SURAT

ઉધનામાં રેલ દુર્ઘટનાઃ ટ્રેનના ડબ્બાં પાટા પરથી ઉતરી ગયા

સુરતઃ સુરત નજીકના ઉધના રેલવે સ્ટેશન પાસે આજે તા. 27 ઓગસ્ટના રોજ રેલ દુર્ઘટના થતાં દોડધામ મચી ગઈ હતી. અહીં ઉધના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતના પગલે તંત્ર દોડતું થયું હતું. રેલવેનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે, યાર્ડમાં ટ્રેન પાટા પરથી ખરી પડી હોય કોઈ જાનહાનિ થઈ નહોતી. તેથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળતા સહેજવારમાં રહી ગઈ હતી. ઉધના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતાં. જેથી રેલવે વિભાગના એન્જિનિયર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પાટા પરથી ખરી ગયા હતાં. ત્રણથી ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા. ઉધના યાર્ડમાં ઉધના-દાનાપુર ગાડી રિવર્સ લેતા પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના થઈ નહોતી. ઉધના યાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઘટનાની ગંભીરતા સમજતા અધિકારીઓએ તરત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાવી ગાડી પાટે ચડાવવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. હાલની સ્થિતિ સામાન્ય થઈ છે. જો કે, અવારનવાર સર્જાતી દુર્ઘટનાને લઈને તંત્ર સામે સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top