National

મોટો ખુલાસો: માલગાડીના ડ્રાઈવરની ભૂલના લીધે દાર્જિલિંગમાં ટ્રેન અકસ્માત થયો, 8ના મોત

ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ગુડ્સ ટ્રેન અને કંચનજંગા એક્સપ્રેસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 8થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. માલગાડીએ પાછળથી કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. હવે વાત સામે આવી છે કે ટ્રેનના લોકો પાયલટે સિગ્નલની અવગણના કરી હતી જેના લીધે દુર્ઘટના સર્જાઈ છે.

રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ કહ્યું કે આજે કંચનજંગા ટ્રેનનો અકસ્માત થયો છે. ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે પેસેન્જર ટ્રેનને ટક્કર મારી હતી. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવગણના કરી હતી. જેના કારણે પેસેન્જર ટ્રેનના પાછળના ભાગે આવેલ ગાર્ડનો ડબ્બો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો હતો અને આગળના બે પાર્સલ વાન ડબ્બાને નુકસાન થયું હતું.

તેમણે કહ્યું કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. માલસામાન ટ્રેનના ડ્રાઇવર (લોકો પાઇલટ) એ સિગ્નલની સંપૂર્ણ અવગણના કરી હતી. આ દુર્ઘટનામાં માલગાડીના ડ્રાઇવર અને કંચનજંગાના ગાર્ડનું પણ મોત થયું હતું. અગરતલા-સિયાલદહ માર્ગ પરના તમામ રેલવે સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. કંચનજંગા ટ્રેન દુર્ઘટના બાદ 19 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.

સિંહાએ કહ્યું કે આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ માનવીય ભૂલ છે. પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી માહિતી જાણવા મળશે.

કેવી રીતે અકસ્માત થયો?
ત્રિપુરાના અગરતલાથી કોલકાતાના સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના સોમવારે સવારે 8.55 કલાકે બની હતી. માલગાડીએ સિગ્નલની અવગણના કરી અને ન્યુ જલપાઈગુડી સ્ટેશનથી લગભગ સાત કિલોમીટર દૂર રંગપાની સ્ટેશન પાસે પાર્ક કરેલી કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. આ ઘટનામાં ત્રણ રેલવે કર્મચારીઓ અને 5 મુસાફરો સહિત કુલ 8 લોકોના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે. આ અથડામણમાં કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

Most Popular

To Top