સુરતઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે તા. 23 જાન્યુઆરીએ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં વેસુની 5000 વાર જમીન પર 250 કરોડના ખર્ચે 2.75 સ્કે.ફીટની બનેલી શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને 36 બેડના શ્રી ફુલચંદભાઈ જયકિશનદાસ વખારીયા સેનેટોરિયમનું ગૃહમંત્રીએ ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે નરેન્દ્ર મોદીના અનેક કાર્યો પૈકી એક કામને સૌથી સારું ગણાવ્યું હતું.
- સુરતના વેસુમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ 250 કરોડના ખર્ચે બનેલી 110 બેડની શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને 36 બેડના શ્રી – ફુલચંદભાઈ જયકિશનદાસ વખારીયા સેનિટોરીયમનું ઉદ્દઘાટન કર્યું
- કેન્સરની સારવાર ક્ષેત્રે સુરત આત્મનિર્ભર બનશેઃ અમિત શાહ
- ‘મોદીએ આ કામ સૌથી સારું કર્યું’, અમિત શાહે સુરતમાં પીએમની આયુષ્યમાન ભારત યોજનાના ખૂબ વખાણ કર્યા
- આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ 8 વર્ષમાં 317 કરોડ દર્દીઓએ ફ્રી સારવાર મેળવીઃ શાહ
શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જીવનમાં અનેક યુગ પરિવર્તનકારી કાર્યો કર્યા છે, પરંતુ તેમાં સૌથી સારું કામ આયુષ્યમાન ભારત યોજનાનું કર્યું છે. દેશના લોકોની સ્વાસ્થ્યની ચિંતા પહેલાં ખાનગી દાતાઓના ભરોસે હતી પરંતુ આયુષ્યમાન ભારત અને મા કાર્ડ યોજનાને લીધે હવે ગરીબો ખાનગી હોસ્પિટલોમાં પણ ફ્રીમાં સારવાર કરાવી શકે છે. આ સાથે ગૃહમંત્રીએ આયુષ્યમાન ભારત યોજનાના પાછલાં 8 વર્ષના લેખાંજોખાં ગણાવ્યા હતા.
8 વર્ષમાં 317 કરોડ દર્દીઓએ મફ્ત સારવાર મેળવી
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાછલાં 8 વર્ષમાં દેશમાં 317 કરોડ દર્દીઓએ મફત સારવાર (રૂ. 10 લાખ સુધીની) મેળવી છે. 71 કરોડ કાર્ડ બન્યા છે. 64 કરોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાયું છે. 10,000 પ્રધાનમંત્રી જનઔષધિ દુકાનો શરૂ થઈ છે, જેમાં 25,000 કરોડની દવાઓ અડધા ભાવે આપવામાં આવી છે. 2013-14માં દેશમાં 387 મેડિકલ કોલેજ હતી આજે 766 છે. દર વર્ષે 1.15 લાખ ડોક્ટરો ભણીને બહાર આવે છે. 2013-14માં હેલ્થ સેક્ટર માટે સરકારનું બજેટ 37000 કરોડ હતું જે 2023-24માં 98,000 કરોડ પર પહોંચ્યું છે.
સુરત પશ્ચિમ ભારતની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બન્યું
સુરતને ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતી હતી, પરંતુ આજે ગૃહમંત્રી અમિત શાહે સુરતને પશ્ચિમ ભારતની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર ગણાવ્યું હતું. શાહે કહ્યું ભાજપ શાસનમાં સુરતનો ખૂબ વિકાસ થયો છે. વસતી વધી છતા છેલ્લાં 6 વર્ષથી સુરત દેશમાં સ્વચ્છતા ક્ષેત્રે રેકોર્ડ કરી રહ્યું છે. એવોર્ડ જીતી રહ્યું છે.
મેં જોયેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલઃ અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું કે, મેં અનેક હોસ્પિટલો જોઈ છે, પરંતુ મહાવીર કેન્સર હોસ્પિટલ અત્યાર સુધીની સૌથી સારી સગવડ આપતી હોસ્પિટલ છે. અહીં દીવાલોને વારંવાર રંગ ન કરવો પડે તેનું પણ ધ્યાન રખાયું છે, જેથી દર્દીઓને તકલીફ ઓછી થાય. અહીં એક જ છત નીચે કેન્સરના નિદાનથી સારવાર સુધીની તમામ સગવડો ઉપલ્બ્ધ છે.
ગરીબ દર્દીઓ માટે આયુષ્યમાન-મા કાર્ડની સ્કીમનો ફાયદો મળશે. ટ્રસ્ટીઓએ સુંદર વ્યવસ્થા કરી છે. આ હોસ્પિટલ ચોક્કસ જ નબળા વર્ગના દર્દીઓ માટે સારવારનું કેન્દ્ર બની રહેશે એવો મને વિશ્વાસ છે. હોસ્પિટલમાં કિમોથેરાપી, રેડિયેશન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, પેટ સ્કેન સહિત અનેક સુવિધાઓ આપતા મશીનો ઉપલ્બ્ધ છે. કેન્સરની સારવાર ક્ષેત્રે સુરત હવે આત્મનિર્ભર બનશે.
શેઠીયાઓ ગરીબ દર્દીની ચિંતા કરજો
છેલ્લે અમિત શાહે દાતાઓના વખાણ કર્યા હતા. આ સાથે ટકોર કરી હતી કે આયુષ્યમાન કાર્ડનો પનો ટૂંકો પડે તો શેઠિયાઓ ગરીબ દર્દીઓની ચિંતા કરજો. મદદ કરતા રહેજો.
કેન્સરની સારવાર માટે મુંબઈ નહીં જવું પડેઃ હર્ષ સંઘવી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સુરતમાં મહાવીર હોસ્પિટલ શરૂ થતાં હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓએ કેન્સરની સારવાર માટે મુંબઈ અને અમદાવાદ સુધી લાંબા થવું પડશે નહીં.