Vadodara

પાવાગઢથી માંચી સુધીના રસ્તાે 20મી સુધી ખાનગી વાહનો માટે બંધ રહેશે

ગોધરા : આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરમાવવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રીનું વહન કરી શકાશે નહી. પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે  આગામી તા. 07/10/2021થી તા.20/10/2021 દરમિયાન  આસો નવરાત્રિ પર્વની ઉજવણી થનાર છે. આ ઉજવણીમાં દર વર્ષે લોકો મોટી સંખ્યામાં અવર-જવર ભારે રહેતી હોવાથી  પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખૂબ જ વાંકો-ચૂંકો તથા સાંકડો હોઈ જેથી અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે  જાહેરહિતમાં તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ટ્રક, ટેમ્પો, જીપ, લક્ઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચક્રી વાહનો સહિત ઈંધણથી ચાલતા તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર બંધ કરાયા છે.

વાહનમાં  ચીજવસ્તુઓ સાથે કે ચીજવસ્તુઓ વગર પશુઓ દોરી જનારાઓ કે તે દ્વારા માલ સામગ્રી વહન કરનારાઓ ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા જાહેર કરાયેલ આ જાહેરનામા અનુસાર પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ઉપરોક્ત પ્રકારના ભારે તથા હળવા વાહનો અવર-જવર કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રી કે ચીજવસ્તુઓનું વહન કરવા ઉપર તેમ જ માંચીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર પશુઓ દોરી જનારાઓની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. આ હુકમ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી બસો, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવાઓ માટે ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કલમ-188 મુજબ કાર્યવાહી કરાશે.

Most Popular

To Top