Comments

ગુજરાતમાં જેલ વ્યવસ્થા પરિવર્તન માગે છે

વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં ૧૨ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરી ૨૫ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારનાર અને ૭૧૩ લોકોને જખમી કરનાર યાકુબ મેમણને ફાંસી આપવાનો ચુકાદો ટાડા કોર્ટે વર્ષ ૨૦૦૭માં આપ્યો હતો, પણ આ દેશનાં પ્રામાણિક નાગરિકોનાં ટેક્સનાં પૈસા વસુલ કરવાનું હજુ બાકી હશે તો છેવટે રર વર્ષ પછી મેમણને નાગપુરની જેલમાં રૂ. ર૧.૯ લાખના ખર્ચે ફાંસી આપવામાં આવી.

વર્ષ ૨૦૦૮માં દરિયા રસ્તે મુંબઇ પહોંચી ૧૬૬ લોકોને મોતને ઘાટ ઉતારનાર અજમલ કસાબને જેલમાં સાચવવાં મહારાષ્ટ્ર સરકારે રૂ. રપ કરોડ ખર્ચવા પડ્યા! ભારતીય સંવિધાનનું રક્ષણ કરવા માટે પ્રવૃત્ત સંસદ ભવન ઉપર જ હુમલો કરનાર અફઝલ ગુરુનું જેલવાસ દરમિયાન જતન કર્યુ અને તમામ બંધારણીય વિપોમાંથી પસાર થતાં સુધી રાહ જોઈ છેવટે ૨૦૧૨માં તિહાર જેલમાં ફાંસી બજાવવામાં આવી.

વર્ષ ૧૮૯૪થી અમલી The Prisons Actમાં અંગ્રેજોએ નોંધ્યુ કે, “A Society gets as many criminals as it deserves” અને આથી સ્વાતંત્ર્યની લડત સમયે આંદામાન-નિકોબારમાં કાળા-પાણીની સજા આપતી સિતમ ગુજારતી, સેલ્યુલર જેલ વિકસાવવામાં આવી. તે પછી ૬૧ વર્ષે ૧૯૫૫માં The Bombay Jail Manual દ્વારા જેલ સુધારણા અમલી બનાવવાનો પ્રયત્ન થયો. વાલીયો લુટારો વાલ્મીકી બન્યો; તેવાં પ્રાચીન પ્રમાણને મધ્યસ્થ રાખી બંદીજનો સમાજનું જ એક અવિભાજ્ય અંગ છે તેવી સામાજિક પ્રતીતિ આપવા રાજ્ય સરકારે ભગીરથ પ્રયત્ન અને ખર્ચ પ્રારંભ્યો છે.

જેલની સુધારણા સાથે ૧૯૯૩માં Human Right Protection Act નીચે જેલને માનસિક રોગના સારવાર કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યુ; એટલુ જ નહીં પણ જેલ ખાતાના ઉદ્દેશમાં લખાયુ કે, (૧) નામદાર કોર્ટ દ્વારા ગુનેગારોને કરવામાં આવતી સજાનું પાલન કરવું. (૨) જેલમાં આવેલ કેદીઓની સલામતી જાળવવી. (૩) કેદીઓને શારીરિક, માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવી. (૪) શિક્ષાના ભાગરૂપે કેદીઓને રોજગારલક્ષી ઉદ્યોગની તાલીમ આપવી ઉપરાંત (૫) કેદી જેલમુક્ત થાય પછી સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા સુધારાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું.

જેલની બદલાયેલ વિભાવનાને આકાર આપવા ગુજરાત રાજ્યે અમદાવાદ, વડોદરા ખાતે મધ્યસ્થ જેલ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં મોતની સજા પામેલા, પાંચથી વધુ વખત જેલમાં ગયેલ રીઢા ગુનેગારો તેમ જ આજીવન કારાવાસના કેદીઓને રાખવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર પ્રકારે ૮ જીલ્લા કેન્દ્રોમાં તેમ જ પોરબંદર-ભૂજમાં ખાસ જેલ તો અમરેલીમાં ખુલ્લી જેલ અને ૧૧ જીલ્લાઓમાં સબજેલ વિકસાવવામાં આવેલ છે.

વર્ષ ૧૮૮૧માં સ્થાપિત વડોદરા જેલથી શરૂ કરી ર૦૦૮માં સ્થપાએલ ગોંડલ સબજેલમાં ૭૧૩૧ કેદીઓને સમાવવા ક્ષમતા છે. પણ જેલ ખાતાના વાર્ષિક અહેવાલ મુજબ ૧૭૪૬૪ કેદીઓને રાખવા પડે છે. આ માટે ભારત સરકારના ૭૫% અને રાજ્ય સરકારના ૨૫% ફાળા સાથે જેલ સુધારણા માટે સરકાર વાર્ષિક 96852 કરોડનો ખર્ચ કરે છે. જેલ નિવાસ દરમિયાન કેદીઓને સવારે ૭ વાગ્યે પ્રાર્થના, યોગ બાદ ચા સાથે ૧૨૫ ગ્રામ નાસ્તો, બપોરે ૩૫૦ ગ્રામ વજનમાં પ્રત્યેક કેદીને દાળ, ભાત, શાક, રોટલી-રોટલા અને ગોળ પીરસવામાં આવે છે. કાચા કામના કેદીઓ સિવાયના બાકીનાં ઉત્પાદકીય શ્રમ સાથે જોડાય છે અને સાંજના ૪-૩૦ થી ૬ દરમિયાન વાંચન, પ્રવચન પ્રકારના કાર્યક્રમો બાદ સાદું ભોજન આપવામાં આવે છે.

