National

‘વિઝા રદ.. પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો’, અમિત શાહનો તમામ રાજ્યોને આદેશ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સંબંધિત તમામ વિઝા રદ કરવાના નિર્દેશો આપ્યા છે.

આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના રાજ્યોમાંથી કાઢી મૂકે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. આ હુમલા પછી, ભારત સરકારે સૌપ્રથમ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ મુલતવી રાખી. ભારતે પાકિસ્તાનને ઔપચારિક પત્ર લખીને સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની જાણ કરી હતી.

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં સિંધુ જળ સંધિ મુલતવી રાખવાનો નિર્ણય પણ સામેલ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960 થી સિંધુ જળ સંધિ અમલમાં છે. સિંધુ નદીને પાકિસ્તાનની જીવાદોરી માનવામાં આવે છે. 21 કરોડથી વધુ વસ્તી તેમની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે સિંધુ અને તેની ચાર ઉપનદીઓ પર આધાર રાખે છે.

આ ઉપરાંત અટારી બોર્ડર બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પાછા ફરવા માટે 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાની હાઇ કમિશનમાં તૈનાત પાકિસ્તાની સંરક્ષણ સલાહકારોને દેશ છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.

ઉપરાંત બંને હાઇ કમિશનમાં તૈનાત કર્મચારીઓની સંખ્યા 50 થી ઘટાડીને 30 કરવામાં આવી હતી. નોંધનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા.

Most Popular

To Top