National

18મી લોકસભાનું સત્ર આ તારિખે શરૂ થશે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આપી માહિતી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએની (NDA) સરકાર બની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં મંત્રી પરિષદે પણ પોતાનું કામ સંભાળી લીધું છે. દરમિયાન નવા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંસદ સત્ર સંબંધિત માહિતી શેર કરી જણાવ્યું હતું કે 18મી લોકસભા સત્ર કઇ તારિખે શરૂ થશે.

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે જણાવ્યું હતું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. 9 દિવસના વિશેષ સત્ર દરમિયાન લોકસભાના સ્પીકરની પસંદગી કરવામાં આવશે અને નવા સાંસદો શપથ લેશે. જેમાં સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગૃહને સંબોધશે. આ સિવાય 264મી રાજ્યસભાનું સત્ર 27 જૂનથી શરૂ થશે. આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે. તેમક બંને ગૃહોના સત્ર 3 જુલાઈ સુધી ચાલશે.

રિજિજુએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 18મી લોકસભાના પ્રથમ સત્રનું આયોજન 24 જૂન 2024 થી 3 જુલાઇ 2024 સુધી નવા ચૂંટાયેલા સભ્યોના શપથ/સમર્થન, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા માટે કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજ્યસભાનું 264મું સત્ર પણ 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. તેમજ 27 જૂને રાષ્ટ્રપતિના સંબોધન પછી, વડા પ્રધાન મોદી સંસદમાં તેમની મંત્રી પરિષદ રજૂ કરે તેવી અપેક્ષા છે.

વિપક્ષ આક્રમક રહે તેવી શક્યતા છે
નવી લોકસભામાં વિપક્ષનું વલણ આક્રમક રહે તેવી પૂરી શક્યતાઓ છે. કારણ કે આ ચૂંટણીમાં લોકસભામાં વિરોધ પક્ષોનું પ્રતિનિધિત્વ વધ્યું છે અને ઈન્ડિયા એલાયન્સના સાંસદોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. બીજી તરફ એનડીએ પાસે બહુમતી છે પરંતુ તેની આગેવાની હેઠળની ભાજપ છેલ્લી બે લોકસભા ચૂંટણીની જેમ પૂર્ણ બહુમતી મેળવી શકી નથી. જેથી ભાજપા પોતાના સાથી પક્ષો ઉપર નિર્ભર છે. આવી સ્થિતિમાં વિપક્ષ સરકાર પર દબાણ બનાવવાની રણનીતિ અપનાવે તેવી શક્યતા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રમોદી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અને તમામ ચર્ચાઓનો જવાબ પણ આપશે.

Most Popular

To Top