રમત-ગમત, માત્ર વડોદરાની મધ્યસ્થ જેલમાં જ ૨૧ થી ૨૭ વાહનો રાખવામાં આવ્યા છે. ૨૮૬ કર્મચારીઓ જેલના કેદીઓની વ્યવસ્થા કરે છે અને કેદીઓના પુનર્વસનના કલ્યાણકારી ખ્યાલથી જેલમાં સુથારી, વણાટ, બેકરી, પ્રિન્ટીંગ પ્રેસ, ગૌપાલન પ્રકારે ૨૦ થી ૨૬ તાલીમો આપવામાં આવે છે. ઉપરાંત આર્ટ ઓફ લિવિંગ, યોગ, નિરક્ષરતા નિવારણ, વ્યસનમુક્તિ, વાંચનાલય પ્રકારે કાર્યક્રમો સાથે ગુનેગારોની સુધારણા અપેક્ષિત રાખવામાં આવે છે.

આવો રખ-રખાળ હોવા છતાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૭,૮૯૨ દરદી અને ૨૨-૨૩માં લગભગ ૪૨૦૦૦ કેદી દરદીઓની લેપ્રસી, શ્વાસોશ્વાસ, ન્યુમોનિયા પ્રકારે રોગની સારવાર કરવી પડેલી, જેનું ડૉકટરી બીલ ગુજરાતનાં પ્રામાણીક ટેક્સ પેયર નાગરિકોએ ભોગવ્યું છે. અંગ્રેજોએ વિશાળ પરિસરમાં સ્થાપેલ જેલ ગ્રાઉન્ડમાં ટેક્સ ફ્રી ઝોન કરી ઉદ્યોગોને આમંત્રિત કરી ગુનેગારો ફરજિયાતપણે જાત કમાઇ કરે તેવો આગ્રહ રાખવો જોઇએ. મોટર વાઇડીંગ, ઓટો મોબાઇલ રીપેરીંગ, હીરાઉદ્યોગ, ઇલેક્ટ્રોનિકસ ઇન્સ્ટ્રુમેન્ટ રીપેરીંગ જેવા માર્કેટ ફ્રેન્ડલી ઉદ્યોગોને તાલીમ અને ઉત્પાદન સાથે જોડવા જોઇએ.

જેમ ધર્મના નામે પાખંડ વહેંચાઇ રહ્યું છે તેમ, જેલ વ્યવસ્થાના નામે ગુનેગારીનો નિભાવ થઇ રહ્યો છે જે ચિંતાકારી છે. ત્યારે ચીન સહિત દુનિયાનાં દેશો હવે જેલને સ્વાવલંબી બનાવી પ્રમાણિક નાગરિકોના ટેક્સને વેડફવાનો રસ્તો ક્રમશઃ બંધ કરી રહ્યાં છે અને જેલના કેદીઓને જેલ પરિસરમાં કામઢા માણસ તરીકે પુરવાર કરવાની તક આપી તેને સમાજ ઉપર બોજારૂપ ન બનવાની ફરજ પાડી રહ્યાં છે. નામ ‘જેલ સુધારણા’ છે પણ ખરેખર ગુનેગારોની માનસિકતામાં ફરક પડતો જ નથી. તે જેલ અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયું જ છે. ત્યારે જેલ સુધારણા કાયદાને ફરી વિચારણા હેઠળ મૂકવામાં આવે તે સમયની માગ બને છે.

Indian Penal code હેઠળ ગુનેગારને સંરક્ષણ આપનાર સ્વયં ગુનેગાર ઠરે છે તો જેલ સુધારણાના નામે ગુનેગારોને કામચલાઉ વિસામો આપતી જેલ અને જેલની વ્યવસ્થાને ગુનેગાર ન કહેવી પડે? ઘણી લાંબી પ્રક્રિયા છે આમ છતાં, ‘જેલ સુધારણા’ વિષયે ફેર વિચારણા કરીને કમ સે કમ પ્રમાણિક અને વફાદારીથી ભરપૂર દેશનાં નાગરિકોનાં અધિકારનું જતન થવું જોઈએ. આ માટે રાજ્યનાં ગૃહ વિભાગે હિંમત દાખવી પહેલ કરવી રહી.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top