Comments

નવી શિક્ષણ નીતિના અમલનો અનુભવ દુઃખદાયક થતો જાય છે

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિનો અમલ થયાને બે વર્ષ પૂરાં થઇ ગયાં છે. પ્રાથમિકમાં અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિકના શિક્ષણ ક્ષેત્રમાં તો સરકાર ના નિયમો લાગુ પડે છે એટલે રાજ્ય કક્ષાએ એકરૂપતા જોવા મળશે. વળી માળખાકીય રીતે મોટા ફેરફારો સ્કૂલ શિક્ષણમાં નથી. માત્ર પાંચ વર્ષ પૂરાં થાય પછી પ્રવેશ મળતો હતો તે છ પૂરાં થાય ત્યારે મળશે એટલે જુનિયર કે. જી., સીનીયર કે. જી. ઉપરાંત હવે એક વર્ષનો નવો કોર્ષ રાખવાનો છે કે તેણે કોઈ નામ આપવાનું છે. મોટા ફેરફારો તો ઉચ્ચ શિક્ષણમાં થવાના છે કે કરવાના છે. હવે ઉચ્ચ શિક્ષણમાં જે ચાલી રહ્યું છે તે પ્રથમ નજરે હાસ્યાસ્પદ છે પણ સાચા અર્થમાં ગંભીર અને ચિંતાજનક છે.

નવી શિક્ષણ નીતિમાં કોલેજ કક્ષાએ અનેક મહત્ત્વનાં પરિવર્તન સૂચવાયાં છે જેમકે પહેલાં વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ મેળવે પછી સળંગ ત્રણ વર્ષ ભણ્યા બાદ સ્નાતક થતો હતો અને પછી બીજાં બે વર્ષ ભણે તો માસ્ટર એટલે કે અનુસ્નાતક થતો હતો. વળી જો એ નાપાસ થાય તો કુલ છ વર્ષમાં તેણે એટીકેટી ક્લીયર કરી સ્નાતક પાસ કરવાનું રહેતું હતું. હવે આવું નથી. હવે વિદ્યાર્થી કોઈ પણ વર્ષે અભ્યાસમાંથી નીકળી શકશે અને જોડાઈ શકશે. વળી ગમે એટલા વર્ષે સ્નાતક થઇ શકશે અને સ્નાતકમાં ત્રણ અને ચાર વર્ષના વિકલ્પ છે. જો વિદ્યાર્થી ચાર વર્ષ કોલેજમાં ભણે છે તો હવે માત્ર એક જ વર્ષ વધુ અભ્યાસથી તે અનુસ્નાતક થઇ શકશે.

જૂની નીતિ માળખા મુજબ વિદ્યાર્થી આર્ટ્સ, સાયન્સ કે કોમર્સમાં પ્રવેશ મેળવતો અને તે જે કોર્ષ નક્કી કરે તે મુજબના વિષય અને પેપર તેણે ભણવાનાં રહેતાં. હવે આવું નથી. હવે તે કોર્ષમાં પ્રવેશ નથી લેતો. તે મનગમતા વિષયમાં પ્રવેશ મેળવશે. વળી તેને કોઇ પણ વિષય ભણવાની છૂટ મળશે.વળી તે એક સાથે બે કોર્ષ કરી શકશે. એક સાથે બે સંસ્થામાં પણ અભ્યાસ કરી શકશે . નવી શિક્ષણ નીતિમાં સિદ્ધાંતોની સાથે વ્યવહાર પર પણ ભાર મુકાયો છે એટલે વિદ્યાર્થીએ ફિલ્ડમાં જઈ કામ કરવાનું છે.

વિદ્યાર્થીને ઇન્ટરડીસીપ્લીનરી સબ્જેક્ટ પણ પસંદ કરી શકશે એટલે કે મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર ભણનાર વિદ્યાર્થી સંસ્કૃત વિષય પણ ભણી શકશે. ટૂંકમાં બહુ બધી સ્વતંત્રતા વિદ્યાર્થી પક્ષે છે પણ આ બધી જ સ્વતંત્રતા અમલમાં લાવવા માટે સૌ પ્રથમ યુનિવર્સિટીઓએ કાયદા બનવા પડે અને જુના નિયમમાં ફેરફાર કરવા પડે. વિદ્યાર્થી ભણે એટલે તેને ક્રેડીટ મળતી થાય. યુનિવર્સિટી આ ક્રેડીટનો હિસાબ રાખશે . વિદ્યાર્થી એક વર્ષ ભણી પ્રમાણપત્ર મેળવી જતો રહ્યો..બે વર્ષ પછી તેણે ફરી ભણવાનો ચાન્સ મળ્યો તે ભણવાનું ચાલુ કરે તો આગળના વર્ષમાં ભણતી વખતે મેળવેલી ક્રેડીટ આગળ ચાલે. આ માટે યુનિવર્સિટીઓએ ક્રેડીટ બેંક ઊભી કરવાની છે.

