Charchapatra

મુક્તિનો માર્ગ

તાજેતરમાં ગાઝિયાબાદના ૩૨ વર્ષીય હરીશ રાણાના કિસ્સાએ સોશ્યલ મીડિયા અને સમાજમાં એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ચર્ચા છેડી છે. હરીશને એના ઘરેથી છેલ્લી વિદાય આપતી વખતે કહેવામાં આવે છે કે, ‘બધાને માફ કરીને અને માફી માંગીને હવે તું જા…’ ત્યારે તે શબ્દોમાં રહેલી પીડા પથ્થર હૃદયના માણસને પણ રડાવી દે તેવી છે. કોઈ પણ માતાપિતા માટે પોતાના વહાલસોયા પુત્રને પોતાના હાથે વિદાય આપવી એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે, પરંતુ આ કિસ્સામાં તે લાચારી નહીં પણ પુત્રને પીડામાંથી મુક્તિ અપાવવાની સર્વોચ્ચ મમતા છે. કારણ કે, જે દીકરો માત્ર આંખો જ પટપટાવી શકતો હોય, તેના પોતાના માટે પણ દરેક ક્ષણ એક યુગ જેવી પીડા આપનારી હોય છે.

કાયદાકીય રીતે આ કેસ એક માર્ગદર્શક બનશે, કારણ કે તે સાબિત કરે છે કે માનવતા ક્યારેક જડ નિયમો કરતાં ઉપરવટ જઈને વિચારવા મજબૂર કરે છે. પરાણે જીવાડવું એ પણ ક્યારેક હિંસા સમાન બની જાય છે. કોઈ પણ વ્યક્તિની વિદાય હંમેશા કરુણ જ હોય, પણ જ્યારે વ્યક્તિ માત્ર મશીનો અને નળીઓ પર ટકેલી હોય ત્યારે આપણને એ સત્ય સ્વીકારવા મજબૂર કરે છે કે જીવનની લંબાઈ કરતાં જીવનની ગુણવત્તા વધુ મહત્ત્વની છે. સમાજ તરીકે આપણે આવાં પરિવારો પ્રત્યે સંવેદનશીલ બનીએ. આ કરુણ વિદાય એ માત્ર એક યુવાનના જીવનનો અંત નથી, પરંતુ એક અસહ્ય યાતનાનો અંત છે. આ કિસ્સાથી ‘જીવવાના અધિકાર’ ની સાથે ‘પીડામુક્ત થવાના અધિકાર’ પર ગંભીર ચર્ચાની શરૂઆત થઈ ચૂકી છે.
સુરત     -• ચારુલતા અનાજવાળા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top