Business

કઠોર પરિશ્રમ અને સામાજિક શિસ્તથી વિશ્વગુરુ બનાશે

વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું કૃષિ-ઉત્પાદન એરંડામાં પ્રથમ સ્થાને, શેરડી અને ડાંગરમાં ઉત્પાદનમાં બીજા સ્થાને, ડુંગળીમાં ત્રીજા સ્થાને, ઘઉં અને કપાસમાં અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. જ્યારે બટાટાના ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે રહે છે. દેશમાં આજે પાંચેક હજાર ગણનાપાત્ર કૃષિવિજ્ઞાનીઓનાં પ્રદાનથી આજે ભારત દુનિયાની કુલ ખેતપેદાશોમાં ૪.૫૭ ટકાનો હિસ્સો જોડી શક્યું છે. કૃષિ ક્ષેત્રે ઉપલબ્ધ સાધનોના મહત્તમ અને અસરકારક ઉપયોગના આધારે વિકસેલ હરિયાળી ક્રાંતિમાં જમીન, પાણી, બિયારણ, ખાતર ને પાક સંરક્ષણ અંગેના વ્યવસ્થાપન તરફ વિશેષ કાળજી રાખવામાં આવેલ. પરિણામે આજે વસ્તીવધારાના દર કરતાં વધુ ઊંચા દરે કૃષિ-ઉત્પાદનનો આંક પહોંચી શક્યો છે, જે પોતાનામાં મહાન ઉપલબ્ધિ અને આશાસ્પદ બાબત છે.

પરંતુ છેલ્લા ત્રણેક દાયકાઓમાં ખેતી સાથે જોડાયેલી જમીન, આબોહવા, રોગ જેવાં કેટલાંક પારંપરિક પરિમાણો સદંતર રીતે બદલાયાં છે. વૈશ્વિક બજારમાં નવી સમજણ હેઠળ ૧૨૫ રાષ્ટ્રોએ મુકત વેપારની સમજૂતી કરી છે. યુરોપિયન ઇકોનોમિક કાઉન્સિલે ૩૦૦ મિલિયન ડૉલરના ખેતવ્યવસાયનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંનો ૩.૧૧ ટકા હિસ્સો ભારતમાંથી મળે તેવી જોગવાઈ મૂકી છે ત્યારે દેશને હરિયાળી ક્રાંતિના બીજા ફલકમાં જવા માટે બળ મળ્યું છે. આ સ્થિતિમાં દેશની ૭૫ ટકા કરતાં વધુ વસ્તી જે કૃષિઉદ્યોગમાં રોજગારી મેળવે છે તે વ્યવસાયમાંથી મહત્તમ ફાયદો લેવા માટે હવે જૈવિક વિજ્ઞાન અને તકનીકને આધાર બનાવવાની આવશ્યકતા જણાય છે.

કૃષિ ક્ષેત્રે વિકાસના ફલકમાં વધુ વળતર ઉમેરી શકતાં પરિબળો જેવાં કે જળવ્યવસ્થા, બાયો- ટેકનોલૉજી, નૈસર્ગિક ઊર્જા, દરિયાઈ સંપદા, પશુપાલન, વેલ્યૂ ઍડેડ ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત રિસોર્સ મેનેજમેન્ટ અને નૈસર્ગિક સંતુલનને લગતી બાબતોનો સમાવેશ ખેતી આનુષંગિક પ્રવૃત્તિ સ્વરૂપે કરી શકાય. આવો એક પ્રયોગ ટેકનોલૉજી મિશને હાથ પર લીધો. પરંતુ ભારત જેવાં વિશાળ રાષ્ટ્રમાં પેયજળ, ઓઇલસીડ, સંચાર કે ડેરીલક્ષી વ્યવસ્થા દ્વારા સમગ્ર ફલક આવરી લેવાનું પ્રધાન મંત્રીશ્રીનું સ્વપ્ન અધૂરું રહી જતું જણાય છે. પરંતુ હવે વિશ્વનો આર્થિક માહોલ ઉત્સાહપ્રેરક છે. દેશના કૃષિવિજ્ઞાનીઓએ પરિણામો હાંસલ કરી વધુ સજ્જ પર્યાય આપ્યો છે ત્યારે હરિયાળી ક્રાંતિના બીજા તબક્કામાં હિંમતભેર ઝૂકાવવામાં ગુજરાતે પાછી પાની ન કરવી જોઈએ. ગુજરાતના વિકાસ માટે કૃષિ ક્ષેત્રનાં પારંપરિક પરિબળોને વિજ્ઞાન અને ટેકનોલૉજીના માધ્યમથી જોવાનાં રહે છે, જેમ કે પાણી.

