Comments

બંધારણીય મૂલ્યો જાળવવામાં મીડિયાની ભૂમિકા મોટી છે

ઈરાન અને ઈઝરાઈલ યુદ્ધની પ્રારંભિક શક્યતા દેખાતા શેર બજારમાં કડાકો બોલી ગયો. વર્ષ ૨૦૨૪ ના લોકસભા ઈલેક્ષનમાં બી.જે.પી.ની સીટો ઘટવાની સંભાવના બજારમાં સચોટ રહી. પરંતુ જમ્મુ કશ્મીર કે હરિયાણા રાજ્યનાં ચૂંટણી પરિણામોમાં મીડિયાનો એકઝીટ પોલ અગાઉના ચૂંટણી પોલ માફક સદંતર ધૂળ-ધાણી થયો. અહીં પ્રશ્ન છે કે બજારની ગણતરી સામે મીડિયાની ભૂમિકા હવામાનના વરતારા માફક શા માટે નબળી પુરવાર થાય છે! મીડિયામાં બેઠેલા શિક્ષિત અને અભ્યાસુ મહાનુભાવોને રાજકીય પક્ષોનાં ૮-૧૨ ધોરણ પાસ અને ક્યારેક જેલવાસ ભોગવી ચૂકેલા નેતાઓ સલાહ આપતા હોય છે કે “એર કંડીશનલ સ્ટુડિયો અને બિસ્લેરીની બોટલથી પંડિત થવાય રાજ નેતા નહીં.’’

બજારની સફળતા અને મીડિયાની નિષ્ફળતાના વલણથી હવે લોકશાહીના ઘડતરનું કાર્ય મીડિયા પાસેથી સરકી રહ્યાની ગંભીર નોંધ લેવી પડે તેવો સમય આવી પહોંચ્યો છે.વરચ્યુઅલ સાયકોલોજીમાં વિકસતી નવી પેઢી તો સ્માર્ટ ફોન ઉપર છાપાં સામયિક ફેરવી કાઢે છે. વોટસએપ, ટવીટર, ફેઈસબુકનાં અતિરેકવશાત્ કેટકેટલીય સંવેદનશીલ બાબતો અનદેખી રહી જાય છે અને કોવિડ પછી તો પ્રિન્ટ મીડિયા ઉપર શનિની સાડા સાતી મંડાઈ છે. આમ છતાં જે બચ્યું છે તેના આધારે બંધારણીય મૂલ્યોની જાળવણીનું કાર્ય પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાથી થાય તે અનિવાર્ય અપેક્ષા બને છે.

જો જીતા વો હી સિકંદર – તેવા પ્રચલિત અભિગમના લીધે રાજકીય પક્ષો હવે કોઈ પણ સ્તરની તડજોડથી સત્તામાં રહેવાનું ગોઠવી રહ્યાનું વલણ સહજ થયું છે અને આ માટે પક્ષો પોતાના ઉદ્યોગ જૂથોના ટેકે વર્તમાનપત્રો અને ટી.વી. ચેનલો ખરીદ કરેલ છે. પોતાની પાર્ટીને અનુરૂ૫ અભિપ્રાય પ્રજામત તરીકે પ્રતિપાદિત કરવા ઉત્સાહી રહે છે. જનમત, લોકમત, એકઝીટ પોલ તેવા ફ્રેન્સી નામથી મીડિયા માસ ઓપીનિયન તૈયાર કરવા પ્રયત્નશીલ રહે છે.

પરંતુ દેશનો આમ નાગરિક મીડિયાના અભિપ્રાયથી પોતાને અળગો રાખી રહ્યો છે. પરિણામે જનમત વિષયે ધારણાઓ લગભગ લગભગ હવામાં ઊડી જતી જોવા મળે છે. જમીની હકીકતો તો આવી જ કંઈ છે પણ તેથી ફરી બંધારણનાં મૂલ્યો ઉપર તો ફરી બજાર (સ્વાર્થવાદ) ની પકડ મજબૂત થઈ રહી છે! અર્થશાસ્ત્ર જેને “ગૃપ ઓફ કોમન ઈન્ટરેસ્ટ’’ તરીકે જાણે છે તે વલણ અનુસાર સમાજસેવા, રાષ્ટ્રસેવા કે પછી વિકાસનાં ઓઠા તળે સમાન હિત જૂથ ધરાવતાં સ્વાર્થી લોકોને એકઠાં થવા આજે મોકળું મેદાન મળી રહ્યું છે.

