National

ગાઝિયાબાદમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ હોબાળો, રોષે ભરાયેલી ભીડે તોડફોડ અને આગચંપી કરી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં એક સગીરા સાથે દુષ્કર્મનો (Rape) મામલો સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જેમાં ઘટનાથી રોષે ભરાયેલી ભીડે ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનની (Police Station) બહાર નારાબાજી કરી હતી. તેમજ ‘બાળાત્કારીઓને ફાંસી આપો’ના પોસ્ટર લહેરાવ્યા હતા. ત્યારે ભીડને કાબુ કરવા માટે પોલીસે ભીડ ઉપર લાઠીચાર્જ પણ કર્યો હતો.

અસલમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં બ્રિજ વિહાર વિસ્તારમાં બુધવારે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે મામલાની જાણ થતા જ પોલીસે કાર્યવાહી શરુ કરી હતી, અને ઘટનાના મુખ્ય આરોપી ફૈઝાનની ધરપકડ કરી હતી. જો કે આરોપીની ધરપકડ થવા છતાં લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ન્યાયની માંગણી સાથે ગઇકાલે પ્રદર્શનો કર્યા હતા. ન્યાયની માંગણી કરી રહેલી આ ભીડે આરોપીની દુકાનની બહાર રાખેલા સામાન અને વાહનોની તોડફોડ કરી હતી. આટલું જ નહીં પણ લોકોના એક ટોળાએ આરોપીની દુકાનની બહાર પાર્ક કરેલી ઈ-રિક્ષાને પણ આગ ચાંપી દીધી હતી. દરમિયાન ગામ લોકો દ્વારા કરાયેલી તોડફોડ અને હોબાળાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને સામાન્ય કરી હતી.

આ છે આખો મામલો:
સમગ્ર મામલે સાહિબાબાદના એસીપી રજનીશ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, બ્રિજ વિહાર ચોકી વિસ્તારમાં રહેતો એક પરિવાર ગઇકાલે ગુરુવારે સવારે લિંક રોડ પોલીસ સ્ટેશન આવી હતી અને તેમણે પોતાની 14 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં સગીરાના પરિવારે જણાવ્યું હતું કે ભંગારનો વ્યવસાય કરતા વિધર્મીએ તેમની દિકરી સાથે શારિરીક અડપલા કરી ખોટું કામ કર્યું છે. આ સાથે જ સગીરાના પરિવારે પોતાની દિકરી સાથે મારપીટ થઇ હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ મામલે વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે સગીરાના પરિવારની ફરિયાદ બાદ તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારના લોકો ગુસ્સે થઈ ગયા હતા વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

લોકોએ નારા અને પોસ્ટર લગાવ્યા
આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરતા ગુરુવારે સાંજે વિસ્તારની કેટલીક મહિલાઓ અને પુરૂષો બેનરો અને પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરતા સૂર્યનગર પોલીસ ચોકી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, ઘટનાને 24 કલાક વીતી ગયા હોવા છતા પોલીસે હજુ સુધી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને જો કોઈ આરોપી પકડાયો હોય તો તેને ભીડ સમક્ષ હાજર કરવામાં આવે. આ સાથે જ પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે, ઘટનાનો આરોપી ભંગારનો વેપારી હોય આ વિસ્તારમાં આવેલી તમામ ભંગારની દુકાનો પણ હટાવવામાં આવે. ત્યાર બાદ ટોળાએ ધરણા કરી રોડ બ્લોક કરી દીધો હતો અને આસપાસની દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું હતું.

સગીરા સાથે સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો?
ઘટના અંગે માહિતી આપતા પીડિતાની કાકીએ જણાવ્યું કે બુધવારે સાંજે ઘરના તમામ લોકો કામ પર ગયા હતા. આ દરમિયાન 3-4 છોકરાઓ જે ભંગારની ખરીદી અને વેચાણ કરી રહ્યા હતા તેઓ પાછળનો ગેટ કૂદીને અંદર પ્રવેશ્યા અને સગીર દિકરીને બેભાન કરીને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની કાકીએ વધુમાં જણાવ્યું કે જ્યારે સગીરાએ વિરોધ કર્યો તો તેણીને માર મારવામાં આવ્યો. જોકે, પોલીસનું કહેવું છે કે જ્યારે પીડિતાનો પરિવાર ગુરુવારે સવારે પોલીસ સ્ટેશન આવ્યો હતો, ત્યારે તેઓએ માત્ર એક જ વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ તરત જ કેસ નોંધવામાં આવ્યો હતો અને પરિવાર દ્વારા જે વ્યક્તિ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો તે વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.

‘જો કાર્યવાહી નહીં થાય તો કમિશનર કચેરી ખાતે આંદોલન કરીશું’- હિન્દુ સંગઠનો
પોલીસે કહ્યું કે હવે પીડિતાના પરિવારના સભ્યો 3-4 યુવકો પર આરોપ લગાવી રહ્યા છે, તેથી આ કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. બીજી બાજુ ઘટનાસ્થળે હાજર હિન્દુ સંગઠનના લોકોનું કહેવું છે કે આ ઘટના બુધવારે રાત્રે બની હતી. આરોપીની ભંગારની દુકાન છે જ્યાં અસામાજિક તત્વો દરરોજ ભેગા થાય છે. જેનાથી પોલીસ સુરક્ષા પર સવાલો ઉભા થાય છે કારણ કે જો પેટ્રોલિંગ હોત તો કદાચ આ ઘટના ન બની હોત. જો આ ઘટનામાં સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Most Popular

To Top