જમ્મુ-કાશ્મીરના કુલગામના અખલ જંગલમાં શનિવારે સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. બંનેના મૃતદેહ પણ મળી આવ્યા છે. એક આતંકવાદીની ઓળખ પુલવામાના હારિસ નઝીર ડાર તરીકે થઈ છે. જોકે બીજાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પહેલગામ હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓએ 14 નામ જાહેર કર્યા હતા જેમાંથી 7 માર્યા ગયા છે.
હારિસ આજે સવારે માર્યો ગયો હતો જ્યારે બીજો આતંકવાદી બપોરે માર્યો ગયો હતો. હારિસ સી-કેટેગરીનો આતંકવાદી હતો. તે 14 સ્થાનિક આતંકવાદીઓની યાદીમાં હતો જેમના નામ પહેલગામ હુમલા પછી 26 એપ્રિલે ગુપ્તચર એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. તેની પાસેથી AK-47 રાઇફલ, મેગેઝિન અને ગ્રેનેડ અને દારૂગોળો મળી આવ્યો છે.
કુલગામમાં ગઈકાલે રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPF ‘ઓપરેશન અખલ’ ચલાવી રહ્યા છે. જંગલમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે. બંને બાજુથી ગોળીબાર ચાલુ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા વિશે હજુ સુધી માહિતી મળી નથી. આ ઓપરેશનને પાર પાડવા માટે વધુ સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં આ અઠવાડિયામાં આ ત્રીજું એન્કાઉન્ટર છે. અગાઉ 28 જુલાઈના રોજ ઓપરેશન મહાદેવ હેઠળ સુરક્ષા દળોએ લિડવાસના જંગલોમાં પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 31 જુલાઈના રોજ પૂંચમાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરી દરમિયાન વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
14 સ્થાનિક આતંકવાદીઓમાંથી 7 માર્યા ગયા, 7ની શોધ ચાલી રહી છે
સુરક્ષા દળો દ્વારા જે 14 આતંકવાદીઓની યાદી બહાર પાડવામાં આવી હતી તેમાંથી 7 અત્યાર સુધીમાં ઠાર મારવામાં આવ્યા છે. હારિસ નઝીર સિવાય બાકીના 6 આતંકવાદીઓ મે મહિનામાં શોપિયન અને પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા. 13 મેના રોજ શોપિયામાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ શાહિદ કુટ્ટે, અદનાન શફી, અહેસાન ઉલ હક શેખ હતા. 15 મેના રોજ પુલવામા એન્કાઉન્ટરમાં આમિર નઝીર વાની, યાવર અહેમદ ભટ અને આસિફ અહેમદ શેખ માર્યા ગયા હતા.