Comments

મને કહોને ગાંધીજી કેવા હશે..!

હવા ભરવાની વાત નથી પણ ૫૬ ઇંચની છાતી ફુલાવીને કહું કે, ભારત ખરેખર મહાન છે બોસ..! ઇકબાલ સાહેબે અમસ્તું થોડું લખ્યું કે, ‘સારે જહાંસે અચ્છા હિંદુસ્તા હમારા..! ભારત એટલે, સંસ્કૃતિનો દેશ, ઋષિઓનો દેશ, તપસ્વીઓનો દેશ, અવતારોનો દેશ, ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી રામનો દેશ..! જ્યાં વૃક્ષોની ડાળો ઉપર સોનાની ચકલીઓ માત્ર રહેતી નથી, પણ પોતાના વૃક્ષને ભારત અને પર્ણોનો ત્રિરંગો મનાવી દેશ-દાઝનાં ગીતો પણ લલકારે છે. ચકલીઓ ચીં ચીં ને બદલે વંદે માતરમ્ બોલે ને હવાની લહેરખીઓ સુરાવલી કાઢીને સૂર પુરાવે એનું નામ ભારત..! આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે, આવા મહાન ભારતના સંતાન છીએ..?

૧૫ મી ઓગષ્ટનું પર્વ તો દેશ દાઝનું તીર્થ છે. આવા રાષ્ટ્રીય પર્વો આવે એટલે, પોરબંદરવાળા મહાત્મા ગાંધીબાપુ યાદ આવવા માંડે. (પોરબંદરવાળા એટલે લખવું પડ્યું કે, હાલ ગાંધી અને બાપુનો સ્ટોક આપણે ત્યાં ઓછો નથી..! ટેન્ડર બહાર પાડીએ તો ઢગલાબંધ બાપુ ને ગાંધી પણ મળી રહે..!) આઝાદ દિન આવે એટલે માત્ર મહાત્મા ગાંધીજી જ નહિ, બધા જ યાદ આવે. અંગ્રેજો યાદ આવે, સ્વાતંત્ર્ય સેનાનીઓ યાદ આવે, શહીદોનાં બલિદાનો યાદ આવે. હિન્દુસ્તાનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન યાદ આવે અને ભારતની વીરાંગનાઓ પણ યાદ આવવા માંડે. ત્યારે અમારા ચમનિયાને માત્ર એની ‘મોમ’(મમ્મી) કરતાં એની ‘સોસ’એટલે કે (સાસુ) અને પપ્પા કરતાં સોશિયો એટલે કે, (સસરો) વધારે યાદ આવે..! એટલા માટે કે, ભારતને આઝાદી મળેલી, એ જ દિવસે એનાં હાડકે પીઠી લાગેલી. દેશ આઝાદ થયેલો ને એ ગુલામ બનેલો. એના લગન ૧૫ મી ઓગષ્ટે થયેલા..! આપણે જ્યારે ઠાઠ-માઠથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરીએ.  દેશભક્તિનાં ગીત ગાઈએ ત્યારે ચમનિયો ભજનિયાં બેસાડે ને ગીતો સાંભળે કે,

‘યે દૌલત ભી લે લો, યે શૌહરત ભી લે લો,
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટા દો બચપનકા સાવન
વો કાગઝકી કશ્તી વો બારિશ કા પાની

રાષ્ટ્રીય પર્વની ઉજવણી તો કરવી પડે મામૂ..! કરીએ તો જ નવી પેઢીને અંદાજ આવે કે, ભારતને FREEDOM FREE માં મળેલું નથી. જેના માટે અનેક શહીદોનાં બલિદાન, જેલવાસ અને અંગ્રેજોના કોરડા વિંઝાયેલા છે. ભારતની સફેદી રાતોરાત આવેલી ખરી, પણ કેટલાયે માતમ સહન કરેલા છે. આઝાદી માટે મરી ફીટનાર આઝાદીના લડવૈયાઓની સ્મૃતિમાં ઠેર ઠેર કોઈ ને કોઈ સ્મારકો સચવાયેલાં છે. આપણાં તો નામ પડે એટલે, દેખો ત્યાંથી ઠાર કરતાં હોય એમ, ફેસબુકમાં પણ BLOCK કરી દે..! સ્મારકને તો મારો ગોલી..! ગલી પણ આપણા નામની ના હોય..! આ સમય હવે ડીજીટલ યુગનો છે. આખી દુનિયાનું સંચાલન અંગુઠાનું ટેરવું કરે. આજની પેઢીને ભલે પાંચ શહીદોનાં નામ યાદ ના હોય, પણ બોલીવુડ સ્ટાર્સ, તેની ફિલ્મ, ગાયન, ગાયક કે સંગીતકારની જાણકારીની આખી કુંડળી કાઢી આપે..! બાપના દાદાનું નામ યાદ ના હોય, પણ સુપર સ્ટારનાં નામ ગલોફાંમાં હોય. પછી ઊંચી અપેક્ષા તો ક્યાંથી રખાય..? બોલીવુડની સુપર સ્ટાર બેલડીના ફોટાઓ ઘરની દીવાલ સાચવતા હોય ને મા-બાપના ફોટાઓ કાતરીયામાં ઊંધા માથે પડ્યા હોય..! અથવા તો વૃધ્ધાશ્રમની હવા ખાતા હોય..! તંઈઈઈઈઈ..!