પરિણામે ત્રણ શિયાળા વિત્યા છતાં યુક્રેન અને રશિયાનાં ગામડાંઓ અને શહેરોમાં સામાન્ય જનતા ઠુંઠવાઈને મરી રહી છે. ઈઝરાઈલ અને ગાઝા૫ટ્ટી ઉપર છેલ્લા એક વર્ષમાં લાખો બાળકો અને સ્ત્રીઓ કાટમાળમાં દટાઈ મુવાં છે. આપણા દેશમાં મણીપુરમાં હજારો કુકીઝ (જાતિ) સમુદાયની વસાહતો બળીને ખાખ થઈ છે. આપણા ગામના સીમાડે રેલ દુર્ઘટના કે પછી ભ્રષ્ટાચારની બાંગ પોકારતા ખરાબ રસ્તાઓમાં અકસ્માતથી મૃત્યુ પામેલ કે અપાહિજ બનેલ નાગરિકોની સંખ્યા હજારોમાં જાય છે.

આંતરરાષ્ટ્રીય સીમાડાઓથી લઈ ઘર આંગણા સુધી માનવતાના મૃત્યુઘંટ સમાન અસંખ્ય ઘટનાઓ પાછળ કોઈ એક ખામી હોય તો ‘રાજયશાસકો ઉપર સત્ત્વશીલ દબાણ જૂથનો અભાવ છે.’’ વર્ષ ૧૭૮૦ એટલે કે આજ થી ૨૪૪ વર્ષ પહેલાં ભારતમાં બંગાળ ગેજેટસ નામે અઠવાડિક શરૂ થયું. ૬૦ વર્ષ પહેલાં દૂરદર્શનથી સમાચાર પ્રસારણનો ઈતિહાસ અત્યંત સશક્ત છે. રાજા રામ-મોહનરાય, લોકમાન્ય ટિળકથી લઈ ગુજરાતમાં કાકા કાલેલકર સુધી પત્રકારત્વનો વારસો મજબુતાઇથી ઊભો છે. વર્ષ ૧૮૬૩થી આજ દિન સુધી કાર્યરત ‘ગુજરાતમિત્ર’ ગુજરાતીનો મિજાજ વ્યક્ત કરે છે.

એટલું જ નહીં પણ સ્વતંત્રતા પૂર્વે ૧૮૯૦ માં ત્રાવણકોર દિવાનની જોહુકમી હોય કે ૧૯૪૨માં પત્રકાર તરીકે મહાત્મા ગાંધીની હાકલ હોય, પત્રકારોએ ઈમરજન્સી, ભોપાલ દુર્ઘટના કે પછી ગોધરા હત્યાકાંડમાં નિર્ણયાત્મક ભૂમિકા ભજવી દેશના બંધારણનું સન્માન જાળવ્યું છે. ત્યારે વિચારીએ કે મૂડીનું રોકાણ કરી રાજકીય પક્ષોની છત્રછાયામાં ગોઠવાતા પ્રજાનાં પ્રતિનિધિઓ અને બંધારણીય રીતે જે સરકાર છે તેવા અમલદારોના સમાન આર્થિક હિતોમાંથી સર્જાતા પારાવાર પ્રશ્નોમાં પ્રજા અટવાઈ રહી છે તેવા ભ્રષ્ટ વાતાવરણ વચ્ચે માત્ર અને માત્ર મીડિયા દબાણ જૂથ તરીકે સામનો કરી શકે તેવી તાકાત ધરાવે છે.

ભવ્ય ભૂતકાળ ધરાવે છે. લોકશાહીમાં પાંચ વરસે એક વાર પ્રજામત દ્વારા પોતાની વાત મૂકવા હકદાર છે. પરંતુ આજે સમાન હિત જૂથ પ્રજાને જ્ઞાતિ, જાતિ અને રેવડીની લાલચ આપી એક દિશા તરફ જતાં રોકી રહી છે ત્યારે બંધારણીય રાષ્ટ્રહિતનું રક્ષણ તો મીડિયાના દબાણથી જ શક્ય બનતું દેખાય છે. લોકશાહીના ચોથા આધારસ્તંભ સમાન પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા કોમન એજંડા તરીકે બંધારણીય હિતોનું રક્ષણ કરવા આગળ આવે તે સમયની માંગ બને છે અને પ્રજા તરીકે વાચક પણ બંધારણીય અહિતથી પોતાની જાતને અળગી રાખવી તેને પોતાની ફરજ જાણે તેવો સમયનો તકાજો ઉદ્ભવ્યો છે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top