SURAT

માનદરવાજાના નળ અને ડ્રેનજના કનેક્શન કાપવા પાલિકાના અધિકારીઓ પહોંચતા હોબાળો

સુરત: શહેરના લિંબાયત ઝોનમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટને ઉતારી પાડવાની સુરત મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ પિરીયડ પુરો થયા બાદ પણ લોકોએ મકાનો ખાલી કર્યા નથી. આજે સુરત મનપાના અધિકારીઓ નળ અને ડ્રેનેજના કનેકશન કાપવા પહોંચ્યા હતા. પાલિકાના અધિકારીઓએ એનાઉસમેન્ટ કરતા લોકો ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે અધિકારીઓએ પાછા ફરવું પડ્યું હતું.

સુરત માનદરવાજાના જર્જરિત ટેનામેન્ટને ઉતારી પાડવા પાલિકાએ નોટિસ આપી છે, પરંતુ સ્થાનિક રહીશો પાસે બીજા કોઈ મકાન કે આશરો નહીં હોવાથી તેઓ મકાન ખાલી કરવા માંગતા નથી. આજે નોટિસ પીરિયડ પુરો થતાં પાલિકાના અધિકારીઓ નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવા પહોંચી હતી ત્યારે સ્થાનિર રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

રહીશોએ કહ્યું કે, અહીં રહેતા પરિવારોની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોવાના કારણે ભાડાનું મકાન પરિવારોને પોષાય તેમ નથી. પાલિકા આવાસ આપે અથવા તો ભાડા આપે તેવી માંગણી કરી હતી. જોકે, આ નીતિ વિષયક નિર્ણય હોવાથી લિંબાયત ઝોનની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.

મકાનો જર્જરિત છતાં રહીશો ખાલી કરવા તૈયાર નહીં
ચોમાસાની શરૂઆત સાથે પાલિકાએ બિસ્માર મિલકત ઉતારવા માટેની નોટિસ આપી છે તેમાં અઠવાડિયા પહેલાં ફરી એક વાર માન દરવાજા ટેનામેન્ટના રહીશોને લેખિત બાદ મૌખિક નોટિસ આપી હતી. ટેનામેન્ટ બિસ્માર હોવા છતાં નબળી સ્થિતિના લીધે અનેક રહીશોએ મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આજે જ્યારે લિંબાયત ઝોનના અધિકારીઓ કનેક્શન કાપવા પહોંચ્યા ત્યારે મકાનો ખાલી કરવા ના પાડી દીધી હતી.

જોડાણ કાપવા આવેલા પાલિકાના કર્મચારીઓ સામે રહીશોની સીધી વાત અનેક લોકો કમાતા નથી જે લોકોની વ્યવસ્થા નથી તેઓ સ્વૈચ્છિક વ્યવસ્થા કઈ રીતે કરે ? તેની સામે પાલિકાના કર્મચારીઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા. આ મુદ્દે હવે પાલિકા અને ટેનામેન્ટના રહીશો બંનેની હાલત કફોડી થઈ રહી છે.

Most Popular

To Top