એક તંદુરસ્ત માણસને દિવસભરમાં સરેરાશ ૨૦ ગૅલન પાણીની આવશ્યકતા રહે છે. પરંતુ કમનસીબે ગુજરાતનાં ૧૮૦૦ ગામડાંઓમાં આજે સરેરાશ ૩ ગૅલન કરતાં વધુ પાણી પહોંચાડી શકાતું નથી અને ૨૦૨૪ માં તો પાણી જ પ્રાણયોજના બની છે ત્યારે પીવા માટે પાણી, અનાજ ઉત્પાદન માટે, તેમજ ઔદ્યોગિક વિકાસ માટે પાણીનો ઍજન્ડા તૈયાર કરવો પડશે. નર્મદા યોજના સાથે વિકેન્દ્રિત ધોરણે વૉટર રિચાર્જિંગના કાર્યક્રમો આગળ ધપાવવા પડશે. શહેરોમાં અને ઉદ્યોગોમાં વપરાતાં પાણીને રિસાઇકલ કરવું પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વૉટર ડીસેલિનેશન પ્લાન્ટ વિકસાવવા, ખેતી માટે ડ્રિપ ઇરિગેશન, પાણીના અસરકારી ઉપયોગ માટે પ્રવાહી ખાતર અને ભેજ સંગ્રહ માટે હાઇડ્રોજેલના ઉપયોગ માટે કાર્યરત થવું પડશે. આ આયોજનના પરિણામે ગુજરાતની પડતર જમીનને ઉપજાઉ કરી શકાશે તેમજ દરિયા કિનારાથી આગળ વધતી ખારાશ અટકશે.

વિકાસના ઍજન્ડાનો બીજો વિસ્તાર છે; બાયોટેકનોલોજી. નીચું ઉષ્ણતામાન અને નીચા દાબે તૈયાર થતાં પ્રાકૃતિક સ્રોતો આધારિત જૈવિક ઉત્પાદનો પર્યાવરણને મિત્ર ભાવે સ્વીકારે છે. જમીન અને પાણીનું પ્રાકૃતિક સંતુલન જાળવી વધુ નફો આપતી પદ્ધતિઓને આપણે હવે પ્રચલિત કરવી પડશે. જેમ કે બાયો પેસ્ટિસાઇડ, બાયોકુંજીસાઇટ, ટિશ્યુ કલ્ચર, આર્ટિફિશ્યલ કલ્ચર સીડ્સ, જૈવિક ખાતર, માઇક્રોબ કલ્ચર, વૃક્ષ વિકાસનાં હોર્મોન્સ.

સ્વચ્છ ઊર્જાનો ખ્યાલ ગુજરાતના ઍજન્ડા ઉપર અગ્રતા ક્રમે રાખવો પડશે. નૈસર્ગિક ઊર્જાના વ્યાપક ઉપયોગની ગુંજાઈશ ઊભી કરવા માટે સોલાર એનર્જીનો ઉપયોગ વધારવો પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વિન્ડફાર્મ ઊભાં કરવાં પડશે. એગ્રો- વેસ્ટનો મહત્તમ ઉપયોગ પણ જરૂરી બને છે. ઊર્જાના નૈસર્ગિક ઉપયોગને વધુ અસરકારી બનાવવાના પ્રયત્નથી પેટ્રોલ કે આલ્કોહોલ જેવા પારંપારિક ઊર્જાસ્રોત ઉપરનું દબાણ ઘટાડી શકાશે એટલું જ નહીં પણ ઑઝોન લેયરની સ્થિતિ સુધરતાં લોકોના આરોગ્ય અને આયુષ્યમાં નોંધપાત્ર ફેરફાર થવાની આશા છે.

ગુજરાતના કાંઠા વિસ્તારમાં દરિયાઈ સંપદા વિકાસની પ્રચંડ શક્યતાઓ રાહ જોઈને ઊભી છે. આવતા દાયકામાં ગુજરાતના કાંઠા પર દરિયાઈ ખેતી, મત્સ્ય-ઉદ્યોગ, મીઠાનું ઉત્પાદન, દરિયાઈ શેવાળમાંથી ખાતર, બ્રોમિન પ્રકારનાં રસાયણો મેળવવાં, મરિન ટેકનોલોજીનો વિસ્તાર, ટાઇડલ વેવ પાવર સ્ટેશન અને ગૅસ આધારિત વીજળી મથકોના વિકાસની ગુંજાઈશ રહે છે. ગુજરાત દૂધ-ઉત્પાદનમાં અગ્રસ્થાને રહ્યું છે. મહાજનોની આ ભૂમિમાં હિન્દુસ્તાનનાં તમામ રાજ્યો કરતાં વધુ પશુઓ જીવે છે. આથી ટેનરી, મટનટેલો, જિલેટીન, ફોસ્ફરસયુક્ત ખાતર અને બાયોગૅસ આધારિત ઊર્જા વિકાસમાં કાર્યક્રમો મિડલ લેવલ ટેકનોલોજીના સહકારે આશાસ્પદ બની શકશે.

