નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય પક્ષે મંગળવારે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું. પહેલગામ આતંકવાદી હુમલા અંગે પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારના જોરદાર પ્રતિભાવની NDA બેઠકમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીએ પણ બેઠકને સંબોધન કર્યું. આ દરમિયાન વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે વિપક્ષ વિચારી રહ્યું હશે કે શું તેણે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી કરીને ભૂલ કરી છે.
તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ એક ઐતિહાસિક દિવસ હતો કારણ કે આ દિવસે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ અધિકાર આપતી કલમ 370 રદ કરવામાં આવી હતી. NDA સરકારે બંધારણનું સંપૂર્ણ ભાવનાથી પાલન કર્યું છે. વડા પ્રધાને ગૃહ પ્રધાન અમિત શાહની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ આ મંત્રાલયમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મંત્રી બન્યા છે. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે વિપક્ષ વિચારી રહ્યું હશે કે શું તેણે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી કરીને ભૂલ કરી છે.
દેશે તેમની બાલિશતા જોઈ લીધી
વડા પ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષી નેતાઓ કંઈ પણ બોલે છે અને તેના કારણે હવે તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ઠપકો આપવામાં આવી રહ્યો છે. પીએમએ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “તેઓ કંઈ પણ બોલતા રહે છે અને દેશે તેમની બાલિશતા જોઈ લીધી છે.”
આ દરમિયાન પીએમ મોદીના નેતૃત્વ અને ‘ઓપરેશન સિંદૂર’ અને ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન સશસ્ત્ર દળોની અપ્રતિમ હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 28 જુલાઈના રોજ શ્રીનગરની બહાર ‘ઓપરેશન મહાદેવ’ નામના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.
જૂન 2024 માં સરકારની રચના પછી સંસદના સત્રો દરમિયાન ભાજપની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના સાંસદોએ આવી બીજી બેઠક યોજી. ભાજપ અને તેના સાથી પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું.
જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા પછી 7 મેના રોજ ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સામે ઝડપી કાર્યવાહી કરી. પાકિસ્તાને પણ કાયરતાપૂર્ણ કૃત્ય કરીને ભારતમાં નાગરિક અને લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા. જવાબમાં ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝ પર હુમલો કર્યો. ચાર દિવસના સંઘર્ષ પછી 10 મેના રોજ પાકિસ્તાને ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું અને યુદ્ધવિરામની વિનંતી કરી.