Dakshin Gujarat

ઉમરદામાં મનરેગાનાં કામો કર્યા વિના જ ખાતામાં આવેલા પૈસા વચેટિયાએ ઉપાડી લીધા!

ઉમરદા ગામે મનરેગા રોજગાર યોજના હેઠળ ગામમાં રોજગારીનાં કામો કર્યા વિના જ વચેટિયાએ યેનકેન પ્રકારે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ સાથે ગ્રામજનોએ ટીડીઓને લેખિત ફરિયાદ કરી છે. ઉમરદાના યુવાનો, મહિલાઓ મનરેગા હેઠળ રોજગારીથી વંચિત રહેતાં તાલુકા મથક કચેરી ખાતે પહોંચ્યા હતા અને ટીડીઓને લેખિત ફરિયાદ કરી જણાવ્યું કે, વર્ષોથી અમારા ગામમાં મનરેગા યોજના હેઠળ કોઈ લાભ મળતો નથી. વર્ષ-૨૦૨૧ સુધીમાં મનરેગાનું કોઈ કામ કરવામાં આવ્યું નથી.

છતાં ગ્રામ પંચાયતના જી.આર.એસ. સંદીપભાઈ સીડીયાભાઇ પાડવીએ કાવતરું રચી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની ગેરહાજરીમાં ગ્રામજનોના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. ગ્રામ પંચાયતના જવાબદારો દ્વારા ગ્રામસભા બોલવામાં આવતી નથી. મનરેગામાં મળતા લાભથી ગ્રામજનો વંચિત છે. ગ્રામજનોની દસ-પંદર દિવસની હાજરી બતાવી 100 દિવસની રોજગારીના પૈસા આઇ.ડી.બી.આઈ.ના બેંક ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા છે. જવાબદાર જી.આર.એસ. સંદીપ પાડવી સહિત તમામ જવાબદારો વિરુદ્ધ નિયત સમયમાં કાર્યવાહી કરી ગામજનોને ન્યાય નહીં આપવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top