ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાનું બંધ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની તાજેતરની કોઈપણ વાતચીતથી અજાણ છે. તેમણે કહ્યું કે મને ગઈકાલે બંને નેતાઓ વચ્ચે કોઈ ફોન કોલ કે વાતચીતની કોઈ જાણકારી નથી. ટ્રમ્પે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું હતું?
ટ્રમ્પે પત્રકારો સમક્ષ દાવો કર્યો હતો કે પીએમ મોદીએ મને ખાતરી આપી છે કે રશિયા પાસેથી તેલ ખરીદી બંધ થશે. તે તાત્કાલિક નહીં થાય તેમાં થોડો સમય લાગશે પરંતુ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે. હું ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે તેનાથી ખુશ નહોતો પરંતુ આજે તેમણે (પીએમ મોદી) મને ખાતરી આપી હતી કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. હવે આપણે ચીન પાસેથી પણ એવું જ કરાવવું પડશે.” ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા ટ્રમ્પે કહ્યું, “વડા પ્રધાન મોદી મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે.”
ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે આર્થિક દબાણ લાવવાનો હતો. તેમણે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે પુતિન આ યુદ્ધ બંધ કરે, યુક્રેનિયનો અને રશિયનોની હત્યા બંધ કરે. આ યુદ્ધ એક અઠવાડિયામાં સમાપ્ત થઈ જવું જોઈતું હતું પરંતુ હવે તે ચોથા વર્ષમાં છે.”
ટ્રમ્પના દાવા બાદ જયસ્વાલે ભારતની ઊર્જા નીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે ભારતનું ધ્યાન હંમેશા તેના ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને સ્થિર ઊર્જા ભાવ જાળવવા પર રહ્યું છે. તેમણે કહ્યું, “ભારત તેલ અને ગેસનો મુખ્ય આયાતકાર છે. અમારી નીતિ રાષ્ટ્રીય હિતોથી ચાલે છે. અમારી પ્રાથમિકતા અસ્થિર વૈશ્વિક ઊર્જા પરિદૃશ્યમાં ભારતીય ગ્રાહકો માટે સસ્તું અને સુરક્ષિત ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવાની છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત તેની ઊર્જા ખરીદીને વધુ વિસ્તૃત કરવા અને વિવિધ સ્ત્રોતોમાંથી આયાત વધારવા માટે કામ કરી રહ્યું છે.