કૃષિ ક્ષેત્રના પારંપરિક સ્રોતોના મહત્તમ ઉપયોગ પછી મર્યાદિત જમીન પર વધતા ઉત્પાદનનો આંક સ્થિર થાય છે. આથી ખેત-ઉત્પાદનમાં પૂરક આવક આપી શકે તેવી વેલ્યૂઍટેડ ટેકનોલોજી અપનાવી અનિવાર્ય બને છે. એરંડાનું તેલ, સ્ટાર્ચ, સેલ્યૂલોઝ, નીમકેક, જેવી વૈશ્વિક બજારમાં માંગ ધરાવતી ચીજો ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિગતે જોઈએ તો, એરંડાનું તેલ હાલ કાચા સ્વરૂપમાં બજારમાં ૧ કિલોના રૂ.૭૨ /- ના ભાવે વેચાય છે. પરંતુ તેમાંથી નાયલોન પોલિમર બનાવી શકાય તો ૧ કિલોના રૂ.૩૮૦૦ મળી શકે. તેમ એરંડામાંથી લૂબ્રીકંટ પર્ફ્યુમરી પ્લાસ્ટિક રેઝિન્સ મળી શકે છે. લીમડાનો ખોળ હાલ રૂ. ૬૩ ના ભાવે ૧ કિલો ઉપલબ્ધ છે, પરંતુ તેને બાયોપેસ્ટિસાઇડમાં પરિવર્તિત કરીએ તો કિલો નીમકેકના રૂ.૧૮૫ મળી શકે. જ્યારે લીમડાના ખોળને ઔષધ ઉપયોગમાં ફેરવતાં ૧ કિલોના રૂ. ૨૧૦૦ સુધી ભાવ ઊપજે છે. શેરડીનાં છોતરાંમાંથી મોટા પ્રમાણમાં મોલાસિસ મેળવી શકાય છે.

એટલું જ નહીં પરંતુ ઝિબ્રેલિક ઍસિડના ગુણધર્મ ધરાવતા ઉચ્ચ પ્રકારના પ્લાંટ હોર્મોન્સ મળી શકે છે, જેનો ભાવ ૨૫ ગ્રામનો ૧૨,૦૦૦ સુધી પહોંચ્યો છે. બટાકા સ્ટાર્ચનું બીજું સ્વરૂપ છે, જેમાંથી સ્ટાર્ચ બેઇઝડ ડ્રગ્ઝ અને રસાયણો બને છે. આ ઉપરાંત કપાસ, ઘઉં અને ડાંગરની પરાળમાંથી છૂટું પડતું સેલ્યુલોઝ, મેડિસિનલ પ્લાન્ટ તેમજ ફળ અને શાકભાજીની પેદાશોમાં થોડા પરિવર્તનથી આર્થિક લાભમાં મોટી છલાંગ લગાવી શકાય છે. વૈશ્વિક બજારમાં પ્રતિ વર્ષે ૧૦ મિલિયન ડૉલરના લાકડાની ખપત સરેરાશ દરે વધે છે, ત્યારે ટિશ્યૂ કલ્ચરની મદદથી મજબૂતી ધરાવતાં અને વધુ ઉપજ આપતાં વૃક્ષોના વાવેતર તરફ ખેડૂતો જઈ શકે છે. આ માટે ગુજરાત રાજ્યે પોતાના ભાવિ વિકાસની સંભાવનાઓને આર્થિક લાભ સાથે જોડવી પડે.

૨૧મી સદીના પ્રારંભે સમાજના નાનામાં નાના માણસના રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલૉજી વણાઈ રહ્યાં છે ત્યારે ભાવિ પેઢીને તણાવથી મુક્ત કરવા, તેના વિકાસને સુનિશ્ચિત કરવા કે પછી તેના જીવન સ્તરને ઊંચું લાવવા વિજ્ઞાન અને ટેકનોલૉજીનું નેતૃત્વ સ્વીકૃત કરવું રહ્યું. આ માટે ન્યુ નોર્મલની સ્થિતિમાં રોજગારી, સ્થિરતા અને ઊંચો વિકાસદર આપી શકનાર બાયોટેકનોલૉજીનો સ્વીકાર કરીએ. ગુજરાતના સંતુલિત વિકાસ માટે ઉદ્યોગ સાથે પાણી, ખેતઉત્પાદન, પર્યાવરણ અને દરિયાકાંઠાના સમતોલ વિકાસ માટે ગુજરાતે કઠોર પરિશ્રમ અને સામાજિક શિસ્તને આધીન રહેવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top