National

NEETનું રિઝલ્ટ ફરી જાહેર થશે કે પછી પરીક્ષા નવસેરથી લેવાશે, NTA એ લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: તબીબી પ્રવેશ પરીક્ષા NEET ના પરિણામોમાં કથિત અનિયમિતતાઓ પછી હોબાળો અને CBI તપાસની માંગ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રાલયે ગ્રેસ માર્કસની તપાસ કરી છે. આ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. યુપીએસસીના (UPSC) પૂર્વ અધ્યક્ષની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિ એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ સોંપશે.

NTAના મહાનિર્દેશક સુબોધ કુમારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં તેમણે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ બેઠકમાં પેપર લીકના સમાચારથી લઈને ગ્રેસ માર્કસ અને આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું પ્રથમ વખત ટોપિંગ વગેરે વિષયો સામેલ હતા. એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, NTA ડિરેક્ટરે કહ્યું, “જો સમિતિને લાગે છે કે પુનઃપરીક્ષા થવી જોઈએ, તો અમે તેનું સંચાલન કરીશું.”

NTAએ કહ્યું કે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ (NEET ગ્રેસ માકર્સ) આપવાથી પરિણામો અથવા લાયકાતના માપદંડમાં કોઈ ફરક પડ્યો નથી. NTAએ પેપર લીકના આરોપોને પણ ફગાવી દીધા હતા.

NTA DG સુબોધ કુમાર સિંહે કહ્યું, આ મુદ્દો માત્ર 1600 વિધાર્થીઓનો મુદ્દો છે. 23 લાખથી વધુ બાળકોએ પેપર આપ્યું હતું. 4750 કેન્દ્રોને બદલે માત્ર 6 કેન્દ્રોની વાત છે. આ કમિટી આ અંદાજે 1600 વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ અને સમયની ખોટની તપાસ કરશે.

જો જરૂરી હોય તો, તેમના પરિણામો સુધારી શકાય છે. આનાથી NEET પરિણામ પછી MBBS અને BDS સહિતના વિવિધ મેડિકલ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયાને અસર થશે નહીં. સમિતિ તરફથી જે પણ ભલામણો આવશે તે પ્રમાણે અમે નિર્ણય લઈશું.

પેપર લીકના આરોપો પર અધિકારીઓએ કહ્યું, જે પેપર સોશિયલ મીડિયા પર આવ્યું હતું, તે પેપર શરૂ થયા બાદ આવ્યું હતું. અમે ભવિષ્યમાં અમારા પ્રોટોકોલ અને ધોરણોને મજબૂત કરીશું જેથી આ પ્રકારની ભૂલ ફરીથી ન થાય.

પ્રેસ કોન્ફરન્સમાં સુબોધ કુમાર સિંહે કહ્યું, અમારી કમિટીની બેઠક સમયની ખોટના મુદ્દે થઈ હતી અને તેઓએ કેન્દ્રો અને સીસીટીવીની તમામ વિગતોનો અભ્યાસ કર્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે કેટલાક કેન્દ્રો પર સમયનો બગાડ થતો હતો અને વિદ્યાર્થીઓને તે અંગે જાણ કરવામાં આવી ન હતી.

સમિતિએ વિચાર્યું કે તેઓ ફરિયાદોનું નિરાકરણ કરી શકે અને વિદ્યાર્થીઓને વળતર આપી શકે. તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓની ચિંતાઓ સામે આવી. 718 અને 719 માર્કસ મેળવ્યા અને 6 ઉમેદવારો ટોપર બન્યા અને 4750 કેન્દ્રોમાંથી આ સમસ્યા મર્યાદિત હતી. માત્ર 6 કેન્દ્રો પર પ્રશ્નપત્રોના ખોટા વિતરણને કારણે થયું છે. સમગ્ર દેશમાં આ પરીક્ષાની પારદર્શિતા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી ન હતી. કોઈ પેપર લીક થયું ન હતું. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા ખૂબ જ પારદર્શક હતી.

Most Popular

To Top