ગાંધીનગર : ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું શ્રીલંકામાં આગમન ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે નોંધાયું છે. ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા અવશેષો શ્રીલંકા પહોંચ્યા હતા, જ્યાં સ્થાપિત ભારત–શ્રીલંકા પ્રોટોકોલ મુજબ તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું. પવિત્ર દેવનીમોરી અવશેષોના જાહેર પ્રદર્શનનું ઉદ્ઘાટન 4 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોના આદરણીય ગંગારામાયા મંદિરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ પૂજનીય ડૉ. કિરીંડે અસાજી થેરો, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. ગંગારામાયા મંદિરમાં પવિત્ર અવશેષોના પ્રદર્શન સાથે “પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ” અને “પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી” સહિતના બે વિશેષ પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળની હાજરી
પવિત્ર અવશેષો સાથે ગુજરાતના રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ શ્રીલંકા પહોંચ્યું હતું. પ્રતિનિધિમંડળમાં વરિષ્ઠ બૌદ્ધ સાધુઓ, સરકારી અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોનો સમાવેશ થતો હતો. શ્રીલંકા સરકાર તરફથી પણ અનેક વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીની ઘોષણાને અનુસરીને આયોજિત પ્રદર્શન
આ પવિત્ર અવશેષોનું પ્રદર્શન પીએમ નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં શ્રીલંકાની રાજ્ય મુલાકાત દરમિયાન કરેલી ઘોષણાના અનુસંધાને આયોજિત કરવામાં આવ્યું છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ બૌદ્ધ સંબંધોને મજબૂત બનાવવા માટે જાહેર કરાયેલી 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ ઉપરાંત અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલના વિકાસ માટે પણ સહાયની જાહેરાત કરી હતી.
જાહેર દર્શન માટે ખુલ્લું પ્રદર્શન
પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે પવિત્ર અવશેષોને ગંગારામાયા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન 5 ફેબ્રુઆરી, 2026થી જાહેર દર્શન માટે ખુલ્લું રહેશે, જેથી શ્રીલંકા તેમજ વિશ્વભરના ભક્તો ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
શ્રીલંકાના સ્વતંત્રતા દિવસે વિશેષ મહત્વ
પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસ સાથે સંકળાયેલું હોવાથી આ કાર્યક્રમને વિશેષ ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ મળ્યું છે. આ પ્રદર્શન ભારતની બહાર દેવનીમોરી અવશેષોની પ્રથમ જાહેર પૂજા છે. અગાઉ ભારતે 2012માં કપિલવસ્તુ અને 2018માં સારનાથના અવશેષોનું શ્રીલંકામાં પ્રદર્શન કર્યું હતું. ભગવાન બુદ્ધના કરુણા, શાંતિ અને અહિંસાના શાશ્વત ઉપદેશોને પ્રતિબિંબિત કરતું આ પ્રદર્શન ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ પ્રગાઢ બનાવશે.