National

પશ્ચિમ બંગાળ: બીરભૂમ કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત, અનેક ઘાયલ

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થતાં 7 કામદારોના મોત થયા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘટનામાં અનેક કામદારો ઘાયલ થયા છે. બીરભૂમની વડુલિયા કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો.

પશ્રિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટની જાણ થતા સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વહીવટીતંત્રએ રાહત કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે જેના કારણે રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે તેઓ સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ સોમવારે બીરભૂમની વડુલિયા કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. ઈજાગ્રસ્ત તમામ મજૂરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે. જોકે ઘાયલોની સંખ્યા બાબતે હજી કોઈ જાણકારી મળી રહી નથી. તંત્ર દ્વારા બચાવ કાર્ય વધુ ઝડપી કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા ખાણમાં કામ કરી રહેલા કામદારોના પરિવારજનોને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે.

આ ઘટના બીરભૂમના ખોરાશોલ બ્લોકના લોકપુર પોલીસ સ્ટેશન હેઠળના વડુલિયા ગામમાં બની હતી. સોમવારે વડુલિયામાં ગંગારામચક માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ કોલિયરી (GMPL)માં કોલસાના ક્રશિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કામદારોના મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા. શરૂઆતમાં એવું માનવામાં આવે છે કે કોલસાની ખાણમાં વિસ્ફોટ બેદરકારીના કારણે થયો હતો.

ખોરાશોલની આ ખાણ પીડીસીએલ દ્વારા લીઝ પર લેવામાં આવી છે અને તે રાજ્ય સરકાર હેઠળની ખાણ છે. કોલસો કાઢવા માટે બ્લાસ્ટિંગ વખતે અંદર કોઈ હતું કે કેમ તેની તપાસ કેમ ન કરાઈ? આ ઘટના માટે જવાબદાર કોણ? આ સવાલો ઉઠી રહ્યા છે. જો કે માઈનીંગ ઓથોરિટીના અધિકારીઓએ વિસ્તાર છોડી દીધો હોવાથી સ્થિતિ વધુ શંકાસ્પદ બની છે. થોડા દિવસો પહેલા બીરભૂમમાં ખાણમાં ધસી પડતા ત્રણ મજૂરોના મોત થયા હતા, જ્યારે આ વખતે વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top