આમ નવી શિક્ષણ નીતિના અમલ માટે કાયદાકીય ફેરફારો, નિયમોમાં ફેરફારો, પેટા કલમોમાં ફેરફારો જેવા અનેક વહીવટીય પગલાં લેવાનાં છે. સૌથી અગત્યની વાત એ છે માળખું બદલવાનું છે અને યુનિવર્સિટી કક્ષાએ સૌ અભ્યાસક્રમો બદલવા લાગ્યા છે. નવા કયા પેપર ભણાવવાં તે નકી કરવા લાગ્યા છે. આ કામ અગત્યનું છે જ પણ પ્રથમ અગ્રતાનું નથી. સૌ પ્રથમ તો માળખું નક્કી કરવાનું છે. કાયદા મુજબ અને નવી શિક્ષણ નીતિ અનુસાર આમ તો યુનિવર્સિટીઓ પોતાના કોર્ષ અને નિયમો રચવા સ્વતંત્ર છે પણ વિદ્યાર્થીઓને સરળતા મળે તેવી નિયમોમાં એકરૂપતા તો હોવી જ જોઈએ. જો બધી યુનિવર્સિટી સાવ જ જુદા જુદા નિયમો બનાવશે તો ગુંચવાડા ઊભા થશે અને વિદ્યાર્થી મુંઝાશે.

હાલમાં ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિ માટે જે મીટીંગો થઇ રહી છે તેમાં થતો અધ્યાપકીય સંવાદ સાંભળવા જેવો છે. એક તો ભારતીય સંસ્કૃતિમાં ભલે કહેવાયું હોય કે જ્ઞાનમાં વૃદ્ધ હોય તે જ સાચો વૃદ્ધ છે. ઉંમરનાં વર્ષોને વિદ્વત્તાનું માપદંડ માની શકાય નહીં. પણ સરકારી તંત્ર આવી ફિલસૂફીમાં માનતું નથી એટલે યુનિવર્સિટી કક્ષાએ જે અધ્યાપકો સીનીયર હોય તે આ નવી શિક્ષણ નીતિ ઘડતરમાં કમિટીમાં આપોઆપ ગોઠવાઈ ગયા છે. હવે એમના મોટા ભાગનાને નવી શિક્ષણ નીતિનો મૂળ મુસદ્દો વાંચવાની ફુરસદ નથી. એમને માત્ર હોદ્દો શોભાવવાનો છે. કોઈ પણ પ્રકારના હોમવર્ક વગર મળતી મીટીંગોમાં એક બે અધ્યાપકો આગેવાની લઇ લે એટલે ભયો ભયો. ટીએ.ડીએનાં ફોર્મ ભરી કલાક બે કલાકમાં મીટીંગ પતાવી ભવિષ્ય નક્કી થાય છે અને મોટા ભાગની મીટીંગોમાં એક સૂર પ્રધાન હોય છે કે જુનું છે તે જ નવામાં ફીટ કરી દો!

આ લોકો શિક્ષણની નિસ્બતવાળા નહીં પણ છીણી અને હથોડીવાળા બની ગયા છે. જુના માળખામાં જે જે નથી જતું તે તે છોલી નાખો અને ઉપરથી હથોડી મારી ઉતારી દો. થોડાં વર્ષ પહેલાં ઉચ્ચ શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિથી શિક્ષણ થતું હતું અને અચાનક કોઈ સેમીનાર કોઈ સર્વે કોઈ માંગની વગર છ માસિક -સેમેસ્ટર પ્રથા અમલમાં આવી સાથે જ આજે નવી શિક્ષણ નીતિમાં જેની પ્રવચનોમાં જેની જોર શોરથી વાત થાય છે તે ચોઈસ બેસ ક્રેડીટ સીસ્ટમ ત્યારે જ આવી હતી.

કહેવાયું તો ત્યારે પણ આ જ હતું કે હવે વિદ્યાર્થી પોતાની પસંદગીનો વિષય ભણી શકશે. વિજ્ઞાન સાથે સંસ્કૃત ભણી શકશે પણ વાસ્તવમાં થયું શું ? જુનું વાર્ષિક શિક્ષણવાળું માળખું જ નવામાં ગોઠવી દેવાયું. એમાંય સોફ્ટ સ્કીલ અને જીનેરીક જેવા વિષયનું ફાલું વાળી દીધું. વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવાની છૂટ હતી એટલે ફી બધાએ ઉઘરાવી પણ ભણાવ્યું કોઈએ નહીં. અરે યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનું પણ કોલેજને સોંપ્યું અને માત્ર એસાઈન્મેન્ટના આધારે સૌ ને પાસ કરી દેવાયા એટલે આજે જ્યારે કોઈ પૂછે કે સાહેબ નવી શિક્ષણ નીતિનું શું થશે તો મનમાં એક જ જવાબ આવે છે કે જે સેમેસ્ટર સીસ્ટમમાં શિક્ષણનું થયું. જીનેરીક અને સોફ્ટ સ્કીલ વિષયોનું થયું, એ જ.

જ્યારે નવી શિક્ષણ નીતિના અમલની સમિતિના સભ્યો મારો વિષય રાખજો હો ..જોજો ફાજલ ના પાડતા કે નવા નવા વિષયો તો આપીએ પણ માણસો ક્યાંથી મળશે ?…જેવી વાતો કરતા હોય એક યુનિવર્સિટી આખા કોર્સની ૨૪ ક્રેડીટ કરે બીજી ૨૦ કરે ..ત્રીજી કંઈક નવું જ ગોઠવે …આ બધામાં અંતે સરકાર એક કોરડો વીંઝી દેશે અને સૌ સરકારી પરિપત્ર મુજબ નવી નીતિનો અમલ કરશે …… ટૂંકમાં ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે સ્થિતિ ડામાડોળ છે  અને જેને સૌથી વધુ અસર થવાની છે તે સૌથી ઉદાસ છે .વાલી કે વિદ્યાર્થી પક્ષે કોઈ ચળવળ જ નથી નવી નીતિના પરિવર્તનો વિષે જાણવાની..શિક્ષણ માટે ગુજરાતની તત્પરતા નબળી છે તે ખરેખર ચિંતાજનક છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top