અસ્સલ સુરતીઓ નારિયેળી પૂનમના બીજે દિવસે બળેવની ઉજવણી કરે છે. પહેલા સુરત, કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું. પડવાનાં દિવસે રક્ષાબંધનનો તહેવારનો માહોલ કંઈક અનેરો હોય. વર્ષો પહેલા ૬૦થી ૮૦ દાયકા સુધી સલાબતપુરા, ચોકી શેરી ખાતે વર્ષ ૧૯૪૭ માં સ્થાપિત સામાજીક સંસ્થા ‘જન સેવા સંઘ’ દ્વારા સુરતી બળેવનાં દિવસે ‘રમતગમત’નું આયોજન થતું. જેમાં સલાબતપુરા અને તેની આજુબાજુનાં વિસ્તારના છોકરાઓ, છોકરીઓ ભાગ લેતા. આ દિવસે ત્યાં માનવ મહેરામણ ઉમટી પડતો. જેમાં દોડ, ધીમી દોડ, માટલી ફોડ, લીંબુ ચમચી, દોરડા કૂદ, સંગીત ખુરશી, લંગડી કૂદ જેવી રમતો રમાતી, આ રમતોમાં એક અનોખી રમત હતી ‘અકાળીયો દકાળીયો’દોડ, જેમાં બે છોકરાઓ ભાગ લેતા, અકાળીયા છોકરાને લાલ ચાંદલો અને દકાળીયાને કાળો ચાંદલો કરી પોલીસ ચોકીથી લાલ તબેલા સુધી દોડાવતા, જેમાં અકાળીયો પ્રથમ આવે તો ખેતી સારી થાય અને દકાળીયો પ્રથમ આવે તો દુકાળ પડે.
એવી લોકમાન્યતા હતી. તાપીમાતાની મહેરથી ‘અકાળીયો’જ જીતે. રમતની લાઈવ કોમેન્ટ્રી હાસ્ય કલાકાર સ્વ. દાસબહાદુર વાઈવાલા આપતા. (ખત્રી સમાજના દાસબહાદુર વાઇવાલા એક પ્રસિદ્ધ અસ્સલ સુરતી હાસ્ય કલાકાર હતા. સુરત અને સુરતની બહાર તેઓના હાસ્યના કાર્યક્રમો યોજાતા હતા.)સુરતમાં રમતગમતનું આવું મોટું આયોજન માત્ર સલાબતપુરામાં જ થતું હતું એ એક ગર્વની બાબત છે. આજે ટીવી,મોબાઈલના આધુનિક યુગમાં પરંપરાગત રમતો વિસરાય ગઈ છે.
સુરત -કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.