ અફઘાનનો પણ સમાવેશ થાય છે.