Comments

અમેરિકન ડેલિગેશનની દલાઇ લામા સાથે મુલાકાત : ચીન-તિબેટ વિવાદ ફરી ચર્ચામાં

તાજેતરમાં જ અમેરિકન સાંસદોનું એક ગ્રુપ અમેરિકન સંસદની વિદેશી બાબતોને લગતી સમિતિના અધ્યક્ષ માઇકલ મેકોલ તેમજ પૂર્વ સ્પીકર નાન્સી પેલોશી સહિત ધર્મશાળામાં દલાઈ લામાને મળ્યું. તેમણે દલાઈ લામાને સેનેટ તેમજ ગૃહ બંને દ્વારા પસાર કરવામાં આવેલ અને અત્યારે અમેરિકન પ્રમુખની સહી માટે પડતર છે તે કાયદાના મુસદ્દાની નકલ આપી. જ્યારે પ્રમુખની તેના પર સહી થશે ત્યારે એ કાયદો બનશે. બીજા દિવસે આ આખુંય ડેલિગેશન દિલ્હી આવીને વડા પ્રધાન મોદીને પણ મળ્યું.

આ કાયદામાં મુખ્યત્વે ચીનને દલાઈ લામા સાથે વાર્તાલાપ શરૂ કરી સમગ્ર બાબતે કોઈ ઉકેલ શોધી કાઢવા માટે અપીલ કરવામાં આવી છે. અમેરિકન સેનેટરોએ જે અહેવાલ દલાઈ લામાને આપ્યો, તે બાબતે દલાઈ લામા મધ્યમમાર્ગીય ઉકેલની વાત કરી ચૂક્યા છે. તેમણે કહેલું છે કે, તેઓ પોતે અથવા તિબેટ, ચીનથી સ્વતંત્રતા નથી ઇચ્છતા, તેઓ ચીનનો ભાગ રહીને મર્યાદિત સ્વાયત્તતા ભોગવવા માંગે છે, જેમાં વિદેશનીતિ તેમજ સંરક્ષણ બાબતો ચીનના હાથમાં રહે તેમજ બાકીનો વહીવટ તિબેટનો.

જો કે આ પ્રકારની સ્વાયત્તતા આપવામાં આવે તો ચીનની ‘વન ચાયના પૉલીસી’ની વિરુદ્ધ જાય છે. બીજી એક રસપ્રદ બાબત એ છે કે કેટલાક સમય પહેલાં અમેરિકન પ્રમુખ બાઇડને ન્યૂયૉર્ક ટાઇમ્સના ફરીદ ઝકરિયાને કહ્યું હતું કે, ‘હું ચીનને જાણું છું. હું જિનપિંગને પણ જાણું છું. તેઓ વિસ્તારવાદી નથી પણ જે એમને લાગે છે કે એમનું પોતાનું છે તે પાછું મેળવીને જ જંપશે અને એ બે વિસ્તારો જે ચીન ખુલ્લેઆમ કહેતું આવ્યું છે કે તાઇવાન અને તિબેટ છે.’

વિદેશમંત્રી જયશંકરે પણ એક કરતાં વધુ વખત કહ્યું છે કે, મલ્ટીપોલર વર્લ્ડ માટે મલ્ટીપોલર એશિયા પણ જરૂરી છે. આમ, જયશંકર પોતાના સ્ટેટમેન્ટમાં પણ એક કરતાં વધુ ધ્રુવ ધરાવતા એશિયાની વાત કરે છે. જ્યારે આપણે સલામતીને લગતી બાબતોની ચર્ચા કરીએ ત્યારે આ આખીયે બાબતને સંપૂર્ણ અલગ દૃષ્ટિકોણથી જોવી જરૂરી બને છે. ચીન અને અમેરિકા બંને મિલિટરી સ્પર્ધામાં જોડાયેલા છે. ભારતીય બાજુએ આ અહેવાલને કારણે મોદી સરકાર ચીન સાથેના સંબંધોમાં એક નવું પાસું ખોલતી હોય તેવું લાગે છે, જે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષી સંબંધો પર ચોક્કસપણે અસર કરી શકે અને આ બાબતની અગત્ય જોતાં એના વિશે ઝીણવટભરી સમજ બંને દેશો માટે જરૂરી છે.

ચીનને જે દેશો સાથે સંબંધ છે તે બધા દેશો પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તેઓ ‘વન ચાયના પૉલીસી’ સ્વીકારે. અમેરિકા સમેત આખી દુનિયા જાણે છે કે ‘વન ચાયના પૉલીસી’ અંતર્ગત ચીનની તાઇવાન અંગેની નીતિને પણ આવરી લે છે, જે મુજબ તાઇવાન એ ચીનનો ભાગ છે. જો તમારે ચીન સાથે દ્વિપક્ષી સંબંધો વિકસાવવા હોય તો તાઇવાન ચીનનું અવિભાજ્ય અંગ હોવાની વાત સ્વીકારવી જ પડે. જ્યાં સુધી ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ‘વન ચાયના’ની વાત સીધી તિબેટને સ્પર્શે છે. તિબેટ ચીનનો ભાગ છે એ ભારત-ચીન સંબંધ માટે પાયાની સ્વીકૃતિ છે.

તિબેટનો પ્રશ્ન દલાઈ લામા માટે એકદમ મર્યાદિત છે. દલાઈ લામા માને છે કે, ચીન તિબેટનો ભાગ છે અને એ સામે એમને કોઈ વાંધો પણ નથી પણ ચીન અને દલાઈ લામાના સંબંધોમાં વિદેશ નીતિ તેમજ સંરક્ષણ સિવાય બાકીની બાબતે સ્વાયત્તતા આપવાની વાત ચીનને મંજૂર નથી. હવે આ પરિપ્રેક્ષ્યમાં અમેરિકન ડેલિગેશને દલાઈ લામાને જે સંભવિત કાયદાની નકલ મોકલાવી તે કોઈ પણ રીતે બંધ બેસે તેમ નથી. આ ડેલિગેશન ધર્મશાળાથી પાછું આવતા પ્રધાનમંત્રીશ્રીને મળ્યું એના કારણે ચીન છંછેડાય એવી પૂરી શક્યતાઓ ઊભી થઈ શકે, એ આપણી વિદેશનીતિ જેમના હાથમાં છે તેમના ખ્યાલ બહાર ન જ ગયું હોય.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top