આઝાદીની લડતના ઘડવૈયા તરીકે, વિશ્વની પ્રતિભાશાળી વ્યક્તિમાં આજે પણ મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ મોખરે છે. એ વખતે ફાટેલા જીન્સ એટલે કે (Repped Jeans), કફની સુરવાલ, કોટી (ઝુલડી) સદરા, બરમુડાના તો જનમ જ નહિ થયેલા. પણ અડધી પોતડી પહેરીને, અડધી રાતે એક ગુજરાતી સુકલકડી જીવે, હાથમાં લાકડી પકડીને ગુલામીની જંજીર તોડેલી. આજની પેઢી એમના દર્શન વગર અધૂરી છે. પણ આઝાદીની કાજે, લડતની વાત સાંભળ્યા પછી, સ્વાભાવિક છે કે, નવી પેઢીને તાલાવેલી થાય કે, ‘મને કહો ને ગાંધીજી કેવા હશે..?’

ગાંધીજીએ માત્ર સત્ય-અહિંસાની ફિલસુફી જ નથી આપી. સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા દમનકારી શાસનો સામે શાંતિપૂર્ણ વિરોધ અને ચળવળ ઉપાડી વૈશ્વિક નામના પણ ઊભી કરેલી. એમની વિચારધારામાંથી માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા જેવા વૈશ્વિક નેતાઓએ પ્રેરણા લીધેલી છે. આ રાષ્ટ્રીય પર્વો ઉજવવા પાછળ એક જ આશય કે, યુવાનોમાં દેશદાઝની જ્યોત સળગતી રહે. દેશદાઝના ફણગાઓ એમ ને એમ ફૂટતા નથી મામૂ..? રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે સ્વયંભૂ અદબ આવી જાય, ખખડી ગયેલી છાતી પણ ટટાર થઇ જાય, એ પ્રમાણ છે. જો કે, ક્યાંક ક્યાંક ખૂટતું હોય એવું તો લાગવાનું. ભારતમાતાકી જય ના બોલે તો વાંધો નહિ, પણ ભારત મારો બાપ છે, એવું બોલવા પણ રાજી ના હોય તો ના ચાલે..!

આટલી જાગૃતિ હોવા છતાં, અમુક તો રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે, ‘ડેન્ગ્યુ’ના ખાટલેથી બાટલાની નળી સાથે, પગની પીંડી ખંજવાળતા ઊભા થતા હોય એમ માંડ ઊભા થાય. લમણે પિસ્તોલ મૂકી હોય એમ, ટટાર ઊભો તો રહે, પણ રાષ્ટ્ર ગીતના શબ્દ વગર માત્ર હોઠ જ ફફડતા હોય. ને આંખો મેદની જોવામાં ખોવાયેલી હોય. જેમ ટાઢિયો તાવ અંદરથી આવે એમ, દેશ દાઝ પણ અંદરથી પ્રગટ થવી જોઈએ. રાષ્ટ્રીય પર્વ આવે ત્યારે જ, ખાદીમાં સજ્જ થઈને, દેશભક્તોનાં નામની સહસ્રાવલી બોલે એ સાચી દેશદાઝ નથી. ઘણા દુકાનદારો તો ધંધાની લોકપ્રિયતા કે બરકત વધારવા દુકાનના નામ સાથે, ‘ભારત’શબ્દ જોડી, ભારત પાન હાઉસ, ભારત લોન્ડ્રી હાઉસ, ભારત લોજ કે ભારત ટ્રાવેલ્સ જેવાં નામ ચોંટાડે. એ સારી વાત છે પણ, એને વાણિજ્યિક દેશદાઝ કહેવાય..! સગવડિયો ધર્મ..!

મારી જ વાત કરું તો, મને આઝાદી પછી ધરતી ઉપર આવવાનો વિઝા મળેલો. દેશ આઝાદ થાય પછી જ ધરતી ઉપર મોકલવાની ભગવાને ગાંઠ વાળેલી હોય, એમ મારો ધરતી પ્રવેશ ૧૯૪૮ માં થયેલો. એટલે કે ચાલુ ટ્રેનમાં ચઢી ગયેલો, ને બારી પાસે જગ્યા મળી ગયેલી. એના કપાળમાં કાંદા ફોડું, રેડીમેઈડ માલ મળી ગયેલો..! બાકી ગાંધીજી તો મારા જોવામાં પણ નહિ. ૧૫ મી ઓગષ્ટનું મહત્ત્વ છે મામૂ..! આપણો આઝાદ દિન, સામાન્ય રીતે ચોમાસાના માહોલમાં જ આવે. એ દિવસે વરસાદી માહોલ જ હોય. એમાં આ વખતનું ચોમાસું એટલે તો ભારે જાહોજલાલીવાળું નીકળ્યું..! મોટા ભાગની નદીઓ સ્થાનભ્રષ્ટ થઈને, માત્ર નગરદર્શન કરવા જ નહિ, રસોડાદર્શન પણ કરી આવી. શ્રાવણ માસ પણ એટલો જ ભવ્ય..! લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ 1952 બાદ પહેલી વખત 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થયો અને સમાપ્તિ પણ સોમવારે થવાની. શ્રાવણ માસ દરમ્યાન પાંચ સોમવાર આવશે જે પાંચેય સોમવાર સહિતના દિવસોમાં શિવભકતો દ્વારા ભોળાનાથને રીઝવવાના આયામ થવાના, ઠોકો તાલ્લી..!

લાસ્ટ બોલ
ચમન ચક્કીએ એના દીકરાનું નામ ‘અમેરિકા’રાખ્યું.
મેં પૂછ્યું, ‘કેમ, આવું નામ રાખ્યું?’
મને કહે, ‘કોઈને લાગવું જોઈએ કે હું અમેરિકાનો બાપ છું..!’
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top