Dakshin Gujarat

ઉચવાણ ગામના કબ્રસ્તાનમાં બે યુવાનની હત્યા કરી દફનાવી દેવાના પ્રકરણમાં ત્રણની ધરપકડ

પલસાણા: ઉમરપાડાના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાં બે યુવાનની હત્યા કરી દફનાવી દેવાના પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી દ્વારા ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં રહેતા અને કાર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ખુરશીદ અલી નામના ઇસમે બિલાલ નામના યુવકની હત્યા કરવા માટે 16 લાખની સોપારી આપી હતી. બિલાલની સાથે તેનો મિત્ર અઝરૂદ્દીન પણ હોય તેની પણ હત્યા કરી નાંખી હતી. જો કે, સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

ગત 10મી જૂનના રોજ ઉમરપાડાના ઊંચવાણ ગામના કબ્રસ્તાનમાંથી હત્યા કરાયેલી હાલતમાં બે ઇસમની લાશ મળી આવી હતી. તેમની ઓળખ સુરતના લિંબાયત અને મીઠી ખાડી વિસ્તારમાં રહેતા બીલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તેમજ અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ તરીકે થઈ હતી. એકસાથે બબ્બે મૃતદેહ મળી આવતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ પ્રકરણની તપાસ સુરત જિલ્લા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની 10 જેટલી ટીમ જોતરાઈ હતી અને સુરત શહેરની લિંબાયત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. તપાસમાં મૃતક બિલાલની હત્યા માટે 16 લાખની સોપારી આપવામાં આવી હોવાની હકીકત સામે આવતાં પોલીસે સોપારી આપનાર સુરતના સરદાર નગર જંગલશા બાવાની દરગાહ સામે લિંબાયતમાં રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી ગણાતા અને એઆઈએમઆઈએમના સુરતના પૂર્વ પ્રમુખ ખુરશીદઅલી મુનાવરઅલી સૈયદ (ઉં.વ.58)ની ધરપકડ કરી પૂછતાછ કરતાં હત્યાની ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી.

ખુરશીદઅલીએ તેના જમાઈ મહંમદ અસ્લમ હાજી અબ્દુલ શખે (ઉં.વ.34) (રહે., ગોવિંદનગર, સૈયદ ખુરશીદના બિલ્ડિંગમાં, મૂળ રહે., ઉચવાણ તા. ઉમરપાડા, જિ. સુરત)ની મદદથી તેમના નાના ભાઈ ઉચવાણ ખાતે રહેતા અફઝલ હાજીભાઈ શેખને બિલાલને મારી નાંખવા માટે 16 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. જેને આધારે પોલીસે ખુરશીદઅલી તેમજ અસલમ તેમજ હત્યાના ગુનામાં મદદ કરનાર કૌશિક પ્રતાપ વસાવા (ઉં.વ.37) (રહે.,ચારણી ગામ, નવી ફળિયું, તા.ઉમરપાડા, હાલ-કેવડી)ની ધરપકડ કરી હતી. આ ગુનામાં સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર અફઝલ હાજી શેખ તેમજ અન્ય એક આરોપી પ્રગ્નેશ દિલીપ ગામીત (રહે.,તાડકૂવા, ડુંગરી ફળિયું, ઉમરપાડા)ને પોલીસ પકડી શકી નથી. બંનેને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

બિલાલ ખુરશીદઅલીના જીમમાં કસરત કરવા માટે આવતો હતો, ત્યારે પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી
સોપારી આપનાર ખુરશીદઅલીનું સુરતના લિંબાયત જીમ આવેલું છે, જેમાં વર્ષ-2023માં મૃતક બિલાલ કસરત કરવા માટે આવતો હતો. તે સમયે ખુરશીદ સાથે બિલાલની પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે અંગે ખુરશીદે બિલાલને ધમકી આપ્યા બાદ બિલાલે ખુરશીદ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાવામાં આવ્યો હતો. બિલાલ પોતે હિસ્ટ્રીસીટર હોય અને અનેક ગુનામાં સંડોવાયેલો હોવાથી ખુરશીદને ડર રહેતો હતો. આથી ખુરશીદે તેના જમાઈ અસલમને આ વાત કરતાં તેણે ઉચવાણ ખાતે રહેતા અફઝલ શેખ પાસે બિલાલની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ખુરશીદે અફઝલને 16 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. તબક્કાવાર અફઝલને અંદાજિત 12 લાખ જેટલી રકમ આપી દીધી હતી. જ્યારે બાકીની રકમ હત્યા કર્યા બાદ ચૂકવવામાં આવી હતી.

અફઝલે અગાઉ બેની હત્યા કરી દફનાવી દીધા હતા, પણ લાશ હજુ મળી નથી
વોન્ટેડ મુખ્ય આરોપી અફઝલ શેખ રીઢો ગુનેગાર છે. તેણે વર્ષ-2007માં બનાસકાંઠા જિલ્લાના દાતા પોલીસ સ્ટેશનની હદમાં આ જ રીતે બે વ્યક્તિની હત્યા કરી તેણે દફનાવી દીધા હોવાની હકીકત જાણવા મળી છે. જો બંનેના મૃતદેહ મળી આવ્યા નથી. ઉપરાંત તેના વિરુદ્ધ સુરત અને ભરૂચ જિલ્લામાં લૂંટ, જુગાર, લૂંટનો પ્રયાસના અનેક ગુના નોંધાયેલા છે.

Most Popular

To Top