SURAT

પતિને છોડી ભાગેલી પરિણીતાને પ્રેમી સાથે પણ સુખ ન મળ્યું, આખરે કર્યું આ કામ

સુરતઃ પતિને છોડી પ્રેમી સાથે સંસાર વસાવવા નીકળેલી પરિણીતાને પ્રેમી સાથે પણ સુખ મળ્યું નહોતું. પ્રેમીની મારપીટથી ત્રાસીને આખરે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે.

ગોડાદરાના માનસરોવર સોસાયટી પાસે મથુરાનગર સોસાયટીમાં પ્રેમી ચંદ્રકાંત ગૌતમ સાથે રહેતી તેની પ્રેમિકા રિન્કીએ આપઘાત કર્યો છે. રિન્કીની માતા શાંતિદેવી મહેન્દ્રલાલ ગૌતમે પોલીસ સ્ટેશનમાં ચંદ્રકાંત ગૌતમ વિરુદ્ધ ફરિયાદ આપી છે. શાંતિદેવીએ ફરિયાદમાં કહ્યું કે ચંદ્રકાંત ગૌતમ મારી પરિણીત દીકરી રિન્કીને તેના સાસરેથી પ્રેમજાળમાં ફસાવી ભગાવી ગયો હતો. ત્યાર બાદ ચંદ્રકાંત રિન્કી સાથે અવારનવાર ઝઘડો કરી માર મારતો હતો. ચંદ્રકાંતથી ત્રાસી જઈ રિન્કીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

વર્ષ 2018માં રિન્કીના લગ્ન થયા હતા
શાંતાદેવીને પાંચ સંતાનો પૈકી બીજા નંબરની દીકરી રિન્કીના વર્ષ 2018માં જોનપુરના સુનિલ ગૌતમ સાથે લગ્ન થયા હતા. દીકરી રિન્કીને લગ્નજીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો. દરમિયાન દોઢેક વર્ષ પહેલાં રિન્કી પતિને છોડી ચાલી ગઈ હતી. તે ચંદ્રકાંત ગૌતમ સાથે ભાગી ગઈ હતી. તેને સમજાવી પરત સાસરે મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ ફરી તે ભાગી ગઈ હતી. દીકરીને ફોન કરતા એક છોકરાએ ફોન ઉપાડ્યો હતો અને આપકી લડકી સે હમ બાત ન હી કરાયેંગે અગર જયાદા બોલેગો તો ઉધર આકે મારેંગે તેવી ધમકી આપી હતી.

24 જુલાઈએ આપઘાત કર્યો
શાંતાદેવીએ કહ્યું કે, ગઈ તા. 24મીએ બપોરે પોલીસનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, રિન્કીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ચંદ્રકાંત મારઝૂડ કરતો હોવાના લીધે રિન્કીએ આપઘાત કર્યો છે.

Most Popular

To Top