મહારાષ્ટ્રના જલગાંવમાં આજે બુધવારે એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. અહીં પરધાડે રેલવે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી, જેના પગલે કોઈએ ટ્રેનની ઈમરજન્સી ચેઇન ખેંચી હતી. ત્યારબાદ ઘણા મુસાફરો ચાલતી ટ્રેનમાંથી પાટા પર કૂદી પડ્યા હતા અને બીજી ટ્રેનની નીચે કચડાઇ ગયા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરો પાટા પર હતા તે દરમિયાન બીજા ટ્રેક પરથી આવતી કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસે ઘણા મુસાફરોને કચડી નાખ્યા હતા . સમાચાર એજન્સી IANS મુજબ 8-10 લોકોના મોતનો દાવો કર્યો છે.
બ્રેક લગાવતા ટ્રેનના પૈડામાંથી ધુમાડો નીકળ્યો 12696 કર્ણાટક સંપર્ક ક્રાંતિ યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જઈ રહી હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બ્રેક લગાવતી વખતે પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યો. આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ. આ પછી ઘણા મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા.
રેલવે અધિકારીઓએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય રેલ્વેના ભુસાવલ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક વળાંક હતો, જેના કારણે ટ્રેક પર બેઠેલા મુસાફરો ટ્રેન આવતી હોવાનો ખ્યાલ ન રહ્યો